Dec 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-694

 

સનત્સુજાત પર્વ 

અધ્યાય- ૪૧-વિદુરે સનત્સુજાતની પ્રાર્થના કરી 


II धृतराष्ट्र उवाच II अनुक्तं यदि ते किंचिद्वाचा विदुर विद्यते I तन्मे शुश्रुषतो ब्रुहि विचित्राणि हि भाषसे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,તમે વાણી વડે હજી,જે ન કહ્યું હોય તે મને કહો,

હું શ્રવણ કરવાની ઇચ્છાવાળો છું,કારણકે તમે અદભુત ભાષણ કરો છો.

વિદુર બોલ્યા-હે રાજન,પુરાતન એવા સનાતન નામધારી કુમાર સનત્સુજાત મુનિ કહે છે કે-મૃત્યુ (જન્મ-મરણના પ્રવાહરૂપ સંસાર)નથી.

સર્વ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ તે મુનિ તમારા હૃદયમાં રહેલા ગુપ્ત અને પ્રગટ પ્રશ્નોના ઉત્તર કહેશે.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મુનિ મને જે કહે તે શું તમે જાણતા નથી? તમારું જ્ઞાન કંઈ બાકી હોય તો તમે જ મને કહો (4)

Dec 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-693

હે ભારત,જીવ,એક નદી છે,તેમાં પુણ્ય,એ ઓવારો છે,બ્રહ્મ તેનું ઉત્પત્તિસ્થાન છે,ધૈર્ય કિનારા છે,દયા તેના તરંગ છે,તેમાં જે પુણ્યકર્મવાળો પુરુષ સ્નાન કરે (આત્મનિમગ્ન થાય) તે પવિત્ર થાય છે.લોભરહિત સ્થિતિ એ જ પુણ્ય છે.કામ-ક્રોધ-રૂપી મગરવાળી અને પાંચ ઇન્દ્રિય-રૂપી જળવાળી આ સંસારરૂપી નદીમાં ધૌર્યરૂપી નૌકાનો આશ્રય કરીને તમે જન્માદિ દુઃખોને તરી જાઓ.કયું કાર્ય કરવું ને કયું ન કરવું એ સંબંધમાં જે જ્ઞાનવૃદ્ધ,ધર્મવૃદ્ધ,વિદ્યાવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા પોતાના સંબંધીઓને માન  આપીને પૂછે છે તે કોઈ દિવસ મૂંઝાતો નથી.(23)

Dec 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-692

 

અધ્યાય-૪૦-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II योभ्यर्चित: सद्भिरसज्जमानः करोत्यर्थ शक्तिमहापयित्वा I क्षिप्रं यशस्तं समूपैति संतभलं प्रसन्ना हि सुखाय संतः  II १ II


જે સજ્જનોથી માન પામ્યા છતાં અભિમાનરહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે તે ભલા માણસને તત્કાળ યશ પ્રાપ્ત થાય છે કારણકે પ્રસન્ન થયેલા સજ્જનો સુખ આપવા સમર્થ છે.જે મનુષ્ય બીજાઓથી અડચણ ન આવ્યા છતાં,અધર્મવાળા મોટા અર્થલાભનો પણ ત્યાગ કરે છે તે દુઃખોથી મુક્ત થઈને સુખે નિંદ્રા લે છે.અસત્ય બોલીને વિજય મેળવો,રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો એ બ્રહ્મહત્યા તુલ્ય છે.ઈર્ષા કરવી એ ખરેખર મૃત્યુ જ છે,વધારે પડતું બોલવું એ લક્ષ્મીનો નાશ કરે છે.ગુરુની સેવા ન કરવી,ઉતાવળ કરવી અને આત્મશ્લાઘા કરવી એ ત્રણ વિદ્યાના શત્રુ છે (4)

Dec 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-691

 

અગ્નિહોત્ર પાળવું-એ વેદાધ્યયનનું ફળ છે,સુશીલતા અને સદાચરણ એ શાસ્ત્રઅધ્યયનનું ફળ છે,રતિસુખ અને પુત્રપ્રાપ્તિ એ સ્ત્રી પરણ્યાનું ફળ છે અને દાન તથા ભોગ એ ધનનું ફળ છે.જે મનુષ્ય,અધર્મથી સંપાદન કરેલા ધન વડે,ભલે પરલોકના સાધનભૂત યજ્ઞ,દાન વગેરે કરે,પણ તે કુમાર્ગના ધનને લીધે તેનું ફળ તેને મળતું નથી.ઉદ્યોગ,ઇન્દ્રિયનિગ્રહ,

દક્ષતા,સાવધાની,ધૈર્ય,સ્મરણશક્તિ અને વિચારપૂર્વક કાર્યારંભ-એ ઐશ્વર્યનું કારણ છે.

તપસ્વીઓનું બળ તપ છે,બ્રહ્મવેત્તાઓનું બળ બ્રહ્મ છે,દુર્જનોનું બળ હિંસા છે ને ગુણવાનોનું બળ ક્ષમા છે.(70)

Dec 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-690

 

શાણાને સેવનાર,વિદ્વાન,ધાર્મિક,આંખને પ્રિય લાગે એવો,મિત્રવાળો,અને મધુર વાણીવાળો જે સ્નેહી હોય તેનું પરિપાલન કરવું.

કુલીન હોય અકુલીન હોય પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી,ધર્મની અપેક્ષા રાખે છે,વૃત્તિ સરળ રાખે છે અને દુષ્કાર્યમાં લજ્જા રાખે છે તે સેંકડો કુલીનો કરતાં પણ શ્રેષ્ઠ છે.જે બે મિત્રોના મન સાથે મન,બુદ્ધિ સાથે બુદ્ધિ અને ગુપ્ત વિચાર સાથે ગુપ્ત વિચાર મળતા આવે છે તે બંનેની મિત્રતા ક્ષીણ થતી નથી.

Dec 13, 2024

Vipasana (Vipasyana) in Gujarati-Easy Explaination


અત્યારની ભાગદોડ ની જિંદગીમાં કોઈને કશા માટે સમય નથી .....અને જયારે સમય જ સમય હોય 
તેવી પરિસ્થિતિમાં માનવ પહોચે ત્યારે તે સમયને --સમજીને-- વિચારી શકે-- તેવી સ્થિતિ રહેતી નથી.
માનવને જો જરા બેસવાનું કહેવામાં આવે તો તે તરત જ પૂછે છે કે--બેસીને શું કરવાનું?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-689

 

જે મનુષ્ય દરિદ્રી,દીન તથા દુઃખી એવા પોતાના જ્ઞાતિબંધુ પર કૃપા કરે છે તેમનું કુટુંબ વૃદ્ધિ પામે છે અને તે પરમ કલ્યાણ ભોગવે છે,માટે જેઓ શુભ ઇચ્છતા હોય તેઓએ ન્યાતિલાઓની વૃદ્ધિ કરવી.હે રાજન,માટે તમે પણ સારી રીતે કુળની વૃદ્ધિ થાય તેવું આચરણ કરો.જ્ઞાતિજનો ગુણરહિત હોય તો પણ તેઓનું રક્ષણ કરવું જોઈએ,ત્યારે પાંડવો તો ગુણસંપન્ન છે અને તમારી કૃપાની આકાંક્ષા કરનારા છે તો મારે કહેવું જ શું? હે રાજન,તમે પાંડવો પર કૃપા કરો,તેઓને જીવિકા માટે કેટલાંએક ગામો આપો,ને તેમ કરવાથી તમને યશ પ્રાપ્ત થશે.તમે વૃદ્ધ છો માટે તમારે પુત્રોને શિખામણ આપવી જોઈએ અને મારે પણ તમને હિત કહેવું જોઈએ.મને તમારો હિતૈષી જાણો.(22)

Dec 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-688

 

અધ્યાય-૩૯-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II अनिश्वरोयं पुरुषो भवाभवे सुत्रप्रोता दारुभयिव योषा I धात्रा तु दिष्टस्य वशे कृतोऽयं तस्माद्वद त्वं श्रवणे ध्रुतोहम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સૂતર પરોવેલી લાકડાની પૂતળીની જેમ,આ પુરુષને વિધાતાએ દૈવને આધીન કરેલો છે,તેથી તે ઐશ્વર્ય તથા અનૈશ્વર્યના સંબંધમાં સ્વતંત્ર નથી,માટે તું મને દોષ ન દેતાં બોધવચન કહે,હું તે ધૈર્યથી સાંભળવા તૈયાર છું 

વિદુર બોલ્યા-હે ભારત,સમયને અયોગ્ય વચન સાક્ષાત બૃહસ્પતિ બોલે તો પણ તેનું અપમાન થાય છે અને તેની બુદ્ધિની અવજ્ઞા થાય છે.કોઈ દાનથી પ્રિય થાય છે,કોઈ પ્રિય બોલવાથી પ્રિય થાય છે,કોઈ મંત્ર તથા મૂળના બળથી પ્રિય થાય છે પણ નિષ્કારણ જ પ્રિય લાગે તે જ ખરો પ્રિય છે.જે પોતાને જ અપ્રિય હોય તે સજ્જન હોય,બુદ્ધિશાળી હોય તથા પંડિત હોય તો પણ સારો લાગતો નથી.જે પ્રિય હોય તેના સર્વ કાર્યો સારાં લાગે છે ને અપ્રિયનાં કાર્યો પાપભરેલાં લાગે છે (4)

Dec 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-687

 

જે રાજાની મસલતને બહારનું તથા ઘરનું કોઈ જાણતું નથી અને જે દૂતો દ્વારા બીજાની મસલતો જાણી લે છે તે રાજા ઘણો સમય ઐશ્વર્ય ભોગવે છે.ધર્મ,કામ અને અર્થનાં કાર્યો કરવા ધારેલાં હોય તે કહેવાં નહિ,પણ તે કરેલાં જ દેખાડવાં,એમ કરવાથી મસલત ફૂટતી નથી.ઉત્તમ મસલત જાણવાને મિત્ર વિના બીજો લાયક નથી.છતાં,જો મિત્ર બહુ બોલકણો હોય તો તેને ગુપ્ત વિચાર જણાવવો નહિ.રાજાએ પરીક્ષા કર્યા વગર કોઈને પણ પોતાનો મંત્રી કરવો નહિ,કારણકે ધનલાલસાની પૂર્તિ અને મંત્રરક્ષણ એ બંને મંત્રીને આધીન હોય છે.આવા ગુપ્ત મસલતવાળા રાજાના કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે.(21)

Dec 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-686

 

અધ્યાય-૩૮-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II ऊर्ध्व प्राणात्ध्युत्क्रामंति यूनः स्थविर आयति I प्रत्युथानाभिवादाभ्यां पुनस्तान्प्रतिपध्यते  II १ II

વિદુર બોલ્યા-વૃદ્ધ પુરુષ આવે ત્યારે (તેનું સ્વાગત કરવા) તરુણના પ્રાણો ઊંચે ચડી જાય છે,છતાં તે ઉઠીને તેને અભિવંદન કરીને પુનઃ પ્રાણોને પોતાના સ્થાનમાં પ્રાપ્ત કરે છે.પણ,ધીર પુરુષે જયારે પોતાને ઘેર સત્પુરુષ આવે ત્યારે પ્રથમ તેને બેસવા માટે આસન આપવું,પછી પાણીથી તેના પગ ધોવા,ને પછી કુશળ પૂછીને તેને આદરથી ભોજન કરાવવું.

વૈદ્ય,શસ્ત્રકર્તા,બ્રહ્મચર્યથી ભ્રષ્ટ,ચોર,ક્રૂર,મદ્યપાન કરનારો,ગર્ભપાત કરાવનારો,સેનાથી જીવિકા ચલાવનારો અને વેદવિક્રય કરનારો-એટલા તો પાણીને માટે પણ યોગ્ય નથી છતાં એમાંનો કોઈ અતિથિ તરીકે પોતાને ત્યાં આવેલો હોય તો તેનું પ્રેમથી સ્વાગત કરવું.મીઠું,રાંધેલું અન્ન,દહીં,દૂધ,મધ,તેલ,ઘી,તલ,માંસ,ફળ,મૂળ,શાક,રંગીત વસ્તુ,સર્વ સુગંધી પદાર્થો અને ગોળ,એટલી વસ્તુઓ વેચવા યોગ્ય નથી,પરંતુ એ વેચનારો અતિથિ તરીકે આવ્યો હોય તો તેનું સ્વાગત કરવું (5)