Jan 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-711

 

હે સંજય,એક દિવસે હું પ્રાતઃકાળમાં સંધ્યાવંદન કરી રહ્યો હતો ત્યારે એક બ્રાહ્મણે મને કહ્યું હતું કે-'હે પાર્થ,તારે શત્રુઓની સામે યુદ્ધ કરવાનું દુષ્કર કર્મ કરવાનું છે.માટે જો તારી ઈચ્છા હોય તો,વજ્રધારી ઇન્દ્ર,હરિ નામના ઘોડાઓ જોડેલ રથમાં બેસીને શત્રુઓનો નાશ કરતા તારી આગળ ચાલશે અથવા શ્રીકૃષ્ણ સૂગ્રીવાદિ ઘોડાઓ જોડેલા રથમાં બેસીને તારું પાછળથી રક્ષણ કરશે' તે વખતે મેં વજ્રધારી ઇન્દ્ર કરતાં આ યુદ્ધને માટે શ્રીકૃષ્ણને જ સહાયક માગી લીધા અને ચોરોનો વધ કરવા તે કૃષ્ણ મને મળ્યા.હું માનું છું કે દેવતાઓએ જ મારે માટે એ નિર્માણ કરેલું છે.શ્રીકૃષ્ણ જાતે યુદ્ધ ન કરે તો પણ તે તેમના મનમાં જે પુરુષના જયની ઈચ્છા કરે તે પુરુષ ઇન્દ્રસહિત સર્વ દેવોનો પણ પરાજય કરી શકે તો પછી સામાન્ય મનુષ્યની તો શાની ચિંતા હોય?

Jan 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-710

 

દુર્યોધન,જો અજમીઢવંશી યુધિષ્ઠિર રાજાને રાજ્ય આપશે નહિ તો,ધૃતરાષ્ટ્રના પુત્રોએ જેનું ફળ હજી ભોગવ્યું નથી,એવું પાપકર્મ પૂર્વે અવશ્ય કરેલું છે એમ માનવું કેમ કે પાંડવો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ અને જે અપકારનું ચિંતન કરવાથી જ પૃથ્વી ને સ્વર્ગને બાળી મૂકે તેવા છે તે યુધિષ્ઠિરની સાથે અવશ્ય યુદ્ધ કરવું પડશે.દુર્યોધન જો યુદ્ધ કરવાની જ ઈચ્છા રાખતો હોય તો પાંડવોને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે-એમ જ સમજ.માટે પાંડવોના હિતને માટે તું અર્ધું રાજ્ય મળે તેમ કરીશ નહિ પણ જો તારી માન્યતા હોય તો યુદ્ધ થવા જ દેજે.(10)

Jan 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-709

 

યાનસંધિ પર્વ 

અધ્યાય-૪૭-સંજય સભામાં આવ્યો 

 II वैशंपायन उवाच II एवं सनत्सुजातेन विदुरेण च धीमता I सार्ध कथयेतो राज्ञः स व्यतीयाय शर्वरी II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે સનત્સુજાત અને બુદ્ધિમાન વિદુરની સાથે વાર્તાલાપ કરતા ધૃતરાષ્ટ્રની તે રાત વીતી ગઈ.પ્રભાત થતા,સર્વે રાજાઓ સંજયને મળવાની ઈચ્છાથી પ્રસન્ન થઈને સભામાં દાખલ થયા.તે સુંદર રાજસભામાં,પાંડવોનાં ધર્મ તથા અર્થયુક્ત વચનો સાંભળવાની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને આગળ કરીને ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે અને દુર્યોધનને આગળ કરીને શકુનિ,કર્ણ વગેરે તથા સર્વ રાજાઓ દાખલ થયા.પછી,સંજય પણ ત્યાં આવી પહોંચ્યો ને કહેવા લાગ્યો કે-'હું પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.પાંડવો સર્વ કૌરવોને વયના પ્રમાણમાં અભિનંદન ને વૃદ્ધોને વંદન આપ્યા છે.પાંડવોએ મળીને જે સંદેશો કહ્યો છે તે હું હવે સર્વને કહીશ,તે તમે સર્વ સાંભળો (17)

અધ્યાય-47-સમાપ્ત 

Jan 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-708

 

જેમ,સર્પો દરમાં રહીને પોતાના શરીરને છુપાવે છે,તેમ,કેટલાક (દંભી)મનુષ્યો પોતાના ગુરુના શિક્ષણથી અથવા દંભી વર્તનથી પોતાના પાપોને છુપાવે છે.આવા પુરુષો પર મૂઢ મનુષ્યો મોહ પામે છે,ને તે દંભી પુરુષો તે મૂઢોને નરકમાં નાખવા મોહિત કરે છે,માટે પરમાત્માના લાભને માટે સારી રીતે પરીક્ષા કરેલ સજ્જનોની જ સંગતિ કરવી જોઈએ.જીવન્મુકતને અનુભવ થાય છે કે 'હું ત્રણે કાળમાં અસત એવા દેહાદિકના ધર્મવાળો નથી,માટે મને જીવન-મૃત્ય નથી,ને જયારે મને બંધન નથી તો મોક્ષ કોનાથી?

સત્ય અને અસત્યરૂપ જગત સત્ય તથા સમાન એવા બ્રહ્મને આધીન છે અને કાર્ય-કારણની ઉત્પત્તિનું સ્થાન હું એક જ છું'

તેવા મને -સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (22)

Jan 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-707

 

તે પરમાત્મા (બ્રહ્મ)થી જ વાયુ ઉત્પન્ન થયો છે અને સર્વદા તેમાં જ અધીન થઈને રહે છે.તે બ્રહ્મથી અગ્નિ તથા સોમ (ભોક્તા-ભોજ્ય) ઉત્પન્ન થયાં છે અને તેનામાં પ્રાણ,દેહ તથા ઇન્દ્રિય-આદિનો સમૂહ વિસ્તાર પામીને રહેલો છે.

આ સર્વ જગત,તેનાથી જ ઉત્પન્ન થયેલું જાણવું.'તત' શબ્દથી કહેવાતા તે પરમાત્મા (બ્રહ્મ)નું વર્ણન કરવા અમે સમર્થ નથી.વાણીના અવિષય તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (12) પ્રાણ,અપાનને ગળે છે,ચંદ્ર પ્રાણને ગળે છે,આદિત્ય ચંદ્રને ગળે છે ને પરમાત્મા આદિત્યને ગળે છે,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (14)

Jan 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-706

 

અધ્યાય-૪૬-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II सनत्सुजात उवाच II यत्तच्छुकं महज्योति दीप्यमानं माध्यशः I तद्वै देवा उपासते तस्मार्योविराजते II १ II

જે શુક્ર,મહત,જ્યોતિ,દીપ્યમાન ને મહદ્યશ-એવા નામવાળા પરમાત્મા છે,તેની જ દેવો ઉપાસના કરે છે અને તે મૂળકારણરૂપ બ્રહ્મથી,સૂર્ય (એટલે કે જગતની ઉત્પત્તિ કરવારૂપી ધર્મવાળા માયાની ઉપાધિવાળા ઈશ્વર) પ્રકાશે છે,ને તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ (સૂર્યરૂપે) જુએ છે (1) બ્રહ્મ(એટલે જગતને ઉત્પન્ન ને વિસ્તૃત કરનાર),એ પરમ વ્યોમ(આકાશ) નામનું અવ્યાકૃત,અવસ્તુરૂપ (પણ આનંદરૂપ) છે,તો પણ તે ચૈતન્ય પ્રતિબિંબને પામીને,જગતનાં જન્માદિક કાર્ય કરવા સમર્થ થાય છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે.તે શુક્ર (આનંદ-બ્રહ્મ),જ્યોતિષિઓ-સૂર્યાદિની અંદર રહીને પ્રકાશે છે,પણ,પોતે અતપ્ત 

(એટલે કે બીજાથી અપ્રકાશિત કે સ્વયંજ્યોતિ)છે ને સૂર્યાદિકને તપાવે છે,જે (બ્રહ્મ)ને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(2)

Jan 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-705

 

સ્નેહના છ ગુણો જાણવા યોગ્ય છે.સ્નેહીનાં સુખથી સુખી થવું,દુઃખથી દુઃખી થવું,પોતાની ગમતી ને ન માગવા જેવી વસ્તુ પણ જો સ્નેહી માગે તો આપવી,પોતાના ઇષ્ટ વૈભવો,પુત્રો અને પોતાની સ્ત્રી પણ,યાચના કરેલ સ્નેહીને અર્પણ કરવા યોગ્ય છે.

જેણે પોતે સર્વસ્વ આપ્યું હોય,તેના ઘરમાં કામથી (એટલે મેં આના પર ઉપકાર કર્યો છે)એવી બુદ્ધિથી વાસ કરવો નહિ.

પોતા મેળવેલા ધનનો જ ઉપભોગ કરવો અને મિત્રના હિતને માટે પોતાનું હિત છોડી દેવું-આ છ સ્નેહના ગુણો છે (13)

Jan 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-704

 

અધ્યાય-૪૫-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II सनत्सुजात उवाच II शोकः क्रोधश्च लोभश्च कामो मानः परासुता I ईर्ष्या मोहो विधित्सा च कृपासूया जुगुप्सुता II १ II

સનત્સુજાત બોલ્યા-શોક,ક્રોધ,લોભ,કામ,માન,પરાસુતા(નિંદ્રાધીનપણું),ઈર્ષ્યા,મોહ,વિધિત્સા (કાર્ય કરવાની ઈચ્છા),કૃપા,

અસૂયા (ગુણમાં દોષનો આરોપ) ને જુગુપ્સતા(નિંદકપણું)-આ બાર મહાદોષો,મનુષ્યના પ્રાણને નાશ કરનારા છે.આમાંનો એકએક દોષ મનુષ્યોના આશ્રય માટે તેઓની ઉપાસના કર્યા કરે છે,કે જે દોષોથી વ્યાપ્ત થયેલો મૂઢ બુદ્ધિવાળો પુરુષ પાપકર્મ કરવા માંડે છે (2)લાલચુ,ઉગ્ર,પરુષ (કઠોર વાણીવાળો),વદાન્ય (બહુબોલો)મનમાં ક્રોધ રાખનારો અને બડાઈખોર-આ છ ક્રૂર ધર્મવાળા મનુષ્યો,સંપત્તિ પ્રાપ્ત થતાં પણ બીજાને માન આપતા નથી,પણ અપમાન આપે છે (3)

Jan 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-703

 

શિષ્ય,કાળે કરીને બુદ્ધિના પરિપાકથી એક પાદ મેળવે છે,એક પાદ ગુરુના સંબંધથી મેળવે છે,એક પાદ ઉત્સાહ યોગથી એટલે કે બુદ્ધિવૈભવથી મેળવે છે અને એક પાદ શાસ્ત્રથી એટલે કે સહાઘ્યાયીઓની સાથે વિચાર કરવાથી પ્રાપ્ત કરે છે (16)

ધર્માદિક બાર,જેનું સ્વરૂપ છે,આસન,પ્રાણ,જય વગેરે જેનાં અંગો છે અને યોગમાં નિત્ય તત્પરતા જેનું બળ છે,તે બ્રહ્મચર્ય આચાર્યના તથા વેદાર્થના સંબંધ વડે એટલે કે કર્મ તથા બ્રહ્મના સંબંધ વડે ફળીભૂત થાય છે (17)

Jan 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-702

 

અધ્યાય-૪૪-સનત્સુજાત ગીતા 


II धृतराष्ट्र उवाच II 

सनत्सुजात यामिमां परां त्वं ब्राह्मीं वाचं वदसे विश्वरूपां I परां हि कामेन सुदुर्लभां कथां प्रब्रूहि मे वाक्यमिदं कुमार II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સનત્સુજાત,પૂર્વે જે કથા કહી,તેનાથી ઉત્તમ,વિશ્વનો પ્રકાશ કરનારો અને બ્રહ્મને પમાડનારી ઉપનિષદવાણીને તમે જાણો છો,તો તમે તે અત્યંત દુર્લભ એવી કથા મને કહો,એવી મારી પ્રાર્થના છે.

સનત્સુજાત બોલ્યા-હે ધૃતરાષ્ટ્ર,તું અતિઆગ્રહ સાથે પ્રશ્ન કરીને હર્ષમાં આવી ગયો છે પણ એ બ્રહ્મ ઉતાવળ 

કરનારને પ્રાપ્ત થતું નથી.મન,બુદ્ધિમાં લીન થયા પછી,ચિંતનરહિત એવી જે કોઈ અવસ્થા છે તે વિદ્યા કહેવાય છે 

અને તે વિદ્યા બ્રહ્મચર્યથી પ્રાપ્ત થઇ શકે છે (2)