Dec 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-692

 

અધ્યાય-૪૦-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II योभ्यर्चित: सद्भिरसज्जमानः करोत्यर्थ शक्तिमहापयित्वा I क्षिप्रं यशस्तं समूपैति संतभलं प्रसन्ना हि सुखाय संतः  II १ II


જે સજ્જનોથી માન પામ્યા છતાં અભિમાનરહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે તે ભલા માણસને તત્કાળ યશ પ્રાપ્ત થાય છે કારણકે પ્રસન્ન થયેલા સજ્જનો સુખ આપવા સમર્થ છે.જે મનુષ્ય બીજાઓથી અડચણ ન આવ્યા છતાં,અધર્મવાળા મોટા અર્થલાભનો પણ ત્યાગ કરે છે તે દુઃખોથી મુક્ત થઈને સુખે નિંદ્રા લે છે.અસત્ય બોલીને વિજય મેળવો,રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો એ બ્રહ્મહત્યા તુલ્ય છે.ઈર્ષા કરવી એ ખરેખર મૃત્યુ જ છે,વધારે પડતું બોલવું એ લક્ષ્મીનો નાશ કરે છે.ગુરુની સેવા ન કરવી,ઉતાવળ કરવી અને આત્મશ્લાઘા કરવી એ ત્રણ વિદ્યાના શત્રુ છે (4)

Dec 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-691

 

અગ્નિહોત્ર પાળવું-એ વેદાધ્યયનનું ફળ છે,સુશીલતા અને સદાચરણ એ શાસ્ત્રઅધ્યયનનું ફળ છે,રતિસુખ અને પુત્રપ્રાપ્તિ એ સ્ત્રી પરણ્યાનું ફળ છે અને દાન તથા ભોગ એ ધનનું ફળ છે.જે મનુષ્ય,અધર્મથી સંપાદન કરેલા ધન વડે,ભલે પરલોકના સાધનભૂત યજ્ઞ,દાન વગેરે કરે,પણ તે કુમાર્ગના ધનને લીધે તેનું ફળ તેને મળતું નથી.ઉદ્યોગ,ઇન્દ્રિયનિગ્રહ,

દક્ષતા,સાવધાની,ધૈર્ય,સ્મરણશક્તિ અને વિચારપૂર્વક કાર્યારંભ-એ ઐશ્વર્યનું કારણ છે.

તપસ્વીઓનું બળ તપ છે,બ્રહ્મવેત્તાઓનું બળ બ્રહ્મ છે,દુર્જનોનું બળ હિંસા છે ને ગુણવાનોનું બળ ક્ષમા છે.(70)

Dec 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-690

 

શાણાને સેવનાર,વિદ્વાન,ધાર્મિક,આંખને પ્રિય લાગે એવો,મિત્રવાળો,અને મધુર વાણીવાળો જે સ્નેહી હોય તેનું પરિપાલન કરવું.

કુલીન હોય અકુલીન હોય પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી,ધર્મની અપેક્ષા રાખે છે,વૃત્તિ સરળ રાખે છે અને દુષ્કાર્યમાં લજ્જા રાખે છે તે સેંકડો કુલીનો કરતાં પણ શ્રેષ્ઠ છે.જે બે મિત્રોના મન સાથે મન,બુદ્ધિ સાથે બુદ્ધિ અને ગુપ્ત વિચાર સાથે ગુપ્ત વિચાર મળતા આવે છે તે બંનેની મિત્રતા ક્ષીણ થતી નથી.

Dec 13, 2024

Vipasana (Vipasyana) in Gujarati-Easy Explaination


અત્યારની ભાગદોડ ની જિંદગીમાં કોઈને કશા માટે સમય નથી .....અને જયારે સમય જ સમય હોય 
તેવી પરિસ્થિતિમાં માનવ પહોચે ત્યારે તે સમયને --સમજીને-- વિચારી શકે-- તેવી સ્થિતિ રહેતી નથી.
માનવને જો જરા બેસવાનું કહેવામાં આવે તો તે તરત જ પૂછે છે કે--બેસીને શું કરવાનું?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-689

 

જે મનુષ્ય દરિદ્રી,દીન તથા દુઃખી એવા પોતાના જ્ઞાતિબંધુ પર કૃપા કરે છે તેમનું કુટુંબ વૃદ્ધિ પામે છે અને તે પરમ કલ્યાણ ભોગવે છે,માટે જેઓ શુભ ઇચ્છતા હોય તેઓએ ન્યાતિલાઓની વૃદ્ધિ કરવી.હે રાજન,માટે તમે પણ સારી રીતે કુળની વૃદ્ધિ થાય તેવું આચરણ કરો.જ્ઞાતિજનો ગુણરહિત હોય તો પણ તેઓનું રક્ષણ કરવું જોઈએ,ત્યારે પાંડવો તો ગુણસંપન્ન છે અને તમારી કૃપાની આકાંક્ષા કરનારા છે તો મારે કહેવું જ શું? હે રાજન,તમે પાંડવો પર કૃપા કરો,તેઓને જીવિકા માટે કેટલાંએક ગામો આપો,ને તેમ કરવાથી તમને યશ પ્રાપ્ત થશે.તમે વૃદ્ધ છો માટે તમારે પુત્રોને શિખામણ આપવી જોઈએ અને મારે પણ તમને હિત કહેવું જોઈએ.મને તમારો હિતૈષી જાણો.(22)

Dec 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-688

 

અધ્યાય-૩૯-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II अनिश्वरोयं पुरुषो भवाभवे सुत्रप्रोता दारुभयिव योषा I धात्रा तु दिष्टस्य वशे कृतोऽयं तस्माद्वद त्वं श्रवणे ध्रुतोहम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સૂતર પરોવેલી લાકડાની પૂતળીની જેમ,આ પુરુષને વિધાતાએ દૈવને આધીન કરેલો છે,તેથી તે ઐશ્વર્ય તથા અનૈશ્વર્યના સંબંધમાં સ્વતંત્ર નથી,માટે તું મને દોષ ન દેતાં બોધવચન કહે,હું તે ધૈર્યથી સાંભળવા તૈયાર છું 

વિદુર બોલ્યા-હે ભારત,સમયને અયોગ્ય વચન સાક્ષાત બૃહસ્પતિ બોલે તો પણ તેનું અપમાન થાય છે અને તેની બુદ્ધિની અવજ્ઞા થાય છે.કોઈ દાનથી પ્રિય થાય છે,કોઈ પ્રિય બોલવાથી પ્રિય થાય છે,કોઈ મંત્ર તથા મૂળના બળથી પ્રિય થાય છે પણ નિષ્કારણ જ પ્રિય લાગે તે જ ખરો પ્રિય છે.જે પોતાને જ અપ્રિય હોય તે સજ્જન હોય,બુદ્ધિશાળી હોય તથા પંડિત હોય તો પણ સારો લાગતો નથી.જે પ્રિય હોય તેના સર્વ કાર્યો સારાં લાગે છે ને અપ્રિયનાં કાર્યો પાપભરેલાં લાગે છે (4)

Dec 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-687

 

જે રાજાની મસલતને બહારનું તથા ઘરનું કોઈ જાણતું નથી અને જે દૂતો દ્વારા બીજાની મસલતો જાણી લે છે તે રાજા ઘણો સમય ઐશ્વર્ય ભોગવે છે.ધર્મ,કામ અને અર્થનાં કાર્યો કરવા ધારેલાં હોય તે કહેવાં નહિ,પણ તે કરેલાં જ દેખાડવાં,એમ કરવાથી મસલત ફૂટતી નથી.ઉત્તમ મસલત જાણવાને મિત્ર વિના બીજો લાયક નથી.છતાં,જો મિત્ર બહુ બોલકણો હોય તો તેને ગુપ્ત વિચાર જણાવવો નહિ.રાજાએ પરીક્ષા કર્યા વગર કોઈને પણ પોતાનો મંત્રી કરવો નહિ,કારણકે ધનલાલસાની પૂર્તિ અને મંત્રરક્ષણ એ બંને મંત્રીને આધીન હોય છે.આવા ગુપ્ત મસલતવાળા રાજાના કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે.(21)

Dec 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-686

 

અધ્યાય-૩૮-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II ऊर्ध्व प्राणात्ध्युत्क्रामंति यूनः स्थविर आयति I प्रत्युथानाभिवादाभ्यां पुनस्तान्प्रतिपध्यते  II १ II

વિદુર બોલ્યા-વૃદ્ધ પુરુષ આવે ત્યારે (તેનું સ્વાગત કરવા) તરુણના પ્રાણો ઊંચે ચડી જાય છે,છતાં તે ઉઠીને તેને અભિવંદન કરીને પુનઃ પ્રાણોને પોતાના સ્થાનમાં પ્રાપ્ત કરે છે.પણ,ધીર પુરુષે જયારે પોતાને ઘેર સત્પુરુષ આવે ત્યારે પ્રથમ તેને બેસવા માટે આસન આપવું,પછી પાણીથી તેના પગ ધોવા,ને પછી કુશળ પૂછીને તેને આદરથી ભોજન કરાવવું.

વૈદ્ય,શસ્ત્રકર્તા,બ્રહ્મચર્યથી ભ્રષ્ટ,ચોર,ક્રૂર,મદ્યપાન કરનારો,ગર્ભપાત કરાવનારો,સેનાથી જીવિકા ચલાવનારો અને વેદવિક્રય કરનારો-એટલા તો પાણીને માટે પણ યોગ્ય નથી છતાં એમાંનો કોઈ અતિથિ તરીકે પોતાને ત્યાં આવેલો હોય તો તેનું પ્રેમથી સ્વાગત કરવું.મીઠું,રાંધેલું અન્ન,દહીં,દૂધ,મધ,તેલ,ઘી,તલ,માંસ,ફળ,મૂળ,શાક,રંગીત વસ્તુ,સર્વ સુગંધી પદાર્થો અને ગોળ,એટલી વસ્તુઓ વેચવા યોગ્ય નથી,પરંતુ એ વેચનારો અતિથિ તરીકે આવ્યો હોય તો તેનું સ્વાગત કરવું (5)

Dec 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-685

 

દુષ્ટ બુદ્ધિવાળા લોકો,જેવી બીજાના દોષ જોવાની ઈચ્છા રાખે છે તેવી તેમના ઉત્તમ ગુણો જોવાની ઈચ્છા રાખતા નથી.ઉત્કૃષ્ટ અર્થસિદ્ધિની જેઓને ઈચ્છા હોય તેણે પ્રથમથી જ ધર્માચરણ કરવું કારણકે જેમ,અમૃત સ્વર્ગલોકમાંથી દૂર જતું નથી તેમ અર્થ-ધન ધર્મથી દૂર જતું નથી,જેણે પાપથી દૂર થયેલા પોતાના મનને કલ્યાણમાં જોડ્યું છે,તેણે પ્રકૃતિ (માયા)તથા વિકૃતિ(મહત તત્વ-આદિ) સર્વને જાણ્યું છે.જે મનુષ્ય ધર્મ,અર્થ તથા કામનું યથાસમય સેવન કરે છે તેને આ લોકમાં ધર્મ,અર્થ અને કામનો સંબન્ધ પ્રાપ્ત થાય છે.જે મનુષ્ય ક્રોધ તથા હર્ષના ઉપડેલા વેગને સારી રીતે કબ્જે રાખે છે અને જે સંકટમાં મુંઝાતો નથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે (51)

Dec 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-684

 

બુદ્ધિ,કુલીનતા,શાસ્ત્રજ્ઞાન,ઇન્દ્રિય નિગ્રહ,પરાક્રમ,અલ્પ ભાષણ,યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરુષોને દીપાવે છે.વળી રાજા જે મનુષ્યનો સત્કાર કરે છે તે મનુષ્યમાં બીજા ગુણો ન હોય તો પણ આ રાજસન્માનરૂપી ગુણ જે મનુષ્યમાં હોય તે ગુણી છે એમ મનાય છે,ને આ ગુણ તેને દીપાવે છે.(32)

Dec 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-683

અધ્યાય-૩૭-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II सप्तदशेमान राजेन्द्र मनुः स्वायंभुवोब्रवीत I वैचित्रविर्य पुरुषानाकाशं मुष्टिभिर्न्घत :II १ II

વિદુર બોલ્યા-હે વિચિત્રવીર્યના પુત્ર,હે રાજેન્દ્ર,હવે પછી કહેલા સત્તર પુરુષોને સ્વાયંભુવ મનુએ,

મુષ્ટિથી આકાશને પ્રહાર  કરનારા (અર્થાંત અતિમૂર્ખ) કહ્યા છે.

જે ઉપદેશ કરવા યોગ્ય ના હોય તેને ઉપદેશ કરનારો,અલ્પ લાભથી સંતોષ માનીને બેસી રહેનારો,પોતાના કાર્ય માટે વારંવાર શત્રુની સેવા કરનારો,સ્ત્રીઓને સાચવ્યા કરવાથી પોતાનું કલ્યાણ માનનારો,યાચના ન કરવા જેવાની યાચના કરનારો,બડાઈ માનનારો,સારા કુળમાં જન્મી અયોગ્ય કામ કરનારો,પોતે નિર્બળ છતાં બળવાનની સામે નિત્ય વેર રાખનારો,અશ્રધ્ધાળુને હિતની વાત કહેનારો,ન ઇચ્છવા જેવી વસ્તુની ઈચ્છા રાખનારો,સસરો હોઈને વહુની મશ્કરી કરનારો,વહુના પિતા વગેરેથી આપત્તિમાં રક્ષણ મેળવીને તેઓથી જ માનની ઈચ્છા રાખનારો,પરસ્ત્રીમાં બીજ વાવનારો,સ્ત્રીની સાથે વારંવાર લડાઈ કરનારો,વસ્તુ લીધા પછી 'મને યાદ નથી'તેમ કહેનારો,વાણીથી આપવાનું કહ્યા પછી યાચક યાચના કરે એટલે દાન આપ્યા વિના જ બડાઈ મારનારો,અને ખોટાને ખરું ઠરાવનારો-આ સત્તરને યમદૂતો નરકમાં લઇ જાય છે.(6)

Dec 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-682

જેમ,હંસો સુકાયેલા સરોવરને છોડી દૂર જાય છે તેમ,ચંચળ ચિત્તવાળા,અવિવેકી,ઇન્દ્રિયોના દાસ થયેલા પુરુષને લક્ષ્મી છોડીને દૂર જાય છે.જેમ,વાદળાં કે ક્ષણમાં એકઠાં થાય છે અને ક્ષણમાં નષ્ટ થઇ જાય છે તેમ,દુર્જનોનો એવો સ્વભાવ છે કે તેઓ કારણ વિના જ એકાએક ક્રોધ કરે છે ને કારણ વિના જ પ્રસન્ન થાય છે.મિત્રોએ પોતાનો સત્કાર કરીને કે પોતાનું કામ કરી આપ્યું હોય છતાં જેઓ મિત્રોનું હિત કરતા નથી તેવા કૃતઘ્નીઓ જયારે મરી જાય છે ત્યારે તેમના શબને માંસભક્ષક પ્રાણીઓ પણ 

(પોતે તેવા થઇ જાય એ ડરથી)ખાતા નથી.પોતાની પાસે ધન હોય અથવા ન હોય તો પણ મિત્રોની પાસે માંગણી કરવી જ જોઈએ કારણ કે માગ્યા વિના મિત્રોના સારની તથા અસારતાની પરીક્ષા થતી નથી (43)

Dec 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-681

 

જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે,કોઈના અક્લ્યાણની ઈચ્છા કરતો નથી,સત્ય બોલે છે,કોમળ ભાવ રાખે છે,ને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે ઉત્તમ પુરુષ છે.જે મિથ્યા સાંત્વન કરતો નથી,આપવા કહેલી વસ્તુ આપે છે અને બીજાનાં છિદ્રોને જાણે છે તે મધ્યમ પુરુષ છે.દુઃખ વડે ઉપદેશ કરાય તેવો,માર ખાનાર,શસ્ત્રોથી ઘવાતાં છતાં ક્રોધને લીધે પાછો ન ફરનાર,કૃતઘ્ની,કોઈનો પણ મિત્ર નહિ,ને દુષ્ટ અંતઃકરણવાળો પુરુષ અધમ વૃત્તિવાળો કહેવાય છે.(18)

Dec 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-680

 

અધ્યાય-૩૬-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II अत्रैवोदाहरंतिममितिहासं पुरातनम् I आत्रेयस्य च संवादं साध्यानां चेति नः श्रुतम् II १ II

વિદુર બોલ્યા-આ સંબંધમાં આત્રેય અને સાધ્યોના સંવાદનો એક પુરાતન ઇતિહાસ ઉદાહરણરૂપે કહેવામાં આવે છે,એવું મારા સાંભળવામાં છે.પૂર્વે હંસ (પરિવ્રાજક)રૂપથી ફરતા,મહાબુદ્ધિમાન એવા મહર્ષિ આત્રેયની પાસે જઈને સાધ્યદેવોએ,તેમને પ્રશ્ન કર્યો કે-'હે મહર્ષિ,અમે સાધ્યદેવો છીએ,અમે તમારા વિષે અનુમાન કરી શકતા નથી,તો પણ,તમે શાસ્ત્રજ્ઞાન વડે ધીર અને બુદ્ધિમાન છો,એમ અમે માનીએ છીએ.માટે તમે વિદ્વાનનાં લક્ષણને કહેનારી ઉદાર વાણી અમને કહેવા માટે યોગ્ય છો'

Dec 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-679

 

યજન,અધ્યયન,દાન,તપ,સત્ય,ક્ષમા,દયા અને ઉદારતા આ આઠ પ્રકારનો ધર્મનો માર્ગ કહેલો છે.

આમાં પ્રથમ ચારનો વર્ગ દંભને માટે પણ સેવન કરાય છે અને પાછળના ચારનો વર્ગ મહાત્મા સિવાય બીજામાં હોતો નથી.જેમાં વૃદ્ધો નથી તે સભા નથી,જેઓ ધર્મ કહેતા નથી તે વૃદ્ધો નથી,જેમાં સત્ય નથી તે ધર્મ નથી અને જે છળભરેલું છે તે સત્ય નથી.સત્ય,સૌમ્ય રૂપ,શાસ્ત્રભ્યાસ,દેવોપાસન,કુલીનતા,શીલ,બળ,શાન,શૌર્ય અને યુક્તિવાળું વચન આ દશ સ્વર્ગના હેતુ છે.પાપકીર્તિવાળો મનુષ્ય પાપ કરીને પાપનું જ ફળ ભોગવે છે અને પુણ્યકીર્તિવાળો મનુષ્ય પુણ્ય કરીને પુણ્યનું જ ફળ ભોગવે છે.માટે સદાચારી મનુષ્યે પાપ કરવું નહિ.

ને પુણ્યનું જ સેવન કરવું.વારંવાર કરાતું પાપ બુદ્ધિનો નાશ કરે છે.