Jan 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-718

 

અધ્યાય-૫૩-ધૃતરાષ્ટ્રનો વિલાપ 

II धृतराष्ट्र उवाच II यथैव पांडवा: सर्वे पराक्रांता जिगीषव: I तथैवामिसरास्तेषां त्यत्कात्मानो जयेधृताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-સર્વ પાંડવો જે પ્રમાણે પરાક્રમી ને વિજયની ઈચ્છાવાળા છે,તે પ્રમાણે તેમના અગ્રેસરો પણ પ્રાણ આપવા તૈયાર ને વિજયને

માટે નિશ્ચયવાળા છે.પંચાલ,કેકય,મત્સ્ય,માગધ તથા વત્સદેશી પરાક્રમી રાજાઓના જે નામ તેં કહ્યાં હતાં તે અને ઈચ્છા કરતાં જ

ઇન્દ્રસહિત સર્વલોકોને વશ કરે તેવા જગતના સ્ત્રષ્ટા કૃષ્ણ,પાંડવોના જયનો નિશ્ચય કરીને બેઠા છે.

શિનીનો પુત્ર સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન પણ પરાક્રમથી યુદ્ધ કરશે.હે તાત,મને યુધિષ્ઠિરના ક્રોધથી,અર્જુનના પરાક્રમથી ને ભીમ,નકુળ ને

સહદેવથી ભય થાય છે.પાંડવો રણભૂમિમાં અમાનુષ શસ્ત્રજાળ પાથરશે,તેથી હું વિલાપ કરું છું (7)

Jan 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-717

 

અધ્યાય-૫૨-અર્જુન તરફના ભયનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II यस्य वै नानृतावाच: कदचिद्नुशुश्रुम I त्रैलोक्यमपि तस्य स्याध्योद्वा यस्य धनंजयः II १ II

ધૃતરાષ્ટ બોલ્યા-અમે જેની વાણી કોઈ પણ દિવસ મિથ્યા સાંભળી નથી અને જેનો અર્જુન યોદ્ધો છે,તે યુધિષ્ઠિરને ત્રણે લોકનું રાજ્ય મળે તેમ છે.હું વિચાર કરું છું કે એવો કોઈ જ પુરુષ નથી કે જે અર્જુનની સામે અડવા જાય.કર્ણી અને નાલીક જાતનાં,હૃદયને ચીરી નાખનારા બાણો છોડનારા તે ગાંડીવધારી અર્જુનની સામે જનારો તેનો બરોબરીઓ મને કોઈ જ દેખાતો નથી.દ્રોણ અને કર્ણ જો અર્જુનની સામે યુદ્ધ કરવા જાય તો જય કોનો થશે?એ સંબંધી લોકોમાં મોટો સંદેહ ઉત્પન્ન થાય,પરંતુ મારા પક્ષનો તો વિજય થવાનો જ નથી કારણકે કર્ણ દયાળુ ને પ્રમાદી છે અને દ્રોણાચાર્ય વૃદ્ધ અને તેઓના પણ ગુરુ છે.બીજી તરફ અર્જુન,સમર્થ,બળવાન,દૃઢ ધનુષ્યવાળો ને શ્રમરહિત છે.(6)

Jan 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-716

 

આ ભીમસેન,ગદારહિત,ધનુષરહિત,રથ ને કવચરહિત થઈને માત્ર બે હાથથી યુદ્ધ કરે તો પણ તેની સામે કયો પુરુષ ઉભો રહી શકે તેમ છે? તેના પરાક્રમને હું જાણું છું,તેમ જ ભીષ્મ,દ્રોણ અને કૃપ પણ જાણે છે.પરંતુ તે મહાપુરુષો,આર્યપુરુષોના વ્રતને જાણે છે તેથી અને સંગ્રામનો અંત લાવવાની ઈચ્છાથી તેઓ મારા પુત્રોની સેનાના મોખરા પર ઉભા રહેશે.મને પાંડવોનો જય દેખાય છે,છતાં હું મારા પુત્રોને રોકતો નથી,એ ઉપરથી પુરુષનું દૈવ જ બળવાન છે એમ હું માનું છું.(47)

Jan 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-715

 

અધ્યાય-૫૧-ભીમથી ત્રાસ 


II धृतराष्ट्र उवाच II सर्व एते महोत्साहा ये त्वया परिकीर्तिताः I एकतस्त्वेव ते सर्व समेता भीम एकतः  II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તેં જે યોદ્ધાઓ કહ્યા તે સર્વે મોટા ઉત્સાહવાળા છે પણ તે એકઠા મળેલાને એક તરફ મૂકીએ અને ભીમ એકલાને એક તરફ મૂકીએ તો તે સર્વની સમાન થાય.જેમ,વાઘથી મહામૃગને ભય લાગે તેમ મને તે ક્રોધી તથા અસહનશીલ ભીમનો મહાભય લાગે છે,ને હું નિસાસા નાખતો રાતોના ઉજાગરા કરું છું.તેના સમાન હું આપણી સેનામાં કોઈને જોતો નથી કે જે તેની સામે યુદ્ધમાં ટકી શકે,તે મહાબળવાન મારા પુત્રોનો સંહાર કરી નાખશે.હું મારા મનથી,ભીમની તે આઠ ખૂણાવાળી ભયંકર ગદાને,ઉગામેલા બ્રહ્મદંડની જેવી જોઉં છું કે જે મહાહઠે ભરાયેલા કૌરવોને યુદ્ધમાં દંડધારી કાળરૂપ થઇ પડશે.(8)

Jan 16, 2025

Bhagvat-Gujarati-with shlok and translation-As it is

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-714

 

અધ્યાય-૫૦-પાંડવોના પક્ષનું સંજયનું ભાષણ 


II धृतराष्ट्र उवाच II किमसौ पाण्डवो राज धर्मपुत्रोभ्यभाषत I श्रुत्वेह बहुलाः सेनाः प्रीत्यर्थ नः समागताः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,અહીં અમારી પ્રીતિને માટે ઘણી સેનાઓ આવી છે,એ સાંભળીને ધર્મપુત્ર યુધિષ્ઠિર શું બોલ્યો?

યુદ્ધની ઈચ્છાથી તે શી તૈયારી કરી રહ્યા છે? અને તેને યુદ્ધ કરવા માટે કોણ સાથ આપે છે ને કોણ રોકે છે?

સંજય બોલ્યો-પાંડવોની સાથે પાંચાલો,યુધિષ્ઠિરની આજ્ઞા ઉઠાવવા માટે તેમની સામે ઉભા છે.પાંચાલો,સોમકો યુધિષ્ઠિરને અભિનંદન આપે છે ને તેમનું સન્માન કરે છે.કેકયો અને મત્સ્યો પણ તેમનું સન્માન કરે છે.(8)

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડ્વો કોના સૈન્યની સહાયથી યુદ્ધ કરવા તૈયાર થયા છે? ધૃષ્ટદ્યુમ્નના સૈન્ય કે સોમકોના સૈન્યથી?

Jan 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-713

 

હે દુર્યોધન,તું જો મારુ કહેવું માનીશ નહિ,તો કૌરવોનો વિનાશ પાસે જ આવી લાગ્યો છે એમ સમજ.તારી બુદ્ધિ અધર્મ ને અર્થથી ભ્રષ્ટ થઇ છે.તારે સર્વને મરણ પામેલા સાંભળવા પડશે કારણકે સર્વ કૌરવો તારા મતને જ અનુસરે છે,ને તું ત્રણના જ મતને માન્ય ગણે છે.કે જેમાંનો એક,પરશુરામે જેને શાપ આપેલો છે તે હલકી જાતિનો સૂતપુત્ર કર્ણ છે,બીજો સુબલનો પુત્ર શકુનિ છે ને ત્રીજો તારો પાપી ભાઈ દુઃશાસન છે (28)

Jan 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-712

અધ્યાય-૪૯-ભીષ્મ તથા દ્રોણનાં વાક્યો 


 II वैशंपायन उवाच II समवेतेषु सर्वेषु तेषु राजसु भारत I दुर्योधनमिदं वाक्यं भीष्मः शान्तनवोब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,તે સર્વે રાજાઓ એકઠા મળ્યા હતા,તેમાં શાંતનુના પુત્ર ભીષ્મ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'પૂર્વે બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બ્રહ્મા પાસે ગયા હતા તે સમયે ઇન્દ્ર સહિત વાયુઓ,આદિત્યો,સપ્તર્ષિઓ-આદિ સર્વ પણ બ્રહ્મા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમને વીંટળાઈને બેઠા.તે વખતે પોતાના તેજ વડે આકર્ષણ કરતા પુરાતન દેવ નર અને નારાયણ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે બૃહસ્પતિએ બ્રહ્માને પૂછ્યું કે-'તમારી ઉપાસના ન કરનારા આ બે કોણ છે?તે કહો.

Jan 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-711

 

હે સંજય,એક દિવસે હું પ્રાતઃકાળમાં સંધ્યાવંદન કરી રહ્યો હતો ત્યારે એક બ્રાહ્મણે મને કહ્યું હતું કે-'હે પાર્થ,તારે શત્રુઓની સામે યુદ્ધ કરવાનું દુષ્કર કર્મ કરવાનું છે.માટે જો તારી ઈચ્છા હોય તો,વજ્રધારી ઇન્દ્ર,હરિ નામના ઘોડાઓ જોડેલ રથમાં બેસીને શત્રુઓનો નાશ કરતા તારી આગળ ચાલશે અથવા શ્રીકૃષ્ણ સૂગ્રીવાદિ ઘોડાઓ જોડેલા રથમાં બેસીને તારું પાછળથી રક્ષણ કરશે' તે વખતે મેં વજ્રધારી ઇન્દ્ર કરતાં આ યુદ્ધને માટે શ્રીકૃષ્ણને જ સહાયક માગી લીધા અને ચોરોનો વધ કરવા તે કૃષ્ણ મને મળ્યા.હું માનું છું કે દેવતાઓએ જ મારે માટે એ નિર્માણ કરેલું છે.શ્રીકૃષ્ણ જાતે યુદ્ધ ન કરે તો પણ તે તેમના મનમાં જે પુરુષના જયની ઈચ્છા કરે તે પુરુષ ઇન્દ્રસહિત સર્વ દેવોનો પણ પરાજય કરી શકે તો પછી સામાન્ય મનુષ્યની તો શાની ચિંતા હોય?

Jan 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-710

 

દુર્યોધન,જો અજમીઢવંશી યુધિષ્ઠિર રાજાને રાજ્ય આપશે નહિ તો,ધૃતરાષ્ટ્રના પુત્રોએ જેનું ફળ હજી ભોગવ્યું નથી,એવું પાપકર્મ પૂર્વે અવશ્ય કરેલું છે એમ માનવું કેમ કે પાંડવો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ અને જે અપકારનું ચિંતન કરવાથી જ પૃથ્વી ને સ્વર્ગને બાળી મૂકે તેવા છે તે યુધિષ્ઠિરની સાથે અવશ્ય યુદ્ધ કરવું પડશે.દુર્યોધન જો યુદ્ધ કરવાની જ ઈચ્છા રાખતો હોય તો પાંડવોને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે-એમ જ સમજ.માટે પાંડવોના હિતને માટે તું અર્ધું રાજ્ય મળે તેમ કરીશ નહિ પણ જો તારી માન્યતા હોય તો યુદ્ધ થવા જ દેજે.(10)

Jan 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-709

 

યાનસંધિ પર્વ 

અધ્યાય-૪૭-સંજય સભામાં આવ્યો 

 II वैशंपायन उवाच II एवं सनत्सुजातेन विदुरेण च धीमता I सार्ध कथयेतो राज्ञः स व्यतीयाय शर्वरी II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે સનત્સુજાત અને બુદ્ધિમાન વિદુરની સાથે વાર્તાલાપ કરતા ધૃતરાષ્ટ્રની તે રાત વીતી ગઈ.પ્રભાત થતા,સર્વે રાજાઓ સંજયને મળવાની ઈચ્છાથી પ્રસન્ન થઈને સભામાં દાખલ થયા.તે સુંદર રાજસભામાં,પાંડવોનાં ધર્મ તથા અર્થયુક્ત વચનો સાંભળવાની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને આગળ કરીને ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે અને દુર્યોધનને આગળ કરીને શકુનિ,કર્ણ વગેરે તથા સર્વ રાજાઓ દાખલ થયા.પછી,સંજય પણ ત્યાં આવી પહોંચ્યો ને કહેવા લાગ્યો કે-'હું પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.પાંડવો સર્વ કૌરવોને વયના પ્રમાણમાં અભિનંદન ને વૃદ્ધોને વંદન આપ્યા છે.પાંડવોએ મળીને જે સંદેશો કહ્યો છે તે હું હવે સર્વને કહીશ,તે તમે સર્વ સાંભળો (17)

અધ્યાય-47-સમાપ્ત 

Jan 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-708

 

જેમ,સર્પો દરમાં રહીને પોતાના શરીરને છુપાવે છે,તેમ,કેટલાક (દંભી)મનુષ્યો પોતાના ગુરુના શિક્ષણથી અથવા દંભી વર્તનથી પોતાના પાપોને છુપાવે છે.આવા પુરુષો પર મૂઢ મનુષ્યો મોહ પામે છે,ને તે દંભી પુરુષો તે મૂઢોને નરકમાં નાખવા મોહિત કરે છે,માટે પરમાત્માના લાભને માટે સારી રીતે પરીક્ષા કરેલ સજ્જનોની જ સંગતિ કરવી જોઈએ.જીવન્મુકતને અનુભવ થાય છે કે 'હું ત્રણે કાળમાં અસત એવા દેહાદિકના ધર્મવાળો નથી,માટે મને જીવન-મૃત્ય નથી,ને જયારે મને બંધન નથી તો મોક્ષ કોનાથી?

સત્ય અને અસત્યરૂપ જગત સત્ય તથા સમાન એવા બ્રહ્મને આધીન છે અને કાર્ય-કારણની ઉત્પત્તિનું સ્થાન હું એક જ છું'

તેવા મને -સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (22)

Jan 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-707

 

તે પરમાત્મા (બ્રહ્મ)થી જ વાયુ ઉત્પન્ન થયો છે અને સર્વદા તેમાં જ અધીન થઈને રહે છે.તે બ્રહ્મથી અગ્નિ તથા સોમ (ભોક્તા-ભોજ્ય) ઉત્પન્ન થયાં છે અને તેનામાં પ્રાણ,દેહ તથા ઇન્દ્રિય-આદિનો સમૂહ વિસ્તાર પામીને રહેલો છે.

આ સર્વ જગત,તેનાથી જ ઉત્પન્ન થયેલું જાણવું.'તત' શબ્દથી કહેવાતા તે પરમાત્મા (બ્રહ્મ)નું વર્ણન કરવા અમે સમર્થ નથી.વાણીના અવિષય તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (12) પ્રાણ,અપાનને ગળે છે,ચંદ્ર પ્રાણને ગળે છે,આદિત્ય ચંદ્રને ગળે છે ને પરમાત્મા આદિત્યને ગળે છે,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (14)

Jan 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-706

 

અધ્યાય-૪૬-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II सनत्सुजात उवाच II यत्तच्छुकं महज्योति दीप्यमानं माध्यशः I तद्वै देवा उपासते तस्मार्योविराजते II १ II

જે શુક્ર,મહત,જ્યોતિ,દીપ્યમાન ને મહદ્યશ-એવા નામવાળા પરમાત્મા છે,તેની જ દેવો ઉપાસના કરે છે અને તે મૂળકારણરૂપ બ્રહ્મથી,સૂર્ય (એટલે કે જગતની ઉત્પત્તિ કરવારૂપી ધર્મવાળા માયાની ઉપાધિવાળા ઈશ્વર) પ્રકાશે છે,ને તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ (સૂર્યરૂપે) જુએ છે (1) બ્રહ્મ(એટલે જગતને ઉત્પન્ન ને વિસ્તૃત કરનાર),એ પરમ વ્યોમ(આકાશ) નામનું અવ્યાકૃત,અવસ્તુરૂપ (પણ આનંદરૂપ) છે,તો પણ તે ચૈતન્ય પ્રતિબિંબને પામીને,જગતનાં જન્માદિક કાર્ય કરવા સમર્થ થાય છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે.તે શુક્ર (આનંદ-બ્રહ્મ),જ્યોતિષિઓ-સૂર્યાદિની અંદર રહીને પ્રકાશે છે,પણ,પોતે અતપ્ત 

(એટલે કે બીજાથી અપ્રકાશિત કે સ્વયંજ્યોતિ)છે ને સૂર્યાદિકને તપાવે છે,જે (બ્રહ્મ)ને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(2)

Jan 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-705

 

સ્નેહના છ ગુણો જાણવા યોગ્ય છે.સ્નેહીનાં સુખથી સુખી થવું,દુઃખથી દુઃખી થવું,પોતાની ગમતી ને ન માગવા જેવી વસ્તુ પણ જો સ્નેહી માગે તો આપવી,પોતાના ઇષ્ટ વૈભવો,પુત્રો અને પોતાની સ્ત્રી પણ,યાચના કરેલ સ્નેહીને અર્પણ કરવા યોગ્ય છે.

જેણે પોતે સર્વસ્વ આપ્યું હોય,તેના ઘરમાં કામથી (એટલે મેં આના પર ઉપકાર કર્યો છે)એવી બુદ્ધિથી વાસ કરવો નહિ.

પોતા મેળવેલા ધનનો જ ઉપભોગ કરવો અને મિત્રના હિતને માટે પોતાનું હિત છોડી દેવું-આ છ સ્નેહના ગુણો છે (13)