Oct 1, 2019

ભાગવત રહસ્ય-૮૦

વૈષ્ણવો -પ્રેમથી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાનથી અદ્વૈત માન્યું છે.
વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)

Sep 30, 2019

ભાગવત રહસ્ય-૭૯

એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને કહેલું કે-જયારે શેષનાગ આવી તારા માથા પર છત્ર ધરે-ત્યારે માનજે કે તું પૂર્ણ થયો છું. અને એવું જ બન્યું.
મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.

Sep 29, 2019

ભાગવત રહસ્ય-૭૮

ધ્યાનના આરંભમાં માનસી સેવા(માનસિક ધ્યાન) કરવી. (આ ભક્તિયોગની એક સહેલી રીત છે).પ્રતિદિન સવારના પહોરમાં –આંખો બંધ કરી-(શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ ગમતું હોય તેની માનસિક કલ્પના કરો,)બાલકૃષ્ણનું સ્વરૂપ જો ગમતું હોય તો-કલ્પના કરો-કે-બાલકૃષ્ણે-રેશમના વાઘા પહેર્યા છે-મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય છે,મોરપીંછ ધારણ કર્યું છે,કેડ પર કંદોરો છે,હાથમાં મોરલી છે,આંખોમાં મેંશ આંજી છે,ચરણોમાં નુપુર છે, અને બાલકૃષ્ણ લાલ છમ-છમ કરતા ચાલતાં ચાલતાં આવે છે.