Aug 19, 2020

ભાગવત રહસ્ય -૩૬૫

એક વાર ભજનમાં આનંદ મળી જાય પછી સંસારનો આનંદ ફિક્કો લાગે છે.આ જીવને ભજનમાં આનંદ મળતો નથી એટલે બીજે આનંદ ખોળવા જાય છે.પતિ શાંડિલ્યઋષિ ભોજન કરતા નથી એટલે પત્ની પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે છે.ઘરમાં એક છોકરો મધુમંગલ છે,હજુ નાનો છે,જનોઈ આપી નથી એટલે નંદબાબાને ઘેર જમવા જાય છે.યશોદાજી વૈશ્ય છે એટલે શાંડિલ્યઋષિને કહેલું કે જનોઈ ના આપો ત્યાં સુધી મધુમંગલ ભલે અમારે ત્યાં જમે.ગોરનો દીકરો એટલે યશોદા મા મધુમંગલને માનથી અને પ્રેમથી જમાડે છે.

Aug 18, 2020

ભાગવત રહસ્ય -૩૬૪

એક ગોપબાળક,કનૈયા ને કહે છે કે-લાલા,મારી મા એ તારા માટે જલેબી બનાવી છે.મારી મા ને ખબર છે કે લાલાને જલેબી બહુ ભાવે છે.લાલા,હું તારા માટે જલેબી લાવ્યો છું.બીજો બાળક કહે છે કે-કનૈયા,મારી મા એ તારા માટે બરફી બનાવી છે.તો વળી ત્રીજો કહે છે-કે-મારી મા એ તારા માટે દહીંવડાં બનાવ્યા છે.
કનૈયો કહે છે કે-હું એકલો નહિ ખાઉં,આપણે સર્વ સાથે મળીને વહેંચીને ખાઈએ.કનૈયો મિત્રો ને સમજાવે છે કે-એકલા કદી ના ખાવ.થોડું થોડું સર્વને આપો.પાસે જો થોડું હોય તો પણ થોડો ભાગ બીજા માટે કાઢી રાખવો અને આપવો.