Sep 4, 2020

ભાગવત રહસ્ય -૩૮૧

માનવ સમાજમાં રહી માનવ થવું સહેલું છે,પણ માનવ સમાજના વિલાસી મનુષ્યો સાથે રહી ભક્તિ કરવી કઠણ છે.વિલાસીના સંગમાં રહેવાથી ભક્તિમાં વારંવાર વિક્ષેપ આવે છે.ભજનાનંદી મહાત્માઓના સત્સંગ થી-કે-ગીતા-ભાગવતના સત્સંગથી ભક્તિ કરવાની પ્રેરણા મળે છે.પ્રવૃત્તિ ધર્મ છોડ્યા વગર ભક્તિનો ઉદય થતો નથી.પરંતુ મનુષ્યને જ્યાં સુધી “શરીરમાં શક્તિ” હોય ત્યાં સુધી પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થતી નથી.પછી બ્લડ-પ્રેસર વધે,શરીર રોગી થાય,શરીર બગડે,
શરીરની શક્તિ જતી રહે એટલે ફરજીયાત પ્રવૃત્તિ છોડવી પડે અને નિવૃત્તિ લે તેનો કોઈ અર્થ નથી.

Sep 3, 2020

ભાગવત રહસ્ય -૩૮૦

પરમાત્માની ભક્તિ વધારવા માટે કોઈ પણ સાધન કરવાનું છે.આખું વર્ષ સતત ભક્તિ થાય તે સારું છે,પણ તેમ ના થઇ શકે તો વર્ષમાં એકાદ મહિનો નિવૃત્તિ લઇ કોઈ પવિત્ર સ્થળમાં એકાંત માં જપ,ધ્યાન,પ્રાર્થના વગેરે કરવાથી ધીરે ધીરે ભક્તિ વધે છે.
કોઈ ગરીબ માણસને ઈચ્છા થાય કે-મારે વિષ્ણુયાગ યજ્ઞ કરાવવો છે.પણ તે ક્યાંથી કરાવી શકે ? પાસે પૈસા ના હોવાથી-વિષ્ણુયાગ યજ્ઞ નો ખર્ચો તે કરી શકે નહિ.કહ્યું છે –કે-કોઈ વિષ્ણુસહસ્ત્ર નામના ૧૫૦૦ પાઠ કરે અને કોઈ ગરીબને જમાડે તો તેને વિષ્ણુયાગનું પુણ્ય મળે છે.કમ સે કમ-પવિત્ર સ્થળમાં રહી વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ પણ કરી શકાય.

Sep 2, 2020

ભાગવત રહસ્ય -૩૭૯

હવે ગોવર્ધનલીલાનો પ્રારંભ થાય છે.ગોવર્ધનલીલા પછી રાસલીલા આવે છે.શ્રીકૃષ્ણે સાતમે વર્ષે ગોવર્ધનલીલા અને આઠમે વર્ષે રાસલીલા કરી એવું ભાગવતમાં લખ્યું છે.
ગોવર્ધન લીલા ના થાય ત્યાં સુધી ભગવાન રાસ રમતા નથી.ગો એટલે ભક્તિ-ગો એટલે જ્ઞાન. જ્ઞાન અને ભક્તિ ને વધારનારી લીલા એ –ગોવર્ધનલીલા.