Jul 10, 2021

Gujarati-Ramayan-Rahasya-11-ગુજરાતી-રામાયણ-રહસ્ય-11

રામજી મર્યાદા પુરુષોત્તમ છે.અને રામાયણ એ મર્યાદા સંહિતા છે.
રામજીએ પૃથ્વી પર પ્રગટ થઇને મનુષ્યોને મર્યાદાઓનું દર્શન કરાવ્યું છે.
મનુષ્ય ગમે તે સંપ્રદાયમાં માનતો હોય કે,કોઈ પણ દેવ –દેવી કે ભગવાનમાં માનતો હોય,પણ રામજીના જેવી મર્યાદાનું પાલન,કે રામજીના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી,ભક્તિ સફળ થતી નથી,ભક્તિનો આનંદ મળતો નથી.બાકી તો મનુષ્ય ને થોડી સંપત્તિ,યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે.રામજીનું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના “નામ”નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઇ જાય છે.વર્તન રાવણ જેવું નહિ પણ રામજીના જેવું રાખવામાં આવે,અને રામ-નામનો જપ કરવામાં આવે તો,તાળવામાંથી અમૃત ઝરે છે.

Jul 9, 2021

Gujarati-Ramayan-Rahasya-10-ગુજરાતી-રામાયણ-રહસ્ય-10

મૃત્યુ સુધરે તેનું કે જેણે જીવનને સુધાર્યું છે.જેણે પળેપળનો સદુપયોગ કર્યો છે.
તન,મન,ધન,વાણી –વગેરે સર્વેનો જે સદુપયોગ કરે,અને પ્રભુના નામ(રામ-નામ) નો આશરો લે તેનું મરણ સુધરે છે.હરિનામ સિવાય મરણ ને સુધારવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી.

તરાપ મારવા ટાંપીને બેઠેલા કાળ (મૃત્યુ)નો મનમાં બરાબર ખ્યાલ રાખીને વ્યવહારની ક્રિયાઓ કરવાની છે.તેને માટે સ્મશાન વૈરાગ્ય પુરતો નથી,દૃઢ વૈરાગ્યની જરુર છે,
રોજ સ્મશાનમાં જવાની જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે.