અધ્યાય-૧૯-યુધિષ્ઠિર અને દુર્યોધનના પક્ષમાં સૈન્યની જમાવટ
II वैशंपायन उवाच II युयुधानस्ततो वीरः सात्वतानां महारथः I महता चतुरंगेण बलेनागायुधिष्ठिरं II १ II
વૈશંપાયન બોલ્યા-તે પછી,યાદવોનો મહારથી વીર સાત્યકિ,મોટી ચતુરંગિણી સેના લઈને યુધિષ્ઠિરની પાસે આવ્યો.જુદા જુદા દેશમાંથી આવીને ભેગા થયેલા મહાપરાક્રમવાળા તથા અનેક પ્રકારના આયુધોવાળા તેના યોદ્ધાઓ તેની સેનાને શોભાવતા હતા.હે રાજા,સાત્યકિની તે અક્ષૌહિણી સેના,યુધિષ્ઠિરની સેનામાં,જેમ નદી સાગરમાં સામે જાય તેમ સમાઈ ગઈ.સાત્યકિની જેમ જ ચેદીવંશમાં શ્રેષ્ઠ ધૃષ્ટકેતુ,એક અક્ષૌહિણી સેના લઇને આવ્યો.મગધદેશનો રાજા,જરાસંઘનો પુત્ર જયત્સેન પણ એક અક્ષૌહિણી સેના લઈને આવ્યો.




