Dec 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-677

 

અધ્યાય-૩૫-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II ब्रुहि भूयो महाबुध्धे धर्मार्थसहितं वचः I शृण्वतो नास्ति मे तृप्तिर्विचित्रानीह भाषसे II १ II

       ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાબુદ્ધિમાન વિદુર,તમે ફરીથી ધર્મ તથા અર્થયુક્ત વચન કહો,

કેમ કે મને તે સાંભળતાં તૃપ્તિ થતી નથી.

વિદુર બોલ્યા-સર્વ તીર્થોમાં સ્નાન કરવું અને પ્રાણીમાત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી,એ બંને સમાન છે,માટે હે રાજા,તમે કૌરવો અને પાંડવો ઉપર નિત્ય સમદ્રષ્ટિ રાખો.ને એમ વર્તવાથી તમે આ લોકમાં ઉત્તમ કીર્તિ પામીને સ્વર્ગમાં જશો.આ વિષયમાં કેશિનીને માટે વિરોચનનો,સુધન્વાની સાથે થયેલો સંવાદ ઉદાહરણ તરીકે કહેવાય છે.(5)

Nov 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-676

 

મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોને,નિયમમાં રાખીને બુદ્ધિ વડે આત્માને ઓળખવો કારણકે બુદ્ધિજ આત્માનો બંધુ છે ને બુદ્ધિ જ આત્માનો શત્રુ છે.હે રાજા,કામ અને ક્રોધ એ બંને બુદ્ધિમાં રહીને બુદ્ધિનો નાશ કરે છે.

જે મનુષ્ય,પાંચ ઈંદ્રિયોરૂપી આંતર શત્રુઓને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવાની ઈચ્છા રાખે છે,તેનો શત્રુઓ પરાભવ કરે છે.હે રાજન,પાપ કરનારાની સંગતિથી નિષ્પાપ મનુષ્યને પણ પાપી જેટલી જ શિક્ષા થાય છે.

માટે પાપીઓનો સંગ કરવો નહિ,જે મોહને લીધે ઇન્દ્રિયોને તાબામાં રાખી શકતો નથી તેને આપત્તિ ગળી જાય છે.

Nov 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-675

 

જેમ,સ્ત્રી,નપુંસક પતિને ચાહતી નથી,તેમ,જે રાજાની કૃપા ને ક્રોધ નિષ્ફળ છે તે રાજાને પ્રજા ચાહતી નથી.

કેટલાંક કામો એવાં હોય છે કે તેના આરંભમાં થોડી મહેનત કરી હોય તો પણ મહાફળ આપે છે,તેવાં કામોનો ડાહ્યો મનુષ્ય ઝટ આરંભ કરે છે,ને તેમાં અંતરાય નાખતો નથી.જે રાજા પ્રેમપૂર્ણ સરળ દ્રષ્ટિથી સર્વ પ્રજા તરફ જુએ છે તે શાંત બેસી રહે તો પણ પ્રજા તેના તરફ પ્રીતિ રાખે છે.જે રાજા નેત્ર,મન,વાણી અને કર્મથી લોકોને પ્રસન્ન રાખે છે,તેના પર લોકો પ્રસન્ન રહે છે.જેમ પારધીથી મૃગ ત્રાસ પામે,તેમ,જે રાજાથી પ્રજા ત્રાસ પામે તે રાજાનું રાજ નાશ પામે છે.જે રાજા બાપદાદાના રાજ્યને પ્રાપ્ત થયો હોય ને અન્યાયથી વર્તતો હોય તે પોતાના કર્મોથી જ રાજ્યનો નાશ કરે છે.ધર્મ પ્રમાણે ચાલનારા રાજાના રાજ્યકાળમાં પૃથ્વી ધનથી ભરપૂર થઈને વૃદ્ધિ પામે છે.(33)

Nov 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-674

 

અધ્યાય-૩૪-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II जाग्रतो दह्यमानस्य यत्कार्यमनुपश्यति I तद्बुध्धि त्वं हि नस्तात धर्मार्थकुशलोह्यसि II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત વિદુર,મને ઊંઘ આવતી નથી ને ચિંતારૂપી અગ્નિથી બળુ છું,માટે તમે જે કાર્ય કરવા યોગ્ય જોતા હો તે કહો કારણકે તમે ધર્મ અને અર્થમાં કુશળ છો.મને ખરેખરું કહો કે યુધિષ્ઠિર શું કરવા ધારે છે?

વિદુર બોલ્યા-હે રાજન,જેનો પરાભવ ન થાય તેવી આપણી ઈચ્છા હોય તેને વગર પૂછ્યે પણ હિતવાત કહેવી,પછી ભલે તે શુભ-અશુભ હોય કે રુચિકર કે અરુચિકર હોય.માટે કૌરવોને જે હિતકારક હોય તે ધર્મયુક્ત વચન સાંભળો.

Nov 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-673

 

જે ઘર છોડીને નકામો પ્રવાસ કરતો નથી,પાપીઓ સાથે મિત્રતા કરતો નથી,પરસ્ત્રીનું સેવન કરતો નથી અને દંભ,ચોરી,ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી,તે સદા સુખી રહે છે.જે મનુષ્ય આવેશને લીધે ધર્મ,અર્થ તથા કામનો આરંભ કરતો નથી,બોલાવીને પૂછવાથી ખરું જ કહે છે,મિત્ર સાથે વિવાદ કરતો નથી ને પોતાનો સત્કાર ન થાય તો કોપતો નથી,તે જ વિદ્વાન છે.જે ઈર્ષા કરતો નથી,દયા રાખે છે,દુર્બળ હોવાથી બીજાની સાથે વિરોધ કરતો નથી,મર્યાદા છોડીને કદી બોલતો નથી અને કોઈ ઉલટું બોલે તો તેને ક્ષમા કરે છે તેવો પુરુષ પ્રસંશા પામે છે.

Nov 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-672

 

ચોરો,ગાફેલ મનુષ્ય પર,વૈદ્યો રોગી પર,પ્રમદાઓ કામી પુરુષ પર,ગોરો યજમાન પર,રાજા વિવાદ કરનારાઓ 

પર અને પંડિતો મુર્ખાઓ પર (આ છ) જીવિકા ચલાવે છે.આવો સાતમો દાખલો મળતો નથી.

ગાયો,સેવા,ખેતી,સ્ત્રી,વિદ્યા ને શૂદ્રનો સ્નેહ,આ છ તરફ બે ઘડી બેદરકાર રહેવાય તો તે વિનાશ પામે છે.

આ (હવે પછીના) છ જણા પૂર્વે ઉપકાર કરનારને અવશ્ય વિસરી જાય છે.ભણી રહેલા શિષ્યો આચાર્યને,પરણેલા પુત્રો માતાને,કામરહિત થયેલો પતિ સ્ત્રીને,કૃતકાર્ય થયેલાઓ કાર્યસાધકને,દુસ્તર જળને તરી ગયેલાઓ નૌકાને,

અને રોગી સારો થયા પછી વૈદ્યને ભૂલી જાય છે.હે રાજન,આરોગ્ય,કરજ વિનાની સ્થિતિ,પ્રવાસ ન કરતાં સ્વસ્થાનમાં નિવાસ,સારા મનુષ્યોની સંગતિ,પોતાને અનુકૂળ જીવિકા અને નિર્ભય વાસ-આ છ જીવલોકનાં સુખ છે.ઇર્ષાખોર,દયાળુ,અસંતોષી,ક્રોધી,નિત્ય શંકિત રહેનારો,ને પારકાના ભાગ્ય પર જીવનારો-આ છ નિત્ય દુઃખી છે.