અધ્યાય-૫૮-ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો સંવાદ
II धृतराष्ट्र उवाच II क्षत्रतेज ब्रह्मचारी कौमारादपि पाण्डवः I तेन संयुगमेष्यन्ति मंदा विलपतो मम II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-યુધિષ્ઠિર બાળપણથી જ ક્ષાત્રતેજથી યુક્ત તથા બ્રહ્મચારી છે.હું વિલાપ કરું છું છતાં તે યુધિષ્ઠિરની સાથે મારા મૂર્ખ પુત્રો યુદ્ધ કરવા તૈયાર થયા છે.ઓ દુર્યોધન,તું યુદ્ધ કરવાનું માંડી વાળ.વિદ્વાનો કોઈ પણ અવસ્થામાં યુદ્ધને વખાણતા નથી.તારા મંત્રીઓની સાથે તને આજીવિકા માટે અર્ધી પૃથ્વી પૂરતી છે.માટે તું પાંડવોને યથાયોગ્ય ભાગ આપી દે.તું પાંડવો સાથે શાંતિ રાખવા ઈચ્છે-એ વાતને જ સર્વે કૌરવો ધર્મયુક્ત માને છે.તું તારી પોતાની સેના તરફ દ્રષ્ટિ કર,તે તારો વિનાશ સૂચવે છે.પણ તું મોહને લીધે સમજતો નથી.હું પોતે યુદ્ધને ઈચ્છતો નથી,બાલહિક યુદ્ધને ઇચ્છતા નથી,તેમ જ ભીષ્મ,દ્રોણ,અશ્વસ્થામા,સંજય,સોમદત્ત,શલ,કૃપ,સત્યવ્રત,પુરુમિત્ર,જાય ને ભૂરિશ્રવા એ સર્વે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી.(7)ટુંકાણમાં શત્રુઓથી પીડાયેલા કૌરવો જેઓને આશ્રયે રહે,તે સર્વ યુદ્ધને ઇચ્છતા નથી તો એ વાત તને પણ પસંદ પડો.આ યુદ્ધ તું પોતે પણ પોતાની ઈચ્છાથી નહિ પણ,કર્ણ,દુઃશાસન અને શકુનિ જ તારી પાસે કરાવે છે (9)