Feb 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-741

 

જે મનુષ્ય સર્વનો નાશ કરે છે તેનો યશ નાશ પામે છે અને તે સર્વ પ્રાણીઓમાં કાયમની અપકીર્તિ સંપાદન કરે છે.એકવાર વેર ઉત્પન્ન થયું એટલે તે લાંબો સમય જતાં પણ શાંત થતું નથી કારણકે શત્રુકુળમાં જો એકાદ પુરુષ પણ હયાત હોય તો તેને પૂર્વ વૈરની વાત કહેનારા લોકો મળી આવે છે.હે કેશવ,વૈર થી વૈરની કદી શાંતિ થતી નથી.પણ તે અધિકાધિક વૃદ્ધિ જ પામે છે ને જેમ,છિદ્ર જોનારાને અવશ્ય છિદ્ર મળી જ આવે છે,તેમ છેવટે પોતાનો અથવા શત્રુનો પૂરો વિનાશ થયા વિના શાંતિ થતી નથી.

જેને પુરુષાર્થનું અભિમાન છે તેને હૃદયમાં પીડા કરનાર બળવાન વૈરરૂપી મનોવ્યથા રહે છે કે જે મનોવ્યથાનો ત્યાગ કે મરણથી જ શાંતિ થાય છે.અથવા હે કેશવ,શત્રુઓનો સમૂળ નાશ કરવાથી નિષ્કંટક રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે,પરંતુ કોઈનો સમૂળ ઉચ્છેદ કરવો એ મહાક્રુર કર્મ કર્યું ગણાય કે નહિ? ગણાય જ.(66)

Feb 26, 2025

શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation



Download this PDF




પુષ્પદંત ઉવાચ ||
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||

હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-740

 

ક્ષત્રિયોનો ધર્મ એટલે સાક્ષાત પાપ જ છે,પરંતુ અમે ક્ષત્રિય કુળમાં જન્મ્યા છીએ તેથી અમારો સ્વધર્મ,ભલે અધર્મ હોય પણ અમારા માટે બીજી વૃત્તિ નિંદ્ય છે.શુદ્ર સેવા કરે છે,વૈશ્યો વેપાર કરે,બ્રાહ્મણોએ ભિક્ષાપાત્ર સ્વીકાર્યું છે અને અમે વધ કરીને જીવીએ છીએ.ક્ષત્રિય,ક્ષત્રિયનો નાશ કરીને જીવે છે,માછલું,માછલાંનો કે કૂતરો,કુતરાનો નાશ કરીને જીવે છે,

આ કુલ પરંપરાગત ધર્મ તો જુઓ ! (48)

Feb 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-739

 

એવી નિર્ધન અવસ્થામાં આવીને કેટલાએક લોકો મરણ માગી લે છે,કેટલાએક ખરાબ ગામમાં જઈને વસે છે,કેટલાએક વનમાં ચાલ્યા જાય છે,કેટલાએક નાશને માટે નીકળી જાય છે,કેટલાએક ગાંડા થઇ જાય છે,કેટલાએક શત્રુના તાબામાં જઈને પડે છે અને કેટલાએક ધનને માટે બીજાના દાસ બની જાય છે (26) ધનનાશની આપત્તિ પુરુષને મરણ કરતાં પણ અધિક કષ્ટદાયક છે કારણકે ધન એ જ ધર્મ તથા કામ સંપાદન કરવામાં નિમિત્ત છે.

Feb 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-738

ભગવદ્યાન પર્વ 

અધ્યાય-૭૨-યુધિષ્ઠિરની શ્રીકૃષ્ણને પ્રેરણા 


II वैशंपायन उवाच II संजये प्रतियाते तु धर्मराजो युधिष्ठिरः I अभ्यभाव दाशांर्हमृषभं सर्वसात्वताम् II १ II

વૈશંપાયને કહ્યું-સંજય,કૌરવોના તરફ ગયા પછી,ધર્મરાજા યુધિષ્ઠિર,સર્વ યાદવોમાં શ્રેષ્ઠ,દશાર્હવંશી શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ સમય પ્રાપ્ત થયો છે.આપત્તિમાંથી અમને તારે એવા તમારા વિના બીજા કોઈને હું જોતો નથી.હે લક્ષ્મીના પતિ,તમારો આશ્રય કરીને નિર્ભય થયેલા અમે,મિથ્યા ગર્વિષ્ઠ એવા મંત્રીઓ સહિત દુર્યોધનની પાસેથી અમારા ભાગની પ્રાર્થના કરીએ છીએ.હે શત્રુદમન,તમે જેમ,સર્વ આપત્તિઓમાંથી યાદવોનું રક્ષણ કરો છો,તેમ તમારે પાંડવોનું પણ રક્ષણ કરવું જોઈએ,માટે આ મહાભયમાંથી અમને બચાવો (4)

Feb 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-737

 

અધ્યાય-૭૧-ધૃતરાષ્ટ્રે કરેલું શ્રીકૃષ્ણનું વર્ણન 


 II धृतराष्ट्र उवाच II चक्षुष्मतां वै स्पृहयामि संजय द्रक्ष्यम्ति ये वासुदेवं समीपे I विभ्राजमानं वपुषा परेण प्रकाशयंतं प्रदिक्षो दिशश्व II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું નેત્રવાળાઓની ભાગ્યની સ્પૃહા કરું છું.કારણકે તેઓ ચૈતન્ય સ્વરૂપથી ઝળહળી રહેલા અને દિશાઓ તથા વિદિશાઓને પ્રકાશિત કરતા વાસુદેવના પ્રત્યક્ષ દર્શન કરશે.યાદવરૂપે પ્રગટ થયેલા,વિશ્વમાં એક વીર,યાદવોના મુખ્ય નાયક,શત્રુઓને ક્ષોભ પમાડી,મારી,તેઓના યશનો નાશ કરનારા યાદવ શ્રેષ્ઠ શત્રુહંતા,ઇચ્છવા યોગ્ય અને મહાત્મા શ્રીકૃષ્ણ ભરતવંશીઓએ સન્માન કરવા યોગ્ય છે,ઐશ્વર્યની ઇચ્છાવાળાઓએ ગ્રહણ કરવા યોગ્ય છે,મારવાની તૈયારીવાળાઓને અગ્રાહ્ય,અનિંદ્ય તથા પ્રેમાળ વાણી બોલી,મારા પુત્રોને મોહિત કરતા હશે,તે વખતે એકઠા મળેલા કૌરવો તેમનાં દર્શન કરશે.