Mar 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-745

 

અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું ભીમનું સાંત્વન 


II श्रीभगवान उवाच II भावं जिनासमानोऽहं प्रणयादिदमब्रुवम् I न चाक्षेपान्न पाण्डित्यान्नक्रोध विवक्षया II १ II

શ્રી ભગવાન બોલ્યા-હે ભીમ,મેં તને જે કહ્યું,તે કંઈ તારો તિરસ્કાર કરવાના હેતુથી,પાંડિતાઈ દેખાડવાના હેતુથી,ક્રોધથી કે 'કંઈક બોલવું' એવી ઈચ્છાથી કહ્યું નથી,પરંતુ તારો અભિપ્રાય જાણવાના ઈચ્છાથી પ્રેમને લીધે કહ્યું છે.હું તારા માહાત્મ્યને જાણું છું,તારું કેટલું બળ છે તે હું જાણું છું અને તારા કર્મોને પણ જાણું છું,એટલે જ હું તારું અપમાન કરતો નથી.તું પોતાના જેટલા ઉત્તમ ગુણો ધારે છે તેના કરતાં હજાર ગણા ગુણો તારામાં છે એમ હું માનું છું.રાજાઓ આદિ સર્વેએ માન આપેલા જે મહાકુળમાં તું જન્મ્યો છે તે કુળને તું લાયક જ છે.(4)

Mar 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-744

 

અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણનાં ભીમને ઉત્તેજન આપનારાં વાક્યો 


II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा महाबाहुः केशवः प्रहसन्निव I अभूतपूर्व भीमस्य मार्दवोपहितं वचः II १ II

વૈશંપાયને કહ્યું-પૂર્વે કદી નહિ સાંભળેલું એવું ભીમનું કોમળતા ભરેલું ભાષણ સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને એ ભાષણને (વજનમાં)હલકું અને શીતળ જેવું માનીને,તે વખતે જેમ,વાયુ અગ્નિને પ્રદીપ્ત કરે તેમ,શ્રીકૃષ્ણ,કૃપાથી વ્યાપ્ત થઇ બેઠેલા ભીમને વાણી વડે ઉત્તેજિત કરતા કહેવા લાગ્યા કે-હે ભીમસેન,તું આડે દિવસે તો વધને અભિનંદન આપનારા ક્રૂર ધૃતરાષ્ટના પુત્રોને કચરી નાખવાની ઈચ્છાથી યુદ્ધની જ પ્રસંશા કર્યા કરે છે,તું એ વિચારમાં ઊંધતો નથી ને સર્વદા ભયંકર ક્રોધથી ભરેલી ઉગ્ર વાણી બોલ્યા કરે છે.ક્રોધથી તપી જઈને મનમાં ઉકળાટ લાવીને અગ્નિની જેમ નિસાસા નાખ્યા કરે છે,ને દુર્બળની જેમ એકાંતમાં જઈને નિશ્વાસ નાખતો પડી રહે છે,આ વાતને ના જાણનારા કેટલાક લોકો તને ગાંડો થઇ ગયેલો માને છે.(7)

Mar 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-743

 

અધ્યાય-૭૪-સુલેહ તરફ ભીમનું વલણ 


II भीम उवाच II यथा यथैव शान्तिः स्यात्यरुणां मधुसूदन I तथा तथैव भाषेथा म सं युद्वेन भीषये II १ II

ભીમે કહ્યું-હે મધુસુદન,કૌરવોમાં જે જે રીતે શાંતિ થાય તે તે રીતે જ તમે ત્યાં બોલજો,તેઓને યુદ્ધનું નામ આપીને ડરાવશો નહિ.દુર્યોધન અસહનશીલ,ક્રોધી,કલ્યાણનો દ્વેષી અને ગર્વિષ્ઠ છે માટે તમારે તેને ઉગ્ર વચન કહેવાં નહિ,પણ તેની સાથે સમજાવીને જ કામ લેવું.દુર્યોધન સ્વાભાવિક રીતે જ પાપી બુદ્ધિવાળો છે,ચોરના જેવો ચિત્તવાળો છે,ઐશ્વર્યના મદથી છકી ગયેલો છે,પાંડવોની સાથે વૈર બાંધી બેઠો છે,ટૂંકી દ્રષ્ટિનો છે,કઠોર વાણીવાળો છે,લાંબા ક્રોધવાળો છે,ઉપદેશને માટે અયોગ્ય છે,પાપાત્મા છે,કપટપ્રિય છે,મારે પણ નમે નહિ તેવો છે અને મતીલો છે.(4)

Feb 28, 2025

મસ્તની બેહોશી-by Anil


ખોળતા હતા ચક્ષુ જેને,તે તો ચક્ષુમાં જ બેઠો હતો,

મૂર્તમાં અમૂર્ત,આકારમાં નિરાકાર ઓળખાઈ ગયો.


જ્યાં શબ્દમાં શૂન્ય,ગુણોમાં નિર્ગુણ દેખાઈ ગયું,

તે તો હતો જ ત્યાં,જ્યાં એને કદી ખોળ્યો નહોતો.


હતી તમન્ના,ઘર બને વિરાનમાં કદી મારું,પણ,

રહું છું જ્યાં,તે ઘર જ વિરાન બની ગયું.


ખુદ સાગર આવી મળ્યો જ્યાં બુંદમાં,બુંદનું 'હું પણું' ગયું,

હોશ નથી શિર ઉઠાવવાનો,બેહોશીમાં જ શિર ઝૂકી ગયું.


નથી સંગ આ બેહોશીનો,દેખાતી દુનિયાની બેહોશી સાથે,

મસ્તની દુનિયા,મસ્તની બેહોશી,હવે હોશમાં આવવું શું?

અનિલ 

ફેબ્રુઆરી-28-2025


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-742

 

અધ્યાય-૭૩-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II संजयस्य श्रुतं वाक्यं भवतश्च श्रुतं मया I सर्व जानाम्यभिप्रायं तेषां च भवतश्च यः II १ II

શ્રીભગવાન બોલ્યા-હે રાજા,મેં સંજયનું અને તમારું કહેવું પણ સાંભળ્યું છે,તથા તમારો અને તેઓનો જે અભિપ્રાય છે તે સર્વ પણ હું જાણું છું.તમારી બુદ્ધિ ધર્મનો આશ્રય કરીને રહેલી છે અને તેઓની બુદ્ધિ વૈરનો આશ્રય કરીને રહેલી છે.યુદ્ધ કર્યા વિના થોડું મળે તેને તમે ઘણું માનવા તત્પર છો,પરંતુ સર્વ આશ્રમીઓ કહે છે કે-ક્ષત્રિયે,જીવતાં સુધી બ્રહ્મચર્ય પાળવું નહિ ને સન્યાસી થઈને ભિક્ષાથી નિર્વાહ કરવો નહિ.ક્ષત્રિયને માટે સંગ્રામમાં જય અથવા વધ- એજ વિધાતાએ કહેલો સનાતન સ્વધર્મ છે,દીનની જેમ યાચના કરવી એ ક્ષત્રિયનો ધર્મ નથી,દીનતાનો આશ્રય કરીને જીવન ચલાવવું યોગ્ય નથી.માટે તમે પરાક્રમ કરો અને શત્રુઓનો સંહાર કરો.(5)

Feb 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-741

 

જે મનુષ્ય સર્વનો નાશ કરે છે તેનો યશ નાશ પામે છે અને તે સર્વ પ્રાણીઓમાં કાયમની અપકીર્તિ સંપાદન કરે છે.એકવાર વેર ઉત્પન્ન થયું એટલે તે લાંબો સમય જતાં પણ શાંત થતું નથી કારણકે શત્રુકુળમાં જો એકાદ પુરુષ પણ હયાત હોય તો તેને પૂર્વ વૈરની વાત કહેનારા લોકો મળી આવે છે.હે કેશવ,વૈર થી વૈરની કદી શાંતિ થતી નથી.પણ તે અધિકાધિક વૃદ્ધિ જ પામે છે ને જેમ,છિદ્ર જોનારાને અવશ્ય છિદ્ર મળી જ આવે છે,તેમ છેવટે પોતાનો અથવા શત્રુનો પૂરો વિનાશ થયા વિના શાંતિ થતી નથી.

જેને પુરુષાર્થનું અભિમાન છે તેને હૃદયમાં પીડા કરનાર બળવાન વૈરરૂપી મનોવ્યથા રહે છે કે જે મનોવ્યથાનો ત્યાગ કે મરણથી જ શાંતિ થાય છે.અથવા હે કેશવ,શત્રુઓનો સમૂળ નાશ કરવાથી નિષ્કંટક રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે,પરંતુ કોઈનો સમૂળ ઉચ્છેદ કરવો એ મહાક્રુર કર્મ કર્યું ગણાય કે નહિ? ગણાય જ.(66)