અધ્યાય-૯૨-શ્રીકૃષ્ણ આગળ વિદુરનું ભાષણ
II वैशंपायन उवाच II तं भुक्तवंतमाश्वस्तं निशायां विदुरोब्रवीत I नेदं सम्यग्व्यवसितं केशवागमनं तव II १ II
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણ ભોજન કર્યા પછી રાત્રે શાંતિથી બેઠા હતા તે વખતે વિદુર તેમને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમારું અહીં આવવું થયું,એ સારા વિચારપૂર્વક થયું નથી,કારણકે આ દુર્યોધન,અર્થ,ધર્મનું ઉલ્લંઘન કરનારો,મૂર્ખ,ક્રોધી,બીજાનું અપમાન કરીને પોતે માનની ઈચ્છા રાખનારો અને બીજા ઘણા દોષોથી ભરેલો છે,માટે તમે તેને કલ્યાણની વાત કહેશો તો પણ તે ક્રોધને લીધે ગ્રહણ કરશે નહિ.વળી,તે ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા,જયદ્રથ આદિ સર્વ યુદ્ધ કરીને,તેને રાજ્યરૂપી જીવન અપાવશે,એવા વિચારથી સલાહ કરવા ધારતો નથી.