Apr 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-784

 

અધ્યાય-૧૨૮-શ્રીકૃષ્ણનો પ્રત્યુત્તર 


II वैशंपायन उवाच II ततः प्रशम्य दाशार्ह: क्रोधपर्याकुलेक्षण:I दुर्योधनमिदं वाक्यमब्रवीत्कुरुसंसदि  II १ II

વૈશંપાયને કહ્યું-દુર્યોધનનો એ ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણનાં નેત્રો ક્રોધથી વ્યાકુળ થઇ ગયાં,પણ તે કૈંક ગમ ખાઈને,સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-તું જે વીરશૈય્યાની ઈચ્છા કરે છે તે તારો મનોરથ પૂર્ણ થશે,થોડા જ સમયમાં સંગ્રામ શરુ થશે.

ઓ મૂર્ખ,તું એમ માને છે કે-પાંડવો તરફ તેં કોઈ અપરાધ કર્યો નથી,પરંતુ હે રાજાઓ,આના સર્વ અન્યાયોને તમે સાંભળો.

હે ભરતવંશી,તું પાંડવોના વૈભવને જોઈને તપી ઉઠ્યો અને તેં તથા શકુનિએ દ્યુત રમવાની દુષ્ટ વિચાર ઉભો કર્યો.

પાંડવો કે જે સદાચારી,સજ્જનોને માન્ય અને સરળ આચરણવાળા છે,તેઓની સાથે કપટપૂર્વક અન્યાયથી વર્તવું એ કેમ યોગ્ય ગણાય? તેં સદાચારીઓની સલાહ ન લેતાં,પાપીઓની સાથે મળીને,દ્યુતદ્વારા આ ભયંકર સંકટ વહોરી લીધું છે.(7)

Apr 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-783

 

અધ્યાય-૧૨૭-દુર્યોધનનાં વાક્ય 


II वैशंपायन उवाच II श्रुत्वा दुर्योधनो वाक्यमप्रियं कुरुसंसदि I प्रत्युवाच महाबाहुं वासुदेवं यशस्विनम् II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કૌરવોની સભામાં,પોતાને અપ્રિય લાગે તેવાં વાક્ય સાંભળીને દુર્યોધન,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-

'હે કેશવ,તમારે સારી રીતે વિચાર કરીને બોલવું જોઈએ.તમે ખાસ કરીને કઠોર શબ્દો બોલીને મારી જ નિંદા કરો છો.તમે નિત્ય પાંડવો પર પ્રીતિ દર્શાવનારા વાદ વડે એકાએક મારી જે નિંદા કરો છો,તે અમારા અને પાંડવો વચ્ચેના કયા બળાબળને જોઈને કરો છો? તમે,વિદુર,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,અને ભીષ્મ કેવળ મારી જ નિંદા કરો છો,બીજા કોઈ રાજાને નિંદતા નથી.હું તો મારો કોઈપણ અન્યાય જોતો નથી,છતાં રાજાઓ સહિત તમે સર્વ મારો જ દ્વેષ કર્યા કરો છો (5)

Apr 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-782

 

અધ્યાય-૧૨૬-ભીષ્મ અને દ્રોણનો ફરીથી ઉપદેશ 


II वैशंपायन उवाच II धृतराष्ट्रवचः श्रुत्वा भीष्मद्रौणो समव्यथौ I दुर्योधनमिदं वाक्यमुचतुः शासनातिगः II १ II

વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્રનાં વચન સાંભળીને સમાન ચિંતાવાળા ભીષ્મ તથા દ્રોણ,આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને કહેવા લાગ્યા-'જ્યાં સુધી શ્રીકૃષ્ણ તથા અર્જુન યુદ્ધ કરવા સજ્જ થયા નથી,જ્યાં સુધી ગાંડીવ ધનુષ ઠેકાણે રહેલું છે,જ્યાં સુધી ધૌમ્ય સંગ્રામના યજ્ઞમાં શત્રુસેનાની આહુતિ આપવા લાગ્યા નથી,જ્યાં સુધી યુધિષ્ઠિરે ક્રોધ કરીને તારી સેના તરફ જોયું નથી,ત્યાં સુધીમાં વેર શાંત થઇ જાય તો સારું.જ્યાં સુધી,અર્જુન હાથમાં ગાંડીવ લઈને અને ભીમ હાથમાં ગદા લઈને,પોતાના સૈન્યમાં જોવામાં આવતો નથી ત્યાં સુધીમાં વૈર શાંત થવું જોઈએ.જ્યાં સુધી,નકુલ,સહદેવ,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટ,શિખંડી-આદિ સર્વ અસ્ત્રનિપુણ યોદ્ધાઓ બખ્તરો ચડાવીને,ઝડપથી બાણો ફેંકતા સૈન્યમાં પ્રવેશ કરે નહિ ત્યાં સુધીમાં આ વૈર શાંત થઇ જાય તો સારું.અને મસ્તક વડે પ્રણામ કરતા તને યુધિષ્ઠિર પોતાના બે હાથથી તને ઉપાડી લે તેમ તું કર.(12)

Apr 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-781

 

અધ્યાય-૧૨૫-ભીષ્મ-આદિનો દુર્યોધનને ઉપદેશ 


II वैशंपायन उवाच II ततः शांतवनो भीष्मो दुर्योधनममर्षणं I केशवस्य वचः श्रुत्वा प्रोवाच भरतर्षम II १ II

વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ જન્મેજય,પછી,શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને શાંતનુના પુત્ર ભીષ્મ અસહનશીલ દુર્યોધનને કહેવા લાગ્યા કે-'હે તાત,સંબંધીઓમાં સલાહસંપ થાય એવી ઇચ્છવાળા શ્રીકૃષ્ણે તને જે વચન કહ્યાં છે તે વચનને ગ્રહણ કર.ક્રોધને આધીન થઈશ નહિ.શ્રીકૃષ્ણનાં વચન પ્રમાણે તું નહિ ચાલે તો તારું કદી પણ શ્રેય થશે નહિ,તારું કલ્યાણ થશે નહિ અને તને સુખ પણ મળશે નહિ.તું પ્રજાનો નાશ કર નહિ.આ તારી રાજ્યલક્ષ્મી સર્વ રાજાઓમાં અતિ ઉજ્જવળ છે તેનો તું કેવળ પોતાની દુષ્ટતાને લીધે ધૃતરાષ્ટ્રની હયાતિમાં જ નાશ કરી બેસીશ.અને 'હું હું' એવી અભિમાની બુદ્ધિને લીધે મંત્રી,પુત્ર,ભાઈઓ અને સગાઓની સાથે તું તારા પોતાના જીવનનો પણ નાશ કરીશ.તું તારા પિતા,વિદુર અને શ્રીકૃષ્ણ-એ સર્વના સાચાં ને હિતકારક વચન ઓળંગીને પોતાને 'કૃતઘ્ન,કુપુરુષ,દુર્મતિ,કુમાર્ગગામી'એવાં વિશેષણો લગાડીશ નહિ અને માબાપને શોક સાગરમાં ડુબાવીશ નહિ'(8)

Apr 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-780

અધ્યાય-૧૨૪-શ્રીકૃષ્ણનો દુર્યોધનને ઉપદેશ 


II धृतराष्ट्र उवाच II भग्वन्नेवमेवैतद्यथा वदसि नारद I इच्छामि चाहमप्येवं नत्विसो भगवन्नहम् II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે ભગવન નારદ,તમે જે કહો છો તેમ જ છે,અને હું પણ એ પ્રમાણે થાય તેમ ઈચ્છું છું,પરંતુ હે ભગવન,મારી સત્તા ચાલતી નથી' આ પ્રમાણે નારદને કહીને પછી ધૃતરાષ્ટ્ર,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમે મને જે બોધ કર્યો,તે ધર્મ તથા ન્યાયને અનુસરનારો અને આ લોકમાં સુખ આપનારો છે.દુર્યોધને જે કાર્ય કરવા માંડ્યું છે તે મને પ્રિય નથી પરંતુ હું શું કરું?હું સ્વાધીન સત્તાવાળો નથી માટે તમે મારા આ મૂર્ખ તથા શાસ્ત્રનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને જ સમજાવવા પ્રયત્ન કરો.

તે ગાંધારી,વિદુર ભીષ્મનાં વચનને પણ સાંભળતો નથી,માટે તમે પોતે જ દુર્યોધનને ઉપદેશ આપો.હે જનાર્દન,આ કામ કરવાથી તમે એક મોટું સુહૃતકાર્ય કરેલું ગણાશે.' ત્યારે શ્રીકૃષ્ણ દુર્યોધન તરફ વળીને મધુર વાણીથી બોલ્યા કે-