રામ કહે છે કે-એ "બ્રહ્મ-ચૈતન્ય" નું બીજું કંઈ પણ મૂળ નથી,કેમ કે તે અવર્ણનીય,અનંત,શુદ્ધ અને સત્ય-રુપ છે.આ રીતે સર્વ કર્મ-માત્રનું બીજ "જીવ-ચૈતન્ય" છે -કે જેમાં અંદર અહંકાર-વગેરેમાં "આત્મ-બુદ્ધિ" થઇ,"હું કર્તા છું"એવો "સંકલ્પ" સ્ફૂર્યા પછી,ક્રિયા(કે કર્મ) થવા માંડે છે.
"જીવ-પણું" હોય તો જ આ દેહ-રૂપ-વૃક્ષ ઉગી નીકળે છે."જીવ-ચૈતન્ય" (આત્મા) એ અહંકાર-વગેરેમાં મળી જઈ,તેમાં (અહંકારમાં) આત્મ-રૂપતા માની લઇ- "હું અમુક-રૂપ છું અને કર્તા છું" એવી નામ-રૂપ-વાળી-ભાવના વડે વીંટાઈ જાય તો તે "કર્મના બીજ-રૂપ" થાય છે અને જો એમ ના બને (એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ-આત્માને જ ઓળખી લે) તો તે પોતે પરમ-પદ-રૂપ (બ્રહ્મ-ચૈતન્ય-રૂપ કે પરમાત્મા) જ છે.
માટે દેહ-આદિમાં અહંકારને કારણે-જે "આત્મ-બુદ્ધિ" થવી,તે જ "કર્મનું કારણ" છે.
હે મહારાજ,આ જે કંઈ મેં કર્મ અને કર્મના ફળ વિષે કહ્યું,તે આપે જ મને કહેલ છે.