વસિષ્ઠ કહે છે કે-ચિદાકાશ પોતે જ પ્રથમ,પોતાની ચિદસત્તાના બળ(શક્તિ)થી (કલ્પનાથી કે સંકલ્પથી)
જાણે પોતાનામાં 'અહંકાર'નો અધ્યાસ કલ્પી લેતું હોય તેવું બને છે.તે જ 'હિરણ્યગર્ભ' (બ્રહ્મા) છે,
કે જેની અંદર સર્વ જગત રહેલું છે.આ પ્રમાણે વિચાર કરવાથી વસ્તુતઃ બ્રહ્મા પણ નથી,જગત પણ ઉત્પન્ન થયું
નથી અને આ જગત વિદ્યમાન પણ નથી-પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત (નિર્વિકાર) પરબ્રહ્મ (ચિદાકાશ)
જ પૂર્વની જેમ યથાસ્થિતપણે રહેલ છે.જો કે અનુભવમાં તો જગત દેખાય છે,પણ તે અવાસ્તવ છે,
ઝાંઝવાના જળની (કે સ્વપ્નની) જેમ મિથ્યા છે અને દેખાતા છતાં સાવ અસત્ય છે.