જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર)માં મળી જાય છે.-તેને જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું 'હું પણું'
ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.
કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે-કે-મા,આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્માને છોડી શકતો નથી.
જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.
તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી.