નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?”
વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવથી,સર્વ સૂતાં છે.ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.માર્ગમાં વસુદેવજી મનમાં વિચારે છે-કે-હજુ મારું પ્રારબ્ધ બાકી છે, એટલે પરમાત્માને આપી ને હું માયાને લઇને પાછો જાઉં છું.વસુદેવ યોગમાયાને ટોપલીમાં લઈને કારાગૃહમાં પાછા આવ્યા છે.માયાને લઈને પાછા આવ્યા એટલે હાથપગમાં બેડીઓ આવી,કારાગૃહના દરવાજા બંધ થયા.ફરીથી બંધન આવ્યું. ભગવાનની આજ્ઞા થી વસુદેવે બંધન સ્વીકાર્યું છે.
શ્રાવણ માસ,કૃષ્ણપક્ષની અષ્ટમીએ,મધ્યરાત્રીએ દેવકી-વસુદેવ સમક્ષ-કમલનયન,અદભૂત બાળકરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ થયો છે,સંતતિ અને સંપત્તિનો નાશ થયા છતાં,અતિ દીન બની વસુદેવ-દેવકીએ નારાયણનું આરાધન કર્યું છે,એટલે પ્રભુએ, દેવકી-વસુદેવને નારાયણે સહુ પ્રથમ,ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યાં છે,ચાર હાથ માં શંખ,ચક્ર,ગદા અને પદ્મ છે.પ્રભુ એ કહ્યું-કે –“મારા સ્વરૂપના દર્શન કરો અને પછી અગિયાર વર્ષ ધ્યાન કરો,તે પછી હું તમારી પાસે આવીશ”