Mar 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-748

 

અધ્યાય-૮૧-સહદેવ અને સાત્યકિનાં ભાષણ 


II सहदेव उवाच II यदेत्कथितं राज्ञा धर्म एष सनातनः I य थाच युध्ध्मेवस्यात्तथा कार्यमरिंदं II १ II

સહદેવે કહ્યું-હે શત્રુદમન કૃષ્ણ,યુધિષ્ઠિર રાજાએ જે કહ્યું તે સનાતન ધર્મ છે,પરંતુ તમારે તો જે પ્રમાણે યુદ્ધ થાય તે પ્રમાણે જ કરવું.હે કૃષ્ણ,કૌરવો જો પાંડવોની સાથે સલાહ કરવાની ઈચ્છા રાખતા હોય તો પણ તમારે તો તેઓની સાથે યુદ્ધ થાય તેવી જ યોજના કરવી,કારણકે સભામાં દ્રૌપદીની દશા જોઈને,દુર્યોધન ઉપર ઉત્પન્ન થયેલો મારો ક્રોધ,તેનો વધ કર્યા વિના કેવી રીતે શાંત થાય? જો ભીમ,અર્જુન ને ધર્મરાજા ધાર્મિક થઈને બેસી રહેશે તો પણ હું એકલો ધર્મનો ત્યાગ કરીને સંગ્રામમાં તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખું છું (4)


સાત્યકિએ કહ્યું-હે કૃષ્ણ,આ સહદેવ,સત્ય કહે છે.દુર્યોધનનો વધ કરવાથી જ સહદેવનો ને મારો ક્રોધ શાંત થશે.વનમાં પાંડવોને વલ્કલ તથા મૃગચર્મ પહેરેલા જોઈને તમને પણ ક્રોધ ઉતપન્ન થયો હતો તે તમે જાણતા નથી કે?માટે આ શૂરા સહદેવે જે વચન કહ્યાં તે મને અને સર્વ યોદ્ધાઓને માન્ય છે (7)આ પ્રમાણે સાત્યકિ કહેતો હતો ત્યારે ત્યાં સર્વ યોદ્ધાઓનો મહાભયંકર સિંહનાદ થવા લાગ્યો અને યુદ્ધની ઈચ્છાવાળા તે સર્વ વીરો સાત્યકિને હર્ષ આપતાં 'ઠીક કહ્યું'કહીને માન આપવા લાગ્યા (9)

અધ્યાય-81-સમાપ્ત 


અધ્યાય-૮૨-દ્રૌપદીનો ક્રોધ અને શ્રીકૃષ્ણનું સાંત્વન 


II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धर्मार्थसहितं हितम् I कृष्णा दाशार्हमासीन ब्रविच्छोक्स्त्रनिन्दा II १ II

વૈશંપાયને કહ્યું-ધર્મરાજાનું ધર્મ ને અર્થથી યુક્ત અને હિતકારક ભાષણ સાંભળીને શોક વડે શુષ્ક થયેલાં,લાંબા કાળા કેશવાળાં મનસ્વિની દ્રૌપદી,સહદેવ ને સાત્યકિને અભિનંદન આપીને,ભીમસેનને શાંત પડી ગયેલો જોઈ,મનમાં અત્યંત ખિન્ન થઇ તથા આંસુથી આંખો ભરી,ત્યાં બેઠેલા શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે જનાર્દન,દુર્યોધને કપટનો આશ્રય કરીને પાંડવોને સુખથી ભ્રષ્ટ કર્યા તે તમે જાણો છો.ધૃતરાષ્ટ્રે એકાંતમાં સંજયને પોતાનો ગુપ્ત વિચાર સંભળાવ્યો હતો અને સંજયે યુધિષ્ઠિરને જે સંદેશો કહ્યો હતો તે પણ તમે જાણો છો.યુધિષ્ઠિરે,સંજયને પાંચ ગામો આપવાનો સંદેશો કહ્યો હતો,તે સાંભળવા છતાં દુર્યોધને તે પ્રમાણે કર્યું નથી.માટે દુર્યોધન રાજ્ય આપ્યા વિના જો સંધિ કરવાની ઈચ્છા રાખે તો ત્યાં જઈને તમારે કોઈ પણ રીતે સંધિ કરવી નહિ,કારણકે સૃન્જયોની સાથે પાંડવો,દુર્યોધનના સૈન્યને પહોંચી વળવા સમર્થ છે.(11)

Mar 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-747

 

અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II एवमेतन्महाबाहो यथा वदसि पांडव I पांडवानां कुरुणा च प्रतिपत्स्ये निरामयः II १ II

શ્રીભગવાને કહ્યું-હે મહાબાહુ પાંડવ,તું જે કહે છે તે યથાર્થ છે,હું પાંડવોનું તથા કૌરવોનું કલ્યાણ કરીશ.હું દૂત થઈને જાઉં છું માટે સંધિ કરવી અથવા યુદ્ધનો પ્રસંગ લાવવો એ બંને કામ મારે અધીન છે.તો પણ એમાં દૈવની અનુકૂળતાની અપેક્ષા છે.

એક ખેતર,રસાળ હોય અને ખેડૂતે મહેનતથી તૈયાર કર્યું હોય પણ તે વરસાદ વગર ફળ આપતું નથી,તેમાં દૈવનું પ્રાધાન્ય છે.

હવે તે જ ખેતરમાં પાણી પાઈને ફળ મેળવવું,તેને કેટલાએક પુરુષ યત્નનું પ્રાધાન્ય કહે છે,પરંતુ તેમાંએ દૈવયોગે જળાશય સુકાઈ જતું જોવામાં આવે છે,એટલે એમાં પણ દૈવનું પ્રાધાન્ય આવે છે.દૈવ ને પુરુષાર્થ સાથે મળવાથી જ લોકનું હિત સધાય છે.હું પુરુષાર્થ વડે સલાહના માટે પ્રયત્ન કરીશ,પરંતુ હું દૈવને કોઈ રીતે ફેરવી શકીશ નહિ.(5)

Mar 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-746

 

અધ્યાય-૭૮-અર્જુનનું ભાષણ 


II अर्जुन उवाच II उक्तं युधिष्ठिरेणैव यावद्वाच्यं जनार्दन I तव वाक्यं तुमे श्रुत्वा प्रतिभाति परंतप II १ II

 અર્જુને કહ્યું-હે જનાર્દન,જેટલું કહેવાનું છે તેટલું યુધિષ્ઠિરે કહ્યું જ છે,તો પણ હે પ્રભો,તમારું કહેવું સાંભળીને મને સમજાય છે કે તમે ધૃતરાષ્ટ્રના લોભને લીધે અથવા અમને પ્રાપ્ત થયેલી દીનતાને લીધે 'આ કાર્યમાં સલાહ થવી સુલભ નથી જ'એમ માનો  છો.વળી,તમે પુરુષનાં પરાક્રમને નિષ્ફળ માનો છો અને પૂર્વકર્મના સંયોગ વિના એકલા પુરુષાર્થથી ફળ પ્રાપ્ત થતું નથી એમ કહો છો.એ તમે કહ્યું તેમ જ છે.તો પણ એ ઉપરથી કોઈ વાત અસાધ્ય છે એમ પણ તમારે જાણવું નહિ.(4)

Mar 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-745

 

અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું ભીમનું સાંત્વન 


II श्रीभगवान उवाच II भावं जिनासमानोऽहं प्रणयादिदमब्रुवम् I न चाक्षेपान्न पाण्डित्यान्नक्रोध विवक्षया II १ II

શ્રી ભગવાન બોલ્યા-હે ભીમ,મેં તને જે કહ્યું,તે કંઈ તારો તિરસ્કાર કરવાના હેતુથી,પાંડિતાઈ દેખાડવાના હેતુથી,ક્રોધથી કે 'કંઈક બોલવું' એવી ઈચ્છાથી કહ્યું નથી,પરંતુ તારો અભિપ્રાય જાણવાના ઈચ્છાથી પ્રેમને લીધે કહ્યું છે.હું તારા માહાત્મ્યને જાણું છું,તારું કેટલું બળ છે તે હું જાણું છું અને તારા કર્મોને પણ જાણું છું,એટલે જ હું તારું અપમાન કરતો નથી.તું પોતાના જેટલા ઉત્તમ ગુણો ધારે છે તેના કરતાં હજાર ગણા ગુણો તારામાં છે એમ હું માનું છું.રાજાઓ આદિ સર્વેએ માન આપેલા જે મહાકુળમાં તું જન્મ્યો છે તે કુળને તું લાયક જ છે.(4)

Mar 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-744

 

અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણનાં ભીમને ઉત્તેજન આપનારાં વાક્યો 


II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा महाबाहुः केशवः प्रहसन्निव I अभूतपूर्व भीमस्य मार्दवोपहितं वचः II १ II

વૈશંપાયને કહ્યું-પૂર્વે કદી નહિ સાંભળેલું એવું ભીમનું કોમળતા ભરેલું ભાષણ સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને એ ભાષણને (વજનમાં)હલકું અને શીતળ જેવું માનીને,તે વખતે જેમ,વાયુ અગ્નિને પ્રદીપ્ત કરે તેમ,શ્રીકૃષ્ણ,કૃપાથી વ્યાપ્ત થઇ બેઠેલા ભીમને વાણી વડે ઉત્તેજિત કરતા કહેવા લાગ્યા કે-હે ભીમસેન,તું આડે દિવસે તો વધને અભિનંદન આપનારા ક્રૂર ધૃતરાષ્ટના પુત્રોને કચરી નાખવાની ઈચ્છાથી યુદ્ધની જ પ્રસંશા કર્યા કરે છે,તું એ વિચારમાં ઊંધતો નથી ને સર્વદા ભયંકર ક્રોધથી ભરેલી ઉગ્ર વાણી બોલ્યા કરે છે.ક્રોધથી તપી જઈને મનમાં ઉકળાટ લાવીને અગ્નિની જેમ નિસાસા નાખ્યા કરે છે,ને દુર્બળની જેમ એકાંતમાં જઈને નિશ્વાસ નાખતો પડી રહે છે,આ વાતને ના જાણનારા કેટલાક લોકો તને ગાંડો થઇ ગયેલો માને છે.(7)

Mar 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-743

 

અધ્યાય-૭૪-સુલેહ તરફ ભીમનું વલણ 


II भीम उवाच II यथा यथैव शान्तिः स्यात्यरुणां मधुसूदन I तथा तथैव भाषेथा म सं युद्वेन भीषये II १ II

ભીમે કહ્યું-હે મધુસુદન,કૌરવોમાં જે જે રીતે શાંતિ થાય તે તે રીતે જ તમે ત્યાં બોલજો,તેઓને યુદ્ધનું નામ આપીને ડરાવશો નહિ.દુર્યોધન અસહનશીલ,ક્રોધી,કલ્યાણનો દ્વેષી અને ગર્વિષ્ઠ છે માટે તમારે તેને ઉગ્ર વચન કહેવાં નહિ,પણ તેની સાથે સમજાવીને જ કામ લેવું.દુર્યોધન સ્વાભાવિક રીતે જ પાપી બુદ્ધિવાળો છે,ચોરના જેવો ચિત્તવાળો છે,ઐશ્વર્યના મદથી છકી ગયેલો છે,પાંડવોની સાથે વૈર બાંધી બેઠો છે,ટૂંકી દ્રષ્ટિનો છે,કઠોર વાણીવાળો છે,લાંબા ક્રોધવાળો છે,ઉપદેશને માટે અયોગ્ય છે,પાપાત્મા છે,કપટપ્રિય છે,મારે પણ નમે નહિ તેવો છે અને મતીલો છે.(4)