Jul 20, 2019

ભાગવત રહસ્ય-૧૨

શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે –ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયોમાં સૂગ આવે.
સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.

જ્ઞાનમાર્ગમાં પરમાત્મા દ્રષ્ટા (જોનાર-જેમ કે આંખ- જુએ છે-જોનાર છે) છે, તે દ્રશ્ય (જે દેખાય છે તે) નથી.જે સર્વનો દ્રષ્ટા છે,સર્વનો સાક્ષી છે,એને કોણ જોઈ શકે ?
ભક્તિમાર્ગમાં ભગવાન દ્રષ્ટા પણ છે અને દ્રશ્ય પણ છે. ભગવાન બધાને જુએ છે.પણ ભક્તનો પ્રેમ વધે છે તેથી તે દ્રશ્ય પણ બને છે. ભક્તિ ભગવાનને- દ્રશ્ય- બનાવે છે.

“આપ એવી કથા કરો-કે-પરમાત્મા શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન અમને થાય.” જ્ઞાન ,વૈરાગ્ય અને ભક્તિને વધારવા આ કથા છે.મહાન ભક્તોના,મહાન પુરુષોના ચરિત્રો સાંભળી આપણને થાય છે કે—હાય-મેં મારા આત્માના ઉદ્ધાર અર્થે કંઈ પણ કર્યું નહિ. કથા સાંભળ્યા પછી પાપ છૂટે,કરેલા પાપનો પશ્ચાતાપ થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો –કથા સાંભળી સાચી. કથા સાંભળ્યા પછી,વિવેક,વૈરાગ્ય ના આવે,કરેલા પાપનો પસ્તાવો ના થાય,પ્રભુ પ્રત્યે પ્રેમ ના થાય તો તે કથા-કથા જ નથી.

બ્રહ્માએ નારદજીને આજ્ઞા કરી છે કે-બેટા, કથા કર પણ એવી કથા કર કે મારા પ્રભુમાં લોકોની પ્રેમમયી ભક્તિ થાય.કથા મનુષ્યના જીવનને સુધારે છે,જીવનનું પરિવર્તન કરે છે. કથા મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરે છે. કથા સાંભળ્યા પછી,જીવનમાં ફેરફાર ના થાય,સ્વભાવ ના સુધારે,ન બદલાય,કે જીવનમાં ક્રાંતિ ન આવે તો તે કથા શું કામની ? 

શૌનક મુનિએ તેથી કહ્યું છે કે –અમારુ જ્ઞાન વધે,વૈરાગ્ય વધે ,ભક્તિ વધે -એવી કથા કહો.
એકલી –ભક્તિ- વધે –તેવું કહ્યું નથી. ભક્તિ –જ્ઞાન અને વૈરાગ્યની સાથે વધે—એવું કહ્યું છે.
કેટલાકમાં વૈરાગ્ય હોય છે પણ પ્રભુમાં પ્રેમ હોતો નથી.

એમ તો-વાનરો ઘરમાં રહેતા નથી,કાયમ ફળ-ફૂલ ખાઈને એકાદશી કરે છે-પણ વાનરોમાં પ્રભુ પ્રેમ ક્યાં છે ?
પ્રેમ વગર વૈરાગ્યની કિંમત નથી. કેટલાકમાં ભક્તિ હોય છે પણ વૈરાગ્ય હોતો નથી.
વૈરાગ્ય ના હોય તો ભક્તિ -કેટલીક વાર વાસનાના વેગ માં વહી જશે.
શીરામાં લૌકિક દ્રષ્ટિએ ઘઉંની કીમત ઓછી છે, છતાં લોટ વગર શીરો થતો નથી. તત્વ દ્રષ્ટિથી વિચારો, તો તેની કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં,ગોળ,ઘી ની સરખી જ જરૂર છે.
તેવી રીતે જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય સમાન છે. જીવન માં એ ત્રણેની જરૂર છે.

સોળ આની (100 %) જ્ઞાન અને સોળ આની વૈરાગ્ય—આવે ત્યારે જીવનો જીવ ભાવ જાય છે.
જેના માં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે. અનેક ઋષિ-મુનીઓ ગંગા કિનારે બેઠા હતા,પણ કથા કરવા કોઈ તૈયાર ના થયું, ત્યારે ભગવાને શુકદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી છે,
શુકદેવજી માં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતાં.

ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય. તે ઉત્તમ પ્રેમનું લક્ષણ છે. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.
જ્ઞાનમાર્ગમાં પ્રાપ્તની (જે પ્રાપ્ત કરવાનું છે) પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો અનુભવ કરવાનો છે.
(શરીરમાં આત્મા-પરમાત્માનો અનુભવ-અદ્વૈત). જયારે ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે.
જ્ઞાનમાર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે.

શૌનક્જીએ કહ્યું—અમે ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ,પણ ભગવાન સાથે પ્રત્યક્ષ વાતો કરવી છે. અમારે શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરવી છે. એવી કથા સાંભળવાની અમારી ઈચ્છા છે.
સુતજીએ શૌનકાદિના ખુબ વખાણ કર્યા છે. સુતજીએ કહ્યું—તમે બધાં પ્રભુના પ્યારા છો,તમે બધાં કૃષ્ણનું સ્વરૂપ છો, તમે બધાં ભગવાન જેવા છો. તમને હું શું ઉપદેશ આપું ?

વક્તા જો શ્રોતામાં ભગવદભાવ ના રાખે તો તેની કથા માં ભગવાન ન પધારે. વક્તામાં દૈન્ય હોય તો ભગવાન કથામાં પધારે છે. તુકારામ મહારાજને કોઈ એ કહ્યું કે-મહારાજ તમે સુંદર કથા કરો છો. ત્યારે મહારાજે જવાબ આપ્યો કે-હું તો મારા વિઠ્ઠલનાથના દર્શન કરું છું, હું શું બોલું છું તેની મને ખબર નથી.

સુતજી-“કથા સાંભળ્યા પછી ,જે કરવું જોઈએ તે તો તમે કરો જ છો,પણ લોકોનું કલ્યાણ કરવા માટે તમે પ્રશ્ન કરો છો.હું યથામતિ આપને કથા સંભળાવું છું. તો સાવધાન થઇ કથા સાંભળો. પૂર્વજન્મના પુણ્યનો ઉદય થાય છે,ત્યારે જ આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે.કલિયુગના જીવોને -કાલરૂપ સર્પ- ના મુખમાંથી છોડાવવા શુકદેવજીએ ભાગવતની કથા કહી છે.

જયારે શુકદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા—ત્યારે સ્વર્ગનું અમૃત લઈને દેવો ત્યાં આવેલા.
દેવોએ કહ્યું --સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ, અને કથાનું અમૃત અમને આપો.
શુકદેવજીએ પરીક્ષિતને પૂછ્યું—આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે ?
પરીક્ષિતે પૂછ્યું –સ્વર્ગના અમૃત પીવાથી શો લાભ ?
શુકદેવજી કહે છે—સ્વર્ગનું અમૃત પીવાથી સ્વર્ગ નું સુખ મળે છે. પરંતુ,સ્વર્ગનું સુખ—દુઃખમિશ્રિત છે.
સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે –પણ પાપનો ક્ષય થતો નથી.કથામૃતથી પાપનો નાશ થશે. કથામૃતથી ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં પણ કથામૃત શ્રેષ્ઠ છે. 
રાજાએ કહ્યું-મારે તો આ કથામૃતનું જ પાન કરવું છે.મારે સ્વર્ગનું અમૃત જોઈતું નથી.

સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે.
આપણામાં જ્ઞાન ને વૈરાગ્ય છે જ, પણ તે સૂતેલા છે, તેને જાગૃત કરવાના છે.
આગળ કથા આવશે કે –જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં પડેલા છે.
સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી –ભક્તિરસ –ઉત્પન્ન કરવા માટે આ કથા છે.
ભાગવત સિવાય એવો બીજો કોઈ ગ્રંથ નથી જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE