Jul 21, 2019

ભાગવત રહસ્ય-૧૩

સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામમાં ગયા છે. તે વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામમાં ગયા છે. –આ કથા એવી મંગલમય છે.સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી –તે કથા હું તમને સંભળાવું છું.

પરીક્ષિતને ખાતરી હતી કે –સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. તેથી તન્મય થઈને કથા સાંભળી.આપણે કાળને ભૂલી જઈએ છીએ. વક્તા શુકદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી થઈને બેસે તો-સાત દિવસ માં મુક્તિ મળે છે.અવધૂતનો અર્થ છે-વાસના રહિત,ઈચ્છારહિત,આશારહિત,જે તત્વનિષ્ઠ છે તે---શુકદેવજી બ્રહ્મ-દ્રષ્ટિ સ્થિર કરી, પ્રભુની પ્રેરણાથી કથા કરવા આવ્યા છે.

વક્તા અને શ્રોતા અધિકારી હોવા જોઈએ.
કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ.(તો જ પ્રકાશ ઉદ્ભવે ને ?) 
વક્તા અને શ્રોતા અધિકારી હોય તો આ કથા મુક્તિ અપાવે છે.
કથા સાંભળીને પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. પરીક્ષિત મહારાજને સદગતિ મળી છે.
આજકાલ લોકો બહુ કથા સાંભળે છે પણ તેઓને લેવા વિમાન કેમ નથી આવતું ?
વિમાન આવતું નથી તેનું એક જ કારણ છે—કે-વક્તા -શ્રોતા અધિકારી નથી.

જે ભાગવતમાં લખ્યું છે-તે- સાચું લખ્યું છે- કે –પરીક્ષિતને લેવા વિમાન આવ્યું.વક્તા શુકદેવજીનો આદર્શ જીવનમાં ઉતારીને કથા કરે અને શ્રોતા પરીક્ષિત જેવા –જિજ્ઞાસુ થાય તો જરૂર વિમાન આવે. મનુષ્ય જ્યાં સુધી વિકાર-વાસનામાં ફસાયેલો છે ત્યાં સુધી વિમાન આવતું નથી,(મુક્તિ મળતી નથી).
અને વિમાન આવે તો પણ તે વિમાનમાં બેસવાનો નથી. કેમ કે જેનું -મન –વિકાર-વાસનાથી ભરેલું છે તેને સંસાર છોડવાની ઈચ્છા ક્યાં થાય છે ? 

વિષ્ઠાનો કીડો વિષ્ઠામાં જ રત રહે છે. તેમાંથી બહાર નીકળવાનું તેને ગમતું નથી.આપણે બધાં વિકાર અને વાસનામાં ફસાયેલાં છીએ. પત્ની,પુત્ર,ઘર,ધનમાં ફસાયેલાં છીએ. –આસક્ત - છીએ.
આ આસક્તિ જ્યાં સુધી છૂટે નહિ,ત્યાં સુધી મુક્તિ નથી.
જેના મનમાં વિકાર- વાસના નથી, જે કૃષ્ણ પ્રેમમાં રંગાયો છે, જેનું મન કૃષ્ણ ચિંતનમાં કૃષ્ણાકાર થયું છે,
જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે.---તે જ્યાં બેઠો છે –ત્યાં જ મુક્તિ છે.
તેના માટે વિમાન આવે તો પણ શું ? અને ના આવે તો પણ શું ?

ઈશ્વર સાથે તન્મયતા થાય –તેથી જે આનંદ મળે છે,--તેથી વિશેષ આનંદ વૈકુંઠમાં નથી.
વૈકુંઠમાં જઈએ અને પછી મુક્તિ મળે –તેના કરતાં શરીરને જ કેમ વૈકુંઠ ન બનાવીએ ? 
દેશ-કાળ-અને દેહનું ભાન ભૂલે તો તે જ્યાં બેઠો છે-ત્યાં જ વૈકુંઠ છે. વૈકુંઠ નામે કોઈ ગોખલો નથી –કે –જઈને બેસી જવાય......... જીવન મુક્તિ એ જ મુક્તિ છે.

તુકારામને લેવા વિમાન આવ્યું—તુકારામજી પોતાની પત્નીને કહે છે-કે-આ જીવનમાં હું તને કોઈ સુખ આપી શક્યો નથી., પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે, ચાલ , તને વિમાનમાં બેસાડી પરમાત્માના ધામમાં લઇ જાઉં. પણ પત્નીએ માન્યું નહિ. અને મહારાજને કહ્યું—તમારે જવું હોય તો જાવ, મારે જગત છોડીને આવવું નથી.તે ગઈ નહિ.—સંસારનો મોહ છોડવો કઠણ છે. 
પણ તુકારામ જવા તૈયાર થઇ ગયા, આનંદમાં નાચી ઉઠીને કહે છે –
હું જાઉં મારા સાચા ગામ –મારા સર્વ ને રામ રામ,
રામકૃષ્ણ વિઠ્ઠલ બોલી ,તુકારામ જાય છે વૈકુંઠ ભણી.

વાસના પર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિધ્ધાંત પણ જો મગજમાં ઠસી જશે,તો જીવન મધુર બની જશે.વાસના વધી, ભોગો વધ્યા –તેથી સંસાર ખારો ઝેર બન્યો છે.
વાસનાઓ મનથી ક્ષીણ ના થાય,ત્યાં સુધી મુક્તિ મળવાની નથી.પૂર્વ જન્મનું શરીર ગયું –પણ –મન ગયું નથી.લોકો તનની-કપડાંની કાળજી રાખે છે પણ મર્યા પછી જે સાથે આવે છે તે-મન ની-કાળજી રાખતા નથી.
મર્યા પછી હાથમાં વીંટી હશે તો તે પણ લોકો કાઢી લેશે.

તન ને ગમે તેટલું સાચવો પણ તે ક્ષીણ થવાનું જ છે.
ક્ષીણ થવાના સ્વભાવ વાળું હોવાથી તો તેને શરીર કહે છે.(શીર્યતે-ઇતિ શરીર).
શરીરને ક્ષય રોગ લાગુ પડ્યો છે,શરીરનો ક્ષય થવાનો જ છે. બહુ કાળજી રાખો તો પણ એક દિવસ તો તે 
બગડવાનું જ છે. માટે જ મહાપુરુષો તનને નહિ-મન ને-સાચવે છે. મનને સાચવે તે મહાન બને છે.
તન-ધનને સાચવે તે સંસારી અને મનને સાચવે તે સન્યાસી-સંત છે.



      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE