Jul 15, 2019

ભાગવત રહસ્ય-૭

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.ભક્તિમાર્ગની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો.
જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે.
જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે.

યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાયછે તે આ જીવાત્માને અનાયાસે પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે.આ ભાગવતમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે,ભગવાન કેવા છે? 
પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –તાપત્રય વિનાશાય—ત્રણ પ્રકારના તાપ-(દુઃખ) આધ્યાત્મિક,આધિદૈવિક અને અધિભૌતિક-નો નાશ કરનાર શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ.

દુઃખ એ મનનો ધર્મ છે,આત્માનો નથી.મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે એટલે પરમાત્મા સાથે અનુસંધાન થાય છે.અને આનંદ મળે છે.પરમાત્માનું શરીર ભલે કોઈ વાર સુંદર ન હોય(કુર્માવતાર,વરાહ અવતારમાં શરીર સુંદર નથી.) પણ પરમાત્મા નો સ્વભાવ અતિ સુંદર છે.બીજાનું દુઃખ દુર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે.તેથી ભગવાન વંદનીય છે.સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર.

તાપત્રય વિનાશાય—ત્રણ પ્રકારના તાપ-આધ્યાત્મિક,આધિદૈવિક અને અધિભૌતિક-નો નાશ કરનાર શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ.ઘણા કહે છે કે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે.
પણ વંદન એકલા શરીરથી નહિ ,મનથી પણ વંદન કરો. એટલેકે શ્રી કૃષ્ણને હૃદયમાં પધરાવો.અને તેમને 
પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે,વશ કરે છે.

ભગવાનને હાથ જોડવા –મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતિક છે.અને મસ્તક એ બુદ્ધિ શક્તિનું.વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિનું પ્રભુને અર્પણ કરવું તે. હું મારા હાથે સત્કર્મ કરીશ અને મારી બુદ્ધિ (પ્રભુ)આપને અર્પણ કરું છું,આપ કહેશો તેમ હું કરીશ,--આવો ભાવ- વંદન- નો છે.

દુઃખમાં સાથ આપે તે ઈશ્વર,સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સદા દુઃખમાં જ સાથ આપે છે.
પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી જ શ્રી કૃષ્ણે મદદ કરી છે,પાંડવો ગાદી પર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે.
ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખમાં જ. આથી ઈશ્વરનું સતત મનન કરો.મનુષ્ય જેટલો સમય પૈસા મેળવવા પ્રયત્ન કરે છે,તેથી પણ ઓછો પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર ઈશ્વર મળે.

વારંવાર હૃદયથી વંદન કરવાથી –અભિમાન- મરે છે,પ્રભુને તે જીવ પર દયા આવે છે. વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે,વધુ શું કહું? મારા શ્રીકૃષ્ણને પ્રણામ કરનારનો પુનર્જન્મ થતો નથી.
ઘરમાંથી બહાર નીકળતાં અને ઘરમાં પ્રવેશતા ઠાકોરજીને વંદન કરો.ઈશ્વર પ્રેમ માગે છે ને પ્રેમ આપે છે.
આ જીવનો સ્વભાવ એવો છે કે પ્રભુને વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે પત્ની ઘરમાં ના હોય તો પોતાના બાળકને પૂછે છે કે-તારી બા ક્યાં ગઈ?પણ એની શી જરૂર છે?બહાર ગઈ હોય તો રામ રામ કરને..

રસ્તે ચાલતા પણ મનથી વંદન કરો.ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ,પ્રભુ,નિત્ય મારી સાથે છે.જીવ ઈશ્વરથી થોડી પળ પણ દુર થાય તો જીવની છાતી પર વિષયો ચડી બેસે છે.ભક્તો(વૈષ્ણવો) કોઈ દિવસ એકલા ફરતા નથી,તે હંમેશા ઠાકોરજીને સાથે રાખીને જ ફરે છે.

પ્રત્યેક કાર્યના આરંભ માં પ્રભુને વંદન કરો. પરમાત્માને પ્રસન્ન કરવાની કોઈ વસ્તુ આ જીવ પાસે નથી.જીવ ખાલી પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે.પ્રણામ થી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ. જીવ બીજું કઈ ના કરે-પણ પ્રભુને વંદન તો જરૂર કરે.'હું પ્રભુનો ઋણી છું,તમારા મારા પર અનંત ઉપકાર છે,નાથ,તમને બીજું તો હું આપી શકું?આપનાં ચરણમાં વારંવાર વંદન કરું છું.'  ભગવાનના ઉપકારોનું સ્મરણ કરો અને કાર્યનો આરંભ કરતાં પહેલાં, તેમને વંદન કરો.

આનંદ રૂપ પ્રભુને વંદન કરશો તો તમારામાં આનંદ પ્રગટ થશે. કેસર અને કપૂરનો સ્પર્શ કરશોતો સૂક્ષ્મ રૂપે તેની સુવાસ હાથ માં આવશે. પ્રભુ આનંદ રૂપ છે,આનંદ રૂપ પરમાત્માને મનથી સ્પર્શ કરવાથીથી મનને આનંદ મળે છે.તે પરમાત્માને વંદન કરવાથી,સર્વ દુઃખોનો નાશ થાય છે.
પ્રભુ એ આપણા પર કેટકેટલા ઉપકાર કર્યા છે ! બોલવા,ખાવા જીભ આપી,જોવા આંખ આપી,સાંભળવા કાન આપ્યા,વિચાર કરવા મન, બુદ્ધિ અને વિચારશક્તિ આપી. ઈશ્વરના ઉપકારો યાદ કરીને કહો કે-ભગવાન,હું તમારો ઋણી છુ,આવી ભાવના સાથે વંદન કરો.મારા પ્રભુએ મારા પર કૃપા કરી છે,અને હું સુખી છું.મારા પાપ અનંત છે,પણ નાથ તમારી કૃપા પણ અનંત છે.

વિચાર કરો---કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છુ?
'નાથ હું નાલાયક છું,પાપી છું,છતાં આપે મને સંપતિ,આબરૂ જગતમાં આપ્યા છે' જીવ લાયક નથી તો પણ પ્રભુએ ઘણું આપ્યું છે,'નાથ,આપના અનંત ઉપકાર છે.નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી.માત્ર આપને વંદન કરું છું.'જે એમ વિચારે છે કે-મારા કર્મથી મને માન અને ધન મળ્યા છે,તે અભિમાની છે,તે ભક્તિ કરી શકે નહિ.પણ હૃદયથી દીન બનો.વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે.ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણકે તેમનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોલાયા હતા.
ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે,અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE