Jul 14, 2019

ભાગવત રહસ્ય-૬

ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે-નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે પ્રવૃત્તિના જ વિચાર આવે છે.
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.

પરમાત્માને અર્પણ કરવાનું એટલે સર્વ મંદિરમાં જઈ મૂકી આવવાનું? ના..તેવું કરવાનું નથી.પણ આ જે કંઇ છે તે ભગવાનનું છે,મારું નથી-એવી ભાવના રાખી વર્તવાનું છે,આને –આત્મ નિવેદન ભક્તિ -કહે છે.
આત્મ નિવેદન ભક્તિ-એ ભક્તિનો છેલ્લો પ્રકાર છે.તેનું વર્ણન એકાદશ સ્કંધમાં આવશે.
પ્રભુ એ જે આપ્યું છે-તેનો વિવેકથી સદુપયોગ કરવો એ મહાન પુણ્ય છે,દુરુપયોગ તે પાપ છે.

ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે.ગોપીઓએ ઘર છોડ્યું નથી-ગોપીઓ દૂધ-દહીંનો ધંધો કરતી હતી. સ્વ-ધર્મનો ત્યાગ કરી તે વનમાં ગઈ નહોતી.તેમ છતાં તે ભગવાનને પ્રાપ્ત કરી શકી છે.પ્રહલાદજીને ઘરમાં જ પ્રભુ મળ્યા છે.ઘરમાં રહેલા ગૃહસ્થને પરમાત્માના દર્શન થાય,તેનું મરણ મંગલમય થાય,એ દ્રષ્ટિ રાખીને ભાગવત ની કથા કરી છે.ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં રહીને મેળવી શકો છો.પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ.આ જ પુષ્ટિ ભક્તિ છે.ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો છે.

તેથીજ શુકદેવજી ,ભાગવતમાં ગોપીઓના વખાણ કરે છે.એક સન્યાસી મહાત્મા ,ગૃહસ્થીના વખાણ કરે છે.આ ગોપીઓનો ગૃહસ્થાશ્રમ કેટલો ઉચ્ચ અને આદર્શરૂપ હશે ? !!!.સન્યાસ ધર્મ સ્વીકારી,બધું ત્યાગીને પરમાત્મા માં એકાકાર થવું એ સહેલું છે,પણ સંસારમાં રહી ભગવતમય બનવું તે કઠિન છે.
ઘર છોડવાથી જ પરમાત્મા મળે એવું નથી.ગોપીઓએ જગતને બતાવ્યું છે કે –ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે.

ગોપીને કેવળ ઘરમાં જ ભગવાન મળે છે એવું નથી,જ્યાં જ્યાં ગોપી જાય ત્યાં ત્યાં તેને ભગવાન દેખાય છે.
ગોપીઓ માનતી,મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે.વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાન ગર્વ ઉતરી ગયો હતો.ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી,ઉદ્ધવજી કહેવા લાગ્યા “નંદબાવાના આ વ્રજ માં રહેનારી ગોપીઓનાં ચરણની ધૂળને હું વારંવાર પ્રણામ કરું છું.તેને શિર પર ચઢાવું છું.અરે! આ ગોપીઓએ શ્રી કૃષ્ણની લીલાકથા સંબંધમાં જે કઈ ગાન કર્યું છે,તે ત્રણે લોકને પવિત્ર કરી રહ્યું છે,અને સદા સર્વદા પવિત્ર કરતુ રહેશે.”

ગોપીઓ સર્વ માં ભગવાનને નિહાળે છે.આ ઝાડમાં,લતામાં,ફળમાં,ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે.મારા કૃષ્ણ મને છોડીને જતા નથી.ગોપીઓને ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે.ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો,તમારા વ્યવહાર કરજો,તો પણ પ્રભુની પ્રાપ્તિ થઇ શકશે.ઘરમાં રહેવું તે પાપ નથી પણ ઘરને મનમાં રાખવું તે પાપ છે.ભાન ભૂલીને ઘરમાં રહેવું તે પાપ છે.

ઘરમાં રહેજો પણ વિવેકથી.ઘરમાં સાવધાન થઇને રહેવાની જરૂર છે.ઘર ભલે ના છોડો પણ ઘરની મમતા છોડો.મારું અસલી ઘર જુદું છે,એમ માનીને મનુષ્ય ઘરમાં રહે-તો કોઈ દોષ નથી. ઘરને પ્રભુનું મંદિર બનાવો.
માનો આ પ્રભુનું ઘર છે,મારું ઘર નથી.માલિક થઈને ભોગવશો નહિ,સેવક થઈને ઉપભોગ કરજો.બધાને સાધુ થવાની જરૂર નથી.અરે,બધાં સન્યાસ લેશો તો –સાધુઓનું સ્વાગત કરશે કોણ?તેમને માન આપશે કોણ?

ગોપીઓની દિવ્ય-અલૌકિક - પ્રેમલક્ષણા ભક્તિ –નાં માર્ગનું વ્યાસજી આ ભાગવતમાં વર્ણન કરશે,અને તે ભક્તિ દ્વારા પરમાત્મા નો સાક્ષાત્કાર થશે.ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે.ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે.સંસારનાં વિષયસુખમાં વૈરાગ્ય આવે,અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ્ય છે.ભાગવત એટલે ભગવાનને મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનાર ભગવાન જેવો બને છે.

ભક્તિ મંદિરમાં નહિ પણ જ્યાં બેસો ત્યાં થઇ શકે છે.તેને માટે દેશ કે કાળની જરૂર નથી.ભક્તિ ચોવીસ કલાક કરવાની.ભક્તિનો સમય અને ભોગનો સમય –એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો.ચોવીસ કલાક બ્રહ્મ સંબંધ રાખો.સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ના થાય.


જયારે વસુદેવજીએ કૃષ્ણ ને મસ્તક પર પધરાવ્યા ,ત્યારે બ્રહ્મસંબંધ થયો,એટલે હાથ-પગની બેડીઓ તૂટી,પરંતુ,યોગમાયાને લઇ પરત આવ્યા,એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પણ તે બ્રહ્મસંબંધ ટકાવી શક્યા નહિ.બ્રહ્મ સંબંધને ટકાવી રાખજો.ઈશ્વરનું સ્મરણ છોડશો નહિ.વૈષ્ણવો ભગવાન સાથે રમે છે,જીવ જે જે ક્રિયા કરે છે,તે ઈશ્વરને માટે કરે તો, તેની પ્રત્યેક- ક્રિયા -ભક્તિ બને છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE