Jul 13, 2019

ભાગવત રહસ્ય-૫

જીવ નારાયણનો અંશ છે,તેમાં તેને મળી જવું છે.તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ .
પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.

ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે,પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી.મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું છે,તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી.અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ના થાય.જ્ઞાન નો પાયો છે –વૈરાગ્ય.એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું.
પિતાને કહ્યું-તમે મારા પિતા નહિ અને હું તમારો પુત્ર નહિ.

વેદ ત્યાગ કરવાનું કહે છે.ઉપનિષદ એમ કહે છે કે –બધુ છોડવું જ પડશે.--પૂર્ણ નિવૃત્તિ લેવી જ પડશે.પરમાત્મા માટે બધુ છોડશો તો પરમાત્મા મળશે.ઉપનિષદ નિવૃત્તિ પ્રેરક ગ્રંથ છે. ઉપનિષદ સર્વ છોડવાનું કહે છે-કામ છોડો-ક્રોધ છોડો-લોભ છોડો.પરંતુ મનુષ્ય કંઈ છોડી શકતો નથી. જે ચા,પાનસોપારી છોડી શકતો નથી,તે કામ,ક્રોધ,લોભ,ઘર કેવી રીતે છોડી શકશે? વેદાંત તો કહે છે કે-બધુ છોડીને –સર્વસ્વનો ત્યાગ કરીને –ઈશ્વર પાછળ પડો તો જ ઈશ્વરને ઓળખી શકો.સર્વ નો ત્યાગ કરવો સામાન્ય મનુષ્ય માટે સુલભ નથી.

વેદના ચાર વિભાગો છે.—સંહિતા-બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ.
વેદનો- સંહિતા -ભાગ –મંત્રરૂપે- છે, બ્રાહ્મણ-ભાગ-સંહિતાનું –ભાષ્ય –છે.
વેદની સમાપ્તિ થાય છે- ઉપનિષદ-માં. તેથી તેને વેદાંત કહે છે.
આરણ્યકમાં –ઉપનિષદ-નો ભાગ આવે છે.

અરણ્યમાં રહી-અતિ સાત્વિક-વિરક્ત- જીવન ગાળનાર ઋષિઓ –જે ગ્રંથનું ચિંતન કરે છે-તેને આરણ્યક કહે છે.આવા સાત્વિક-વિરક્ત જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર આપ્યો છે. વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી.બંગલામાં ભોગ-વિલાસમાં રહેતા વિલાસી જીવ વેદાંતની વાતો કરે તે યોગ્ય નથી.તે અધિકારી પણ નથી.આપણા જેવા,સંસારમાં ફસાયેલા જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી પણ શકશે નહિ.
ત્યાગ વિના-વૈરાગ્ય વિના-જ્ઞાન માર્ગ માં સફળતા મળતી નથી.

વ્યાસજી ને લાગ્યું કે કલિયુગમાં મનુષ્યનું જીવન અર્થ પ્રધાન હશે,એમને ત્યાગ નહિ રુચે. વિલાસ પ્રિય લોકોનેત્યાગનો ઉપદેશ અસર કરવાનો નથી.કલિયુગમાં માનવી વિલાસી થશે,તે યોગ સિદ્ધ કરી શકશે નહિ.
પહેલાં ત્યાગપ્રધાન અને જ્ઞાનપ્રધાન સમાજ હતો.પણ હવે પૈસાથી જ સુખ મળે છે-તેમ લોકો માનવા લાગ્યા છે.પૈસો કંઇક ભૌતિક સુખ આપે છે,પણ અંદરની પૂર્ણ શાંતિ પૈસાથી મળતી નથી.
મને ઘણાં પૈસાદારો મળે છે,મને કહે છે કે,-મહારાજ શાંતિ નથી. હું તેમને પુછું છુ કે –તમારે બે બંગલા છે-મોટર છે-તમને શું દુઃખ છે?—તો કહે છે કે –વેવાણ સારી નથી મળી-છોકરીને બહુ દુઃખ આપે છે.

જગતમાં શાંતિ તેને મળે છે કે –જે ભક્તિના પ્રેમ રસથી રંગાય.મનુષ્યના જીવનનો ઘણો સમય પૈસો લઇ જાય છે.જરૂરિયાતો બહુ વધી –એટલે –પૈસા મેળવવા સમયનો ભોગ આપવો જ પડે છે.
વ્યાસજી એ વિચાર કર્યો કે-કલિયુગના વિલાસી લોકોને ઉપનિષદનો માર્ગ મદદકર્તા થશે નહિ.પાંચ હજાર વર્ષ પહેલા વ્યાસજીને ખાતરી થઇ કે –કલિયુગના લોકો વિલાસી થશે.તેને પરમાત્માના દર્શન થશે નહિ.

સાધન ચતુષ્ટય-સંપન્ન –હોય તે જ ઉપનિષદની ભાષા સમજી શકે છે,ઉપનિષદનું જ્ઞાન પચાવી શકે છે.
બંગલામાં પડ્યા પડ્યા-ઉપનિષદની વાતો કરે તે સારું નથી.-બ્રહમ સત્ય છે-જગત મિથ્યા –છે.
પણ બજારમાં ભાવ બેસી જાય ત્યારે સમજાય છે કે બ્રહ્મ સત્ય છે કે પૈસા? 
કલિયુગમાં જ્ઞાન માર્ગે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો કઠણ છે તે વિચારી વ્યાસજીએ ભાગવતની રચના કરી છે.સામાન્ય મનુષ્ય જે ચા,પણ સોપારી છોડી શકતો નથી,બે-ચાર કલાક કથામાં છીકણીની ડબ્બી છોડી શકતો નથી,તેને કહો કે-કામ છોડો-ક્રોધ છોડો-તો તમને ભગવાન મળશે. તો તે કહેશે કે-એ તો છોડાય તેમ નથી.ભગવાન મળવાના હશે તો મળશે.

તમે એકદમ બધુ છોડી ના શકો તો હરકત નહિ.ધીરે ધીરે સંયમ-વિવેકને વધારજો.આ બધુ આપ્યું છે તે પરમાત્માનું છે.તેનો વિવેકથી ઉપયોગ કરજો.જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી.ભોગી –જો યોગી થવા જશે તો રોગી થશે.જ્ઞાન માર્ગ માં જેનું પતન થાય છે –તે નાસ્તિક બને છે.યોગ માર્ગ માં જેનું પતન થાય છે-તે રોગી બને છે.ભક્તિ માર્ગ માં જેનું પતન થાય છે-તે આસક્ત બને છે.
ભાગવત શાસ્ત્રની રચના કલિયુગના જીવો નો ઉદ્ધાર કરવાં માટે કરવામાં આવી છે.
આપણા જેવા સાધારણ જીવોનું કલ્યાણ થાય –તે માટે વ્યાસજીએ ભાગવત ગ્રંથની રચના કરી છે.



      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE