Sep 14, 2019

ભાગવત રહસ્ય-૬૩

કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથી –પણ –હું તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું.
સ્તુતિનો આરંભ કુંતાજીએ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.
સાંખ્ય-શાસ્ત્રનાં ૨૬ તત્વોનું –પ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકોની આ સ્તુતિમાં કરવામાં આવ્યું છે.

ભગવાન બધું કરી શકે પણ ભક્તને નારાજ ન કરી શકે.કુંતાજીનો ભાવ જાણી-કૃષ્ણે વિચાર કર્યો કે-હું જઈશ તો તેમને બહુ દુઃખ થશે.આથી શ્રીકૃષ્ણ પાછા વળ્યા છે અને કુંતાજીના મહેલમાં પધાર્યા છે. અતિશય આનંદ થયો છે.

ઘરની શોભા ભગવાનને લીધે છે. જે ઘરમાં કનૈયાની સેવા થાય છે,કૃષ્ણ કિર્તન થાય છે,ગરીબનું યથાશક્તિ સન્માન થાય છે-તે ઘર વૈકુંઠ જેવું જ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે-જે ઘરમાં આમ થતું નથી-તે ઘર નથી-સ્મશાન છે. તે ઘર ઉજ્જડ થઇ જશે.આવા ઘરનું પાણી પણ ના પિવાય.

કુંતાજીના મહેલમાં અર્જુન આવ્યા છે. અને મા ને કહે છે કે-કૃષ્ણ મારા સખા છે.મારા માટે પાછા આવ્યા છે.
કુંતાજી કહે છે-કે-હું રસ્તા પર જઈને ઉભી હતી-એટલે મારા માટે પાછા આવ્યા છે.
દ્રૌપદી કહે છે કે-કૃષ્ણની આંગળી કપાઈ હતી,ત્યારે મારી સાડી ફાડી પાટો બાંધેલો-એટલે મારા માટે પાછા આવ્યા છે.સુભદ્રા કહે છે કે-તમે તો માનેલા બહેન છો-સગી બહેન તો હું છું. મને મળવા આવેલા-ત્યારે હું રડી ગઈ અને કંઈ બોલી શકી નહિ,એટલે મારા માટે પાછા આવ્યા છે.

પરમાત્મા સાથે પ્રેમ કરશો તો તે તમારા થશે.
સર્વ ને વહાલો પણ જલ્દી એ કોઈનો ન થનારો. એ સર્વથી ન્યારો છે. સબસે ઉંચી પ્રેમસગાઈમાં માને છે.
ભીષ્મનો પ્રેમ પણ અતિ દિવ્ય હતો.કૃષ્ણ કહે છે કે-હું કોઈ સગાઇને માનતો નથી, હું પ્રેમસગાઈમાં માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને યાદ કરે છે.( ભીષ્મ પિતાનો પ્રેમ એટલો વધ્યો ) મને સ્મરણ થયું-તેમને મેં વચન આપેલું-કે તમારા અંત કાળે હું આવીશ.

ભીષ્મ-પિતા તે વખતે બાણગંગાના કિનારે મૃત્યુશૈયા પર પડેલા છે. તેમના માટે-તેમના મરણ ને સુધારવા માટે શ્રીકૃષ્ણ પાછા વળ્યા.છે. મહાત્માઓનું મરણ મંગલમય હોય છે.
સંતોનો જન્મ આપણા જેવો સાધારણ હોય છે.તેથી તેઓની જન્મતિથી ઉજવાતી નથી. પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે-મંગલમય હોય છે. સંત શરીરનો ત્યાગ કરી-ભગવતસ્વરૂપમાં લીન થાય ત્યારે મોટો ઉત્સવ કરવામાં આવે છે.તેથી સંતોની મરણ તિથી ઉજવાય છે.

ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે-તે જોવા મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. આ મહાન પુરુષ છે. જેણે કાળ પર વિજય મેળવ્યો છે-એવા પુરુષનું પ્રયાણ –કેવી રીતે થાય છે-તે જોવા સર્વ એકત્રિત થયા છે. ભીષ્મ પિતાને તરસ લાગી છે. દૂર્યોધન સોનાની ઝારીમાં જળ લઈને આવ્યો છે. ભીષ્મ પિતાએ ના પાડી છે. પાપીના હાથનું પાણી મારે પીવું નથી. તે પછી અર્જુને-પૃથ્વીમાં બાણ માર્યું. પાતાળમાંથી ગંગાજી બહાર આવ્યા છે. ભીષ્મ પિતાએ પાણી પીધું.શ્રી કૃષ્ણની ઈચ્છા એવી હતી કે મરતાં પહેલા ભીષ્મ તેમનું જ્ઞાન બીજાને આપી જાય. તેથી તેમણે ધર્મરાજાને કહ્યું કે-મારી સાથે ચાલો. ભીષ્મ પિતાનું જ્ઞાન તમે ગ્રહણ કરો.

આ બાજુ ભીષ્મ વિચારે છે કે-ઉત્તરાવસ્થામાં ઉત્તરાયણમાં મારે મરવું નથી.મારે કાળ સાથે જવું નથી. પરમાત્મા સાથે જવું છે.ભીષ્મપિતા કાળને આધીન થયા નથી. તેમણે કાળને કહ્યું-હું તારો નોકર નથી.હું તારે આધીન નથી. હું શ્રીકૃષ્ણને આધીન છું.આજ સુધી મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. તું અહીંથી ચાલ્યો જા. કાળને પાછો વાળ્યો છે.ભીષ્મ પિતા કૃષ્ણનું ધ્યાન કરે છે.મને ભગવાને વચન આપ્યું છે-કે અંતકાળે હું જરૂરથી આવીશ. પણ હજુ સુધી તે દેખાતા કેમ નથી ? મારા નારાયણ આવે તો –તેમના દર્શન કરતાં કરતાં –હું પ્રાણ ત્યાગ કરીશ.આમ વિચારે છે-તે-જ- વખતે શ્રીકૃષ્ણ –ધર્મરાજા સાથે ત્યાં પધાર્યા છે.

ભીષ્મ-ધર્મરાજાને કહે છે-કે-શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે.તે તારું –નિમિત્ત કરી મારા માટે તેઓ અહીં પધાર્યા છે. મારું મરણ સુધારવા તેઓ –તેમના વચન ને પાળવા અહીં આવ્યા છે. પરમાનંદ થયો છે.
ભીષ્મે ભગવાનને વચનથી બાંધ્યા હતા.

યુદ્ધ વખતે દૂર્યોધન –ભીષ્મને મહેણાં મારે છે. કે તમે મન દઈને લડતા નથી. આથી ભીષ્મે આવેશમાં આવી પાંડવોના –અર્જુનના વધની પ્રતિજ્ઞા કરી અને દૂર્યોધનને કહ્યું કે-રાતે બાર વાગે હું ધ્યાનમાં બેસું-ત્યારે તારી રાણીને –આશીર્વાદ લેવા મોકલજે.હું તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ-વરદાન આપીશ.
કૃષ્ણને આ સાંભળી ચિંતા થઇ. તે દૂર્યોધનની પત્ની ભાનુમતિને મળ્યા. અને તેને કહ્યું-દાદાજી તો ઘરના જ છે-આજે જવાની શું ઉતાવળ છે? આવતી કાલે દર્શન કરવા જજે. ભાનુમતિ માની ગયાં.

મહાત્માઓ કહે છે-કે- તે જ વખતે કૃષ્ણે દ્રૌપદીને જગાડી છે. અને તેને લઇ ભીષ્મ પાસે ગયા છે.
અહીં ભીષ્મ પિતા ધ્યાન કરે છે,પણ આજે દ્વારકાધીશ નું સ્વરૂપ દેખાતું નથી. પણ હાથમાં દીવો –કાળી કામળી-વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે. દેખાય જ ને ? આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઈને આવ્યા છે.દ્વારપાળે અટકાવ્યા-કોઈ પુરુષ અંદર જઈ શકે નહિ તેવો હુકમ છે. કૃષ્ણ બહાર ઉભા છે-દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે.દૂર્યોધન ની પત્ની ભાનુમતિ –આવી હશે એમ સમજી-ભીષ્મ આશીર્વાદ આપે છે.-અખંડ સૌભાગ્યવતી ભવ......

દ્રૌપદીએ પૂછ્યું-દાદાજી તમારો આશીર્વાદ સાચો થશે ? ભીષ્મ પૂછે છે-દેવી તું કોણ છે ?
દ્રૌપદીએ જવાબ આપ્યો -હું પાંડવોની પત્ની-દ્રૌપદી.
ભીષ્મે કહ્યું-મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા –મેં આવેશમાં લીધેલી છે. સાચા હૃદયથી નહિ.સાચાં હૃદયથી તને આશીર્વાદ આપ્યા છે તે સાચા પડશે.
પણ તું પહેલાં મને એ કહે-કે-તું અડધી રાત્રે એકલી અહીં કેવી રીતે આવી શકી ? અરે! મેં કેમ આ ના વિચાર્યું?
તને લાવનાર –દ્વારકાનાથ-સિવાય બીજો કોઈ હોઈ શકે નહિ.
જવાબની રાહ જોયા વગર ભીષ્મ દોડ્યા છે. બહાર આવી શ્રીકૃષ્ણના દર્શન કરે છે.

શ્રીકૃષ્ણને કહે છે-આજે તો હું આપણું ધ્યાન કરું છું.પણ અંત કાળે તમારુ સ્મરણ રહેશે નહિ માટે અંતકાળમાં મારી લાજ રાખવા –મને લેવા તમે આવજો. તે વખતે શ્રીકૃષ્ણે વચન આપેલું-કે- હું જરૂર આવીશ.
તેમને આપેલા એ વચન ને સત્ય કરવા –દ્વારકા નાથ પધાર્યા છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE