Jan 20, 2020

ભાગવત રહસ્ય-૧૬૫

જ્ઞાનનો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતાનો અનુભવ કરવા માટે છે.
એક મહાત્માના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા.કથા વાર્તા પણ કરતા.મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે –ગાદી કોને આપું ?મહાત્માએ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યોને બોલાવી –બન્નેને એકએક ફળ આપ્યું.અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.

એકે વિચાર્યું-ઓરડો બંધ કરીને ખાઇશ તો મને કોણ જોવાનું છે ?તે ઓરડામાં જઈ ફળ ખાઈને પાછો આવ્યો.બીજા એ જ્ઞાન પચાવેલું હતું.બીજાને જ્યાં જાય ત્યાં ઈશ્વર દેખાય છે.પરમાત્મા વિશ્વોત્મુખ છે.આખો દહાડો ફર્યો-પણ કોઈ એકાંત જગા મળી નહિ.ફળ ખાધા વગર જ તે પાછો આવ્યો.ગુરૂજીએ નક્કી કર્યું કે આ બીજો ચેલો લાયક છે.પહેલો કથા કરે છે-પણ ઈશ્વરના સર્વવ્યાપક સ્વરૂપને સમજ્યો નથી.

પ્રહલાદની દૃઢ નિષ્ઠા છે-કે ઈશ્વર સર્વમાં છે. અનેકમાં એક વસ્તુના દર્શન કરે તે ભક્તિ. એકમાં અનેક ને જોવું તે જ્ઞાન.જ્ઞાની એક વસ્તુમાં અનેકનો લય કરે છે. આ વેદાંત (અદ્વૈત)ની પ્રક્રિયા છે.
વેદાંતમાં દ્રષ્ટા (જોનાર)ની ઉપાસના છે-ભક્તિમાં દૃશ્યની ઉપાસના છે.
વેદાંત માં દૃશ્યનો નિષેધ કરવો પડે છે-જયારે ભક્તિ કહે છે-જે દૃશ્ય છે તે પણ ભગવદસ્વરૂપ છે.
શબ્દોમાં થોડો ફરક છે-જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગમાં ફરક નથી.

જ્ઞાનીઓ બાહ્ય રૂપરંગને જોતા નથી.પરંતુ બાહ્ય રૂપરંગ જેનાથી સુંદર લાગે છે-તે પરમાત્માનો વિચાર કરે છે.
ગાય કાળી હોય –ધોળી હોય કે રાતી હોય –પણ તેનું દૂધ સફેદ જ હોય છે.
મનુષ્ય બુદ્ધિમાન હોય કે મૂર્ખ હોય પણ દરેકમાં રહેલું ચેતન તત્વ એક-જ છે.
જગતમાં કોઈ મૂર્ખ નથી.બધા ઈશ્વરના અંશ છે.જે બીજા ને મૂર્ખ માને તે પોતે જ મૂર્ખ છે.

આપણે ત્યાં તો પશુની પણ પૂજા થાય છે.કૂતરો ભૈરવનાથનું વાહન છે.ગધેડો શીતળા માતાનું વાહન છે.
ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે-તેવો અનુભવ કરવાની જેને આદત પડે-તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે.પરમાત્માની આજ્ઞા સમજીને જે વ્યવહાર કરે છે તેની બુદ્ધિમાં આવી જ્ઞાન રહે છે.
સંસારના જડ પદાર્થોને જેમ બુદ્ધિમાં રાખો છો –તે જ રીતે-બુદ્ધિમાં પરમાત્માને રાખો.
સર્વમાં રહેલા પરમાત્મા આંખને દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે.બુદ્ધિ તેમનો અનુભવ કરી શકે છે.

અતિસૂક્ષ્મ પરમાત્મા આંખને ન દેખાય પણ કોઈ સંત કૃપા કરે અને જોવાની દૃષ્ટિ (બુદ્ધિ) આપે ત્યારે તે (પ્રભુ) દેખાય છે.મનુષ્યને સ્વાતંત્ર્ય –સ્વેચ્છાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ સર્વથી શ્રેષ્ઠ છે તેવું અભિમાન આવે છે.કોઈ સંતનું ચરિત્ર ગમતું હોય તેને ગુરુ માની તેને આધીન થવાથી અહમ નો વિનાશ થાય છે.
ગુરુથી આ અહંનો વિનાશ થવાની સાથે સાથે-એક નવી દૃષ્ટિ (આંખ) ખુલે છે-સદગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ- આપતા નથી પણ પરમાત્માના દર્શન કરવાની એક દૃષ્ટિ (આંખ ) આપે છે.બુદ્ધિ આપે છે.

ગુરુ કરતા પહેલાં ખુબ વિચાર કરજો. “પાની પીના છાનકે-ગુરુ કરના જાનકે”
પણ ગુરુ કર્યા પછી બીજા કોઈ વિચાર કરશો નહિ-તે ગુરુમાં જ સંપૂર્ણ શ્રધ્ધા રાખજો.
જગતના કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા ન થતી હોય તો-કોઈ પ્રાચીન મહાત્માને ગુરુ માનીને તેને આધીન રહેજો.(કોઈ પણ ન મળે તો છેવટે-“કૃષ્ણમ વંદે જગદગુરૂમ “)

એકલા સાધનથી મન કાયમને માટે શુદ્ધ રહેતું નથી.(મન પર બુદ્ધિનો પ્રભાવ છે-બુદ્ધિ અહમ કરે છે)
જયારે સદગુરુની કૃપા થાય ત્યારે મનુષ્યનું મન હંમેશા પવિત્ર રહે છે.(બુદ્ધિના અહમનો નાશ થવાથી)
મન મોટા મોટા સાધુઓને પણ ત્રાસ આપે છે.મન ચંચળ છે.મનશુદ્ધિ વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી.
સાધારણ નિયમ એવો છે કે-ભગવાન કર્મ પ્રમાણે જીવને ફળ આપે છે-તે ન્યાયાધીશ જેવું કામ કરે છે.
પણ સદગુરુ પ્રારબ્ધ પર મેખ મારે છે-અને શિષ્યનું કલ્યાણ કરે છે.

જગતમાં અનેક સંતો છે-પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે નથી. પણ આપણે જો કોઈ ને ગુરુ બનાવીએ તો આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે છે.
સાચાં સાધુ-સંતોને કોઈના ગુરુ થવાની ઈચ્છા થતી નથી. ગુરુને માથે મોટી જવાબદારી છે.જલ્દી કોઈના ગુરુ થવાનું સારું નથી.ગુરુ થવાથી ચેલાના પાપની જવાબદારી પણ ગુરુના માથે આવે છે.

શાસ્ત્રમાં લખ્યું છે-કે-શિષ્ય જે પાપ કરે છે-તેની થોડી સજા ગુરુને પણ કરવામાં આવે છે.
ચેલાના પાપનો ઇન્સાફ કરતી વખતે ગુરુને પણ બોલાવવામાં આવે છે-તેને પૂછવામાં આવે છે-કે-
ગુરુપૂર્ણિમાના દિવસે ખુબ હાર પહેર્યા-ભેટો લીધી પણ ચેલાનું પાપ કેમ ન છોડાવ્યું ? તેને સન્માર્ગે કેમ વાળ્યો નહિ ? ચેલાની સાથે ગુરુને પણ બે ફટકા પડે છે.

આજકાલ લોકો પુસ્તકો વાંચીને-પથારી માં પડ્યા પડ્યા જ્ઞાની બની જાય છે.તે વિચારે છે-કે ગુરુની કોઈ જરૂર નથી.જ્ઞાન છે-પણ તે જ્ઞાનનો અનુભવ થતો નથી.અનુભવ વગરના જ્ઞાનની કિંમત કેટલી ?!!!!

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE