Sep 23, 2019

ભાગવત રહસ્ય-૭૨

શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’
આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?

બુદ્ધિ બગડે ત્યારે માનવું –કે કંઈક અશુભ થવાનું છે-કોઈક આપત્તિ આવવાની છે.પાપ થઇ જાય તો તેનો વિચાર કરીને –શરીરને તે માટે સજા કરો. તે દિવસે ઉપવાસ કરો. પાપ ફરીથી થશે નહિ. તમે તમારાશરીરને સજા કરશો-તો યમરાજ તમને ઓછી સજા કરશે.
પાપ કરે અને એવી ઈચ્છા રાખે કે –મને આ પાપની સજા ના થાય-એ પણ પાપ છે.

ધન્ય છે-રાજા પરીક્ષિતને!! જીવનમાં એક વાર જ પાપ કર્યું છે-પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી.
જે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારનો શાપ થયો છે.પરીક્ષિતે કહ્યું-‘જે થયું તે સારું થયું. ઋષિકુમારે મને શાપ આપ્યો નથી-પણ સાત દિવસ ભક્તિ કરવાનો સમય આપ્યો છે.ખરેખર બ્રાહ્મણે કૃપા કરી છે- જો આજ ને આજ મરે-તેવો શાપ આપ્યો હોત તો –હું શું કરી શકવાનો હતો ? પરમાત્માએ મારા આ પાપની સજા કરી છે. સંસારના વિષય સુખમાં હું ફસાયેલો હતો. એટલે મને સાવધ કરવા –પ્રભુએ કૃપા કરી.મને શાપ ન થયો હોત તો –હું ક્યાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો ? મને ભક્તિ કરવાની તક આપી છે. આજ દિન સુધી મેં મરવાની તૈયારી કરી નહોતી. હવે હું મરવાની તૈયારી કરીશ.’

સાતમે દિવસે મરવાનો છું-તે સાંભળ્યું અને રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. જીવન સુધર્યું છે.
પરીક્ષિતને ખાતરી હતી કે હું સાતમે દિવસે મરવાનો છું, પણ આપણ ને –એ –ખબર નથી- તેથી આપણે વધુ સાવધાની રાખવાની છે.મૃત્યુ હર સમયે માથે છે-એમ માનશો –તો નવું જીવન શરુ થશે. આત્મભાન થશે.

પરીક્ષિત ઘરનો ત્યાગ કરી-દોડતા દોડતા –ગંગા કિનારે આવ્યા છે.ગંગાસ્નાન કર્યું અને દર્ભ પર વિરાજ્યા છે. અન્નજળનો ત્યાગ કરી-ભગવત-સ્મરણમાં તલ્લીન થયા છે. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડતાં વગર આમંત્રણે મળવા આવ્યા છે.રાજા –રાજમહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી-કોઈ ઋષિ રાજાને મળવા ગયા નથી. પણ રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો- અને તે હવે રાજા રહ્યા નથી-પણ રાજર્ષિ બન્યા છે. એટલે ઋષિઓ વગર આમંત્રણે મળવા આવ્યા છે.પરીક્ષિત ઉભા થઇ એક એક ઋષિઓનું સ્વાગત કરી-પ્રણામ કરી-પૂજન કર્યું અને પોતાનું પાપ તેમની આગળ જાહેર કર્યું.

‘મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો-તેથી મને શાપ થયો છે. સાતમે દિવસે હું મરવાનો છું .હું અધમ છું. મારો ઉદ્ધાર કરો.મારું મરણ સુધરે તેવો ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ માટે તૈયારી કરી નથી. સાત દિવસમાં મને મુક્તિ મળે તેવું કરો.મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું ? વગેરે મને બતાવો. સમય થોડો છે.તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો –તો સમય પુરો થઇ જશે. મને એવી વાત બતાવો કે-જેથી પરમાત્માના ચરણમાં લીન થાઉં. -મને મુક્તિ મળે.

રાજાએ સોનાનું સિંહાસન મંગાવ્યું છે. ઋષિઓને કહે છે-કે-સાત દિવસમાં મને મુક્તિ અપાવી શકે તે-આ સિંહાસન પર વિરાજે.ઋષિઓ વિચાર કરવા લાગ્યા.-અમે વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ.તેમ છતાં અમને પણ ચિંતા રહે છે. મુક્તિ મળશે કે નહિ ? સાત દિવસમાં મુક્તિ ?તે વાત શક્ય લાગતી નથી. કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નથી.પરીક્ષિત વિચારે છે કે –હવે તો હું ભગવાનને જ શરણે જઈશ. અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.

‘મેં કઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી.કારણ હું અધમ છું. આપે મારું રક્ષણ –ગર્ભ માં કર્યું તો હવે પણ મારું રક્ષણ કરો. હું પાપી છું પણ નાથ, તમારો છું.’
પરમાત્માએ શુકદેવજી ને પ્રેરણા કરી-કે ત્યાં પધારો.ચેલો લાયક છે.પરમાત્મા પોતે જન્મ સુધારવા આવેલા પરંતુ મુક્તિ આપવાનો અધિકાર –શિવજીનો છે. એટલે શિવજીના અવતાર –શુકદેવજી ત્યાં 
પધારે છે. સંહારનું કામ શિવજીનું છે, એટલે પરીક્ષિતનું મરણ સુધારવા શુકદેવજી પધાર્યા.

શુકદેવજી દિગંબર છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. સોળ વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેષ છે. ઘૂંટણ સુધી લાંબા હાથ છે.વિશાળ વક્ષ સ્થળ છે.દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થિર છે. મોઢા પર વાળની લટો વિખરાયેલી છે. અતિ તેજસ્વી છે.શુકદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે-કોઈ પથ્થર મારે છે-કહે છે-કે નાગો બાવો જાય.-નાગો બાવો જાય.પરંતુ શુકદેવજીને તેનું ભાન નથી. દેહનું ભાન નથી તો – જગતનું ભાન ક્યાંથી હોય ? બ્રહ્માકાર વૃત્તિ છે.

પરમાત્માના સ્મરણમાં-ધ્યાનમાં –જે દેહભાન ભૂલે છે-તેના શરીરની કાળજી ભગવાન પોતે રાખે છે.પરમાત્મા તેની પાછળ પાછળ ભમે છે.આને દેહની જરૂર નથી પણ મને એના દેહની જરૂર છે.
ચારે તરફ –પ્રકાશ ફેલાયો-ઋષિઓને આશ્ચર્ય થયું-આ કોણ આવે છે ? સૂર્ય નારાયણ તો ધરતી પર નથી ઉતરી આવ્યાને ? એક ઋષિએ ઓળખી લીધા-કે –આ તો શંકરજી નો અવતાર-શુકદેવજી પધાર્યા છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE