Sep 24, 2019

ભાગવત રહસ્ય-૭૩

તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.

રાજાએ સુવર્ણ નું એક સિંહાસન –ઉપદેશ આપનાર માટે ખાલી રાખેલું-તેના પર પરમાત્માની પ્રેરણાથી-જઈ બેસી ગયા છે.પરીક્ષિતે આંખો ઉઘાડી-સાષ્ટાંગ પ્રણામ કરી –પૂજા કરે છે. અને કહે છે-કે-‘મારો ઉદ્ધાર કરવા પ્રભુએ આપને મોકલ્યા છે. નહીતર મારા જેવા વિલાસી-પાપી ને ત્યાં –વિરક્ત મહાપુરુષ આવે નહિ.મેં પાપ કર્યું છે,મને હૃદયથી પસ્તાવો થાય છે, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. હવે મને પ્રભુને મળવાની આતુરતા જાગી છે.આપ મને કહો-કે-જેનું મરણ નજીક આવેલું હોય –તેણે શું કરવું જોઈએ ? 
મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે ? તેણે –કોનું સ્મરણ,કોનું શ્રવણ,કોના જપ ,કોનું ભજન કરવું જોઈએ ?’

શુકદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. શુકદેવજીએ કૃપા કરી. રાજાના માથે –પોતાનો વરદ હસ્ત પધરાવ્યો. અને તે જ ક્ષણે રાજાને –દ્વારકાધીશનાં દર્શન કરાવ્યાં.મંત્ર દીક્ષા કરતાં સ્પર્શ દીક્ષા –એ શ્રેષ્ઠ છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ –તેને આપી દઉં.
ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય-નિષ્કામ હોય- અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય- તો-
સાત દિવસ શું ?સાત મિનિટ-સાત ક્ષણમાં –અરે! એક ક્ષણમાં –પ્રભુના દર્શન કરાવે છે.

બાકી-ગુરુ લોભી હોય-અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય –તો બંને નરકમાં પડે છે.
‘લોભી ગુરુ ઔર લાલચી ચેલા-દોનોંકી નરકમેં ઠેલમ ઠેલા.’ 
શુકદેવજી કહે છે-કે -રાજા –તું શું કામ ગભરાય છે ? સાત દિવસ હજુ બાકી છે. ખટવાંગ રાજાએ –એક મુહુર્ત માં –પોતાનું શ્રેય સાધી લીધું હતું. મુક્તિ પ્રાપ્ત કરી હતી.

વિષ્ણુ પુરાણમાં આ ખટવાંગની કથા આવે છે-ખટવાંગરાજાએ –દેવોને મદદ કરી-દૈત્યોને હરાવ્યા. દેવોએ ખટવાંગને –વરદાન માગવા કહ્યું.ખટવાંગે-વિચાર્યું-આ દેવોને મેં મદદ કરી-તે મને શું વરદાન આપી 
શકવાના ? પણ ચાલ, તેઓ પાસેથી મારું આયુષ્ય –કેટલું છે ? તે જાણી લઉં. 
તેણે દેવો ને પૂછ્યું-મારું આયુષ્ય કેટલું બાકી છે –તે મને કહો.
દેવો એ કહ્યું-તારા આયુષ્યનો એક પ્રહર જ બાકી છે.ખટવાંગે –તરત જ સર્વસ્વનો ત્યાગ કર્યો-અને સનતકુમારોને શરણે ગયા.પ્રભુમાં ચિત્ત પરોવી દીધું અને મુક્ત થયા.

શુકદેવજી કહે છે-‘રાજા-હું તારી પાસેથી કંઇ લેવા આવ્યો નથી,તને પરમાનંદનું દાન કરવા આવ્યો છું. હું નિરપેક્ષ છું.મને જે પરમાત્માનાં દર્શન થયાં,તે પરમાત્માનાં દર્શન કરાવવા આવ્યો છું. મને જે મળ્યું-તે તને આપવા આવ્યો છું.કૃષ્ણકથામાં તલ્લીન-મારા પિતા તો (વ્યાસજી) ભુખ લાગે ત્યારે –એક વખત બોર ખાતા હતા. પણ ભજનાનંદમાં –આ કૃષ્ણકથામાં –મને એવો આનંદ આવે છે કે-મને તો-બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા-પણ પ્રભુચિંતનમાં મારું વસ્ત્ર ક્યાં પડી ગયું? તેની પણ મને ખબર નથી.સાત દિવસમાં હું તને –શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. હું બાદરાયણી છું.’

અહીં બાદરાયણી-શબ્દ લખ્યો છે-શુકદેવજીનો-શુક –શબ્દ લખ્યો હોત તો ના ચાલત ?
ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ લખ્યો નથી.શુકદેવજીનો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા –આ શબ્દ વાપર્યો છે.
શુકદેવજી –બાદરાયણ(વ્યાસજી) ના પુત્ર છે. વ્યાસજી નું તપ-વૈરાગ્ય કેવા હતા ?આખો દિવસ જપ-તપ કરે અને ભુખ લાગે-ત્યારે-ફક્ત એક વખત-એકલાં બોર ખાતા. કેવળ બોર ઉપર રહેતા –એટલે બોર ઉપરથી એમનું નામ પડ્યું-બાદરાયણ. અને આ બાદરાયણના પુત્ર –શુકદેવજી-તે બાદરાયણી. જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યથી પરિપૂર્ણ.આવા જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યથી પરિ પૂર્ણ હોય-તે જ મુક્તિ અપાવી શકે.

આજના સુધારકમાં-ત્યાગ-સંયમ-જોવામાં આવતાં નથી. તે બીજાને શું સુધારી શકવાનો હતો ?
મનુષ્ય –પહેલાં –પોતે- જ –પોતાને સુધારવાનો પ્રયત્ન કરે.

શુકદેવજી કહે છે-‘રાજન-જે સમય ગયો છે-તેનું સ્મરણ કરીશ નહિ. ભવિષ્યનો વિચાર કરીશ નહિ.
ભૂતકાળનો વિચાર કરવાથી –શોક-થાય છે. અને ભવિષ્યનો વિચાર કરવાથી-ભય-થાય છે.
માટે વર્તમાન નો જ વિચાર કર-અને વર્તમાન ને જ સુધાર.’ (મરણ નજીક આવેલું હોય-તેણે શું કરવું?-તેનો જવાબ ? પરીક્ષિતના પહેલા પ્રશ્નનો પહેલો જવાબ –એ જાણે-ભાગવતનું બીજ હોય તેમ લાગે છે. વળી જો ગીતાના બીજ જોડે સરખાવવામાં આવે તો સામ્ય પણ દેખાય છે.ગીતા ના અધ્યાય -૨-૧૧-શ્લોક મુજબ તેનો ભાવાર્થ કૈક આવો જ થાય છે-‘જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે ‘)

પોતાનું જીવન -સુધારવાની-તો-જીવને- ઈચ્છા –જ-થતી નથી. બીજાના દોષ જ જલ્દી દેખાય છે. પોતાના દોષ દેખાતા નથી.ભૂલ તો થાય-પણ ભૂલ થયા પછી –જીવને તેનો પસ્તાવો ના થાય તે ખોટું છે.
ભૂલ કર્યા પછી –પસ્તાવો થાય-અને –ફરીથી ભૂલ ન થવા દેવા નો સંકલ્પ-થાય તો જ જીવન સુધરે છે,
(મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું? તેનો જવાબ ?)

રાજન-મારા નારાયણનું તું સ્મરણ કર. તારું જીવન સુધરશે. (કોનું સ્મરણ કરવું?તેનો જવાબ?) ‘
લૌકિક(સંસારના) રસ ભોગવનાર ને –પ્રેમરસ- મળતો નથી.ભક્તિ રસ મળતો નથી.
જગતના રસ કડવા છે-પ્રેમરસ-ભક્તિરસ-જ મધુર છે.જે -ઇન્દ્રિયોનો ગુલામ થયો- તેને- કાળ-પકડે છે.

ભાગવતના વક્તા –આવા-શુકદેવજી જેવા હોવા જોઈએ-અને શ્રોતા –આવા-પરીક્ષિત જેવા –હોવા જોઈએ.(અધિકાર લીલા) આમ પ્રથમ સ્કંધમાં અધિકારનું વર્ણન છે.

ભાગવતનો પહેલો સ્કંધ(અધિકાર લીલા) સમાપ્ત.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE