Mar 18, 2020

ભાગવત રહસ્ય -૨૧૮

શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.ચંદન અને પુષ્પ થી રામજીની સેવા કરીએ તેના કરતાં યે –રામજીની આજ્ઞાનું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણરામજીની ઉપર મુજબની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.
રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.

જો તેમ કરવામાં ના-આવે તો –ઈશ્વર કહે છે-કે-
“મારું કહેલું તું કરતો નથી,અને સેવા કરે છે-તે-યોગ્ય નથી-હું તારી સેવા સ્વીકારતો નથી.”
રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે-કે-તેમનું સ્મરણ કરતાં આપણે પવિત્ર થઇ જઈએ છીએ.
વર્તન રાવણ જેવું રાખે અને રામ-રામનો જપ કરે –કશું વળતું નથી. (કોઈ ફળ મળતું નથી)
વર્તન રામ જેવું બનાવી-રામ-નામનો જપ કરવાથી તાળવામાંથી અમૃત ઝરશે.
રામજીના એક એક સદગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રામજીનો અવતાર રાક્ષસોના સંહાર માટે થયો ન હતો,પરંતુ માનવસમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે થયો છે. શ્રીરામ ધર્મની મૂર્તિ છે.વાલ્મીકિ રામને ઉપમા આપવા ગયા પણ કોઈ ઉપમા ન જડી,
એવો કોઈ દેવ નથી,એવો કોઈ ઋષિ નથી, જેની રામજીને ઉપમા આપી શકાય.કોઈ પણ ઉપમા ન જડી એટલે વાલ્મીકિએ કહ્યું-કે- રામ રામના જ જેવા છે. રામ જેવા જ રામ છે.

કૃષ્ણ લીલાઓ અનુકરણ કરવા માટે નથી,પણ તે લીલા ઓ સાંભળી તન્મય થવા માટે છે.
અમુક લીલાઓ ચિંતન કરવા માટે છે.
રામજીની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતન કરવા માટે છે –એવું નથી.
રામજીનું સમગ્ર જીવન અનુકરણીય છે. રામ સર્વ ગુણોનો ભંડાર છે. પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખતા.

મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે અને બીજી બાજુથી પાપ ચાલુ રાખે છે,તે સારું નથી,
સરવાળે કંઈ પણ હાથમાં આવતું નથી.

રામ માત-પિતાની આજ્ઞામાં હંમેશા રહેતા.
“ભરતને રાજ્ય ભલે આપો પણ મને વનવાસ કેમ મોકલે છો ? “ તેવું રામજી એ કૈકયીને પૂછ્યું નથી.
ઉલટું કૈકયીને કહ્યું-કે- મા,તારો મારા તરફ પક્ષપાત છે,ભરત કરતાં તારો મારા પર વિશેષ પ્રેમ છે, 
ઋષિ મુનિઓનો મને સત્સંગ પ્રાપ્ત થાય એટલા માટે મને વનવાસ આપ્યો છે. 
મારા કલ્યાણ માટે મને વનમાં મોકલો છો. કૈકયી મા ને વંદન કરી વનમાં ગયા છે.

રામજીની માતૃ-પિતૃ ભક્તિ અલૌકિક છે. તેમના જેવી માતૃ-પિતૃ ભક્તિ જગતમાં બીજે ક્યાંય જોવા મળશે નહિ. માતા-પિતા પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે.
રામજી માને છે કે હું સ્વતંત્ર નથી,મારું જીવન ,માત-પિતાને આધીન છે.
દશરથ મહારાજ પણ પોતાને સ્વતંત્ર માનતા નથી,કોઈ પણ કામ કરવું હોય તો વશિષ્ઠજીને પૂછીને કરે છે. રામજી સદા દશરથ અને કૌશલ્યાને પ્રણામ કરતા.

આજકાલના છોકરાઓને માત-પિતાને વંદન કરતા શરમ આવે છે, ધૂળ પડી એ વિદ્યામાં કે જે વિદ્યાના અહમથી મા બાપને વંદન કરતા શરમ આવે છે.પણ એને બાપની મિલકત લેતાં શરમ આવતી નથી.
ગમે તેટલું ભણે પણ જીવનમાં સંયમ-સદાચાર ન હોય- તો તે જ્ઞાન કામનું નથી.
અજ્ઞાની પાપ કરે તો ભગવાન સજા કરે જ છે-પણ જ્ઞાની થઇ જે પાપ કરે તેને ભગવાન વિશેષ સજા કરે છે.

ઈશ્વર ની સેવા નહિ કરો તો ભગવાન નારાજ નહિ થાય પણ માત-પિતાની સેવા ન કરો –
તો ઈશ્વર નારાજ થાય છે. માત-પિતાના આશીર્વાદ વગર કોઈ સુખી થયો નથી.
શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે-કે જેનાં માત-પિતા મરણ પામ્યા છે-તે ચોવીસ કલાકમાં એક વખત –
માત-પિતાને યાદ કરીને વંદન કરે.

રામજીમાં સર્વ સદગુણો એકત્ર થયા છે. એક-વાણી,એક-વચની –એક-પત્નીવ્રતધારી શ્રી રામ છે.
વડીલોનું જેટલું સારું –અનુકરણીય લાગ્યું તેટલું જ જીવનમાં ઉતાર્યું છે.
રામજીએ દશરથજીનું બધું રાખ્યું-પણ એક વસ્તુ રાખી નથી,તેમનું બહુપત્ની-વ્રત રાખ્યું નથી.
રામજીએ કહ્યું નથી –કે મારા પિતાજીએ ભૂલ કરી છે-પણ વિવેકથી ભૂલ સુધારી છે.
રામ-રાજ્યમાં પ્રભુએ કાયદો સુધાર્યો-કે એક પુરુષ એક પત્ની જ કરી શકે.

જેનું મન એક –જ સ્ત્રીમાં –પત્નીમાં છે- તે –એક-પત્ની-વ્રત ધારી પુરુષ સાધુ જ છે.
પુરુષ એક જ સ્ત્રીમાં કામભાવ રાખે અને ધર્માંનુંકુલ કામ ભોગવે –તો તે –ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે.
કામભાવને એક-માં જ સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE