Jan 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૨

શ્રીકૃષ્ણે-(૧) સહુ પ્રથમ તો –અર્જુનને સાચું જ્ઞાન (આત્મા અને શરીરનું જ્ઞાન) આપ્યું.અને કહ્યું કે-આ બધાં શરીરો છે. જે માયાથી પેદા થયેલાં છે.આ શરીરો તે આત્મા નથી.
આત્મા એક ચૈતન્ય છે –કે જેનાથી શરીરને જીવન મળે છે.અને આત્માના વિદાયથી મૃત્યુ મળે છે.જે જન્મે છે-તે મરે છે. શરીરનું જન્મ મૃત્યુ છે-આત્માનું નથી.એટલે મનુષ્ય મરનાર પણ નથી અને મારનાર પણ નથી.---એમ સમજાવી યુદ્ધ કરવાનું કહ્યું.

પણ અર્જુન ના સંશયો ગયા નહિ-તે સાંભળે તો ને ? તે તો હજી -પોતાના વિચારો માં મસ્ત છે.
(૨) એટલે તેમણે –સ્વ-ધર્મ એટલે કે ક્ષત્રિય તરીકેનો ધર્મ એ યુદ્ધ કરવાનો છે.એમ સમજાવ્યું.
પણ અર્જુનની -હજુએ એની એ જ દશા છે.

એટલે હવે કૃષ્ણ થોડી વ્યૂહ (સ્ટ્રેટેજી) બદલે છે.
મૂળભૂત રીતે તો કૃષ્ણના આ બધા વ્યૂહો--અર્જુનને –આ યુદ્ધના “કર્મ” માટે તૈયાર કરવા માટેના છે.
પણ,અર્જુનની  અસ્થિર “બુદ્ધિ” આ કર્મ માટે તૈયાર થતી નથી.

એટલે હવે “જ્ઞાન” અને “સ્વ-ધર્મ” ના ઉપદેશ પછી, કર્મયોગ વિષેની “બુદ્ધિ”ની વાત કરે છે.અને -
કર્મયોગ વિષેની બુદ્ધિ (જ્ઞાન) સમજાવે છે. ધર્મયુદ્ધનું કર્મ કરવા માટે સમજાવે છે.
અને ધીરે ધીરે કરી ને સ્થિર બુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) –કોને કહેવાય તેનો ઉપદેશ કરે છે.

કર્મયોગ વિષે વિસ્તારથી ત્રીજા અધ્યાયમાં આવશે.અહીં માત્ર કર્મયોગની “બુદ્ધિ” (જ્ઞાન)ની વાત કહી છે.
કારણકે બધો ગરબડ-ગોટાળો “બુદ્ધિ” ના કારણે થયો છે. 
એટલે જ કર્મ વિષેનો -આ “બુદ્ધિયોગ” અહીં ઉમેર્યો  છે.

શ્રીકૃષ્ણ કહે છે -કે-કૌરવોને યુદ્ધ નહિ કરવા અને રાજ્યભાગ આપવા સમજાવવામાં આવેલા હતા.
કૌરવો ધર્મ સમજવા માટે તૈયાર નહોતા-તેથી ધર્મને માટે યુદ્ધનું (આ કર્મનું) નિર્માણ થયું છે.
અને આ ધર્મ-યુદ્ધના કર્મને બુદ્ધિથી વિચારવાથી-અને થોડા બુદ્ધિવાળા થઇને વિચારવામાં આવે તો-
નિષ્કામ બુદ્ધિથી કર્મ કરવાથી કોઈ કર્મ નું બંધન પ્રાપ્ત થતું નથી. (૩૯)

“કામ” શબ્દ ઉપર થી “નિષ્કામ” શબ્દ આવ્યો છે.
કામ શબ્દના ઘણી જુદી જુદી રીતે અર્થ કરવામાં આવે છે. 
પણ અહીં  નિષ્કામ –શબ્દનો અર્થ સમજવા -આપણે “કામ” નો એક સર્વ-સામાન્ય અર્થ લઈએ.

કામ એટલે-પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા-અથવા-
પોતાની પાસે છે તેનાથી વધુ પામવાની ઈચ્છા.
એટલે જે બુદ્ધિ -કામી છે-તેની બુદ્ધિને હંમેશ કંઈકને કંઈક  જોઈએ છે. અથવા તો વધુને વધુ જોઈએ છે.

ઉદાહરણ તરીકે જોઈએ-તો-
કોઈ મનુષ્યને સંતાન નથી.અને સંતાન માટે પ્રભુની સેવા કરે છે-અને જો પ્રભુ સંતાન આપે-
તો પછી સંતાનની માયામાં-આશક્તિમાં પ્રભુને ભૂલી જાય.
અને જો તેને સંતાન ન થાય તો –તે પ્રભુની સેવા છોડી દે.આ મનુષ્યની બુદ્ધિને “કામી” કહી શકાય.
આવી બુદ્ધિ ને “અનિશ્ચયાત્મક બુદ્ધિ” પણ કહે છે.

અને કોઈ મહાત્મા –માત્ર પ્રભુની પ્રાપ્તિના માર્ગ પર ચાલે  અને માર્ગમાં મળતાં ફળો પર –
પોતાનો નહિ પણ પ્રભુનો જ અધિકાર છે-પ્રભુએ આપેલાં ફળો પ્રભુના જ છે-એમ સમજી –
ફળમાં આશક્ત થયા વિના –વિવેકથી ફળને ભોગવે તો –તે મહાત્માની બુદ્ધિ-“ નિષ્કામ” કહેવાય.
આવી- “નિષ્કામ બુદ્ધિ” –કે જેને “નિશ્ચયાત્મક-બુદ્ધિ” અથવા “સદબુદ્ધિ” પણ કહે છે-

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE