Jan 14, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૩

જેમ,ભૂત,મનુષ્ય ને નડે છે-પણ એ જ ભૂત–ભૂવો-એ મનુષ્ય હોવા છતાં તેને નડતું નથી.
તે જ રીતે,જેની બુદ્ધિ નિષ્કામ છે-જેની સદ-બુદ્ધિ છે-તેને સંસારની માયા નડી શકતી નથી.જેમ,દીવાની જ્યોત નાની સરખી હોવાં છતાં –મોટો પ્રકાશ આપે છે-તેમ,નિષ્કામ બુદ્ધિ-સદબુદ્ધિ થોડીક પણ હોય –તો પણ ઘણી છે.કારણ કે-જગતમાં સદબુદ્ધિ મળવી મુશ્કેલ છે. (૪૦)

બીજા પ્રકારની બુદ્ધિ તે –દુર્બુદ્ધિ-સકામ- બુદ્ધિ છે.
આવી બુદ્ધિમાં વિકારો પેદા થાય છે.આવી બુદ્ધિ વાળા –અવિચારી-લોકો સદા વિકારોમાં જ રમે છે.
કર્મ કરે છે-ફળમાં આશક્ત થઇ ફળ ભોગવે છે-તે સંસારના ચક્કરમાં ફર્યે જાય છે.
કદીક સારા કર્મો કરી –પુણ્ય કરી-સ્વર્ગમાં જાય છે-સ્વર્ગમાં પુણ્યનો ક્ષય  કરી પાછા જગતમાં આવે છે-
ખરાબ કર્મો-પાપ-કરી નરકમાં જાય છે---પણ-તેમને આત્મ-સુખ મળતું નથી.  (૪૧)

આવા સકામી લોકો-વેદોનો આધાર બતાવી –કર્મ માર્ગ-શ્રેષ્ઠ છે-તેમ કહે છે-પરંતુ ફળ ઉપર આસક્તિ રાખે છે. તેઓ કહે છે-કે-પૃથ્વી પર યજ્ઞો-જેવા કર્મો કરી –સ્વર્ગ-સુખનો ઉપભોગ કરવો.
આવા દુર્બુદ્ધિવાળા મનુષ્યો એમ જ કહે છે-કે-સ્વર્ગ સુખ સિવાય બીજા સુખો સુખ આપનારાં છે જ નહિ.

આવા લોકોને ફક્ત ભોગ ભોગવવાની ઈચ્છા અને ભોગ ભોગવવાની જ આસક્તિ હોય છે.
અને તે ભોગ ભોગવવાના ફળ ઉપર જ દૃષ્ટિ રાખે છે-અને તેના માટે જ સકામ કર્મો કરે છે.
સ્વર્ગની અને ભોગની ઈચ્છામાં તે ઈશ્વરને ભૂલી જાય છે. અને સકામ કર્મોથી –અતિ મહેનતથી
મેળવેલા સ્વર્ગના સુખ ભોગવવામાં મશગુલ થઇ જાય છે.

જેમ કોઈ રસોઈઓ સરસ મોંઘાં પકવાન તૈયાર કરે-પણ પૈસા કમાવવાની લાલચે-બજારમાં વેચે છે-
તેવી જ રીતે આવા અવિચારી-દુર્બુદ્ધિ વાળા લોકો-સુખના ઉપભોગ માટે-ધર્મ ગુમાવે છે.(૪૨-થી-૪૪)

વેદોના  જે ભાગમાં કર્મ,ઉપાસના –વગેરે નું  વર્ણન કરવામાં આવ્યું છે-તે સર્વે ત્રણ ગુણો
(સત્વ-રજસ-તમ) થી ભરેલા છે-અને સ્વર્ગમાં કેવી રીતે જવું?-તે  બતાવે છે-
અને તે પ્રમાણે કર્મ-ઉપાસના ન કરવામાં આવે તો –સ્વર્ગને બદલે નર્ક પણ મળે છે.
એટલે કે-તે સુખ-દુઃખના કારણો છે. માટે-આ ત્રણે ગુણો નો ત્યાગ કરી-અહંતા-મમતા (દ્વંદ) છોડી દઈ –
પોતાના સુખ નો વિચાર નહિ કરતાં-ચિત્ત-બુદ્ધિ ને- આત્મ-સ્વરૂપમાં સ્થિર કર (૪૫)

જેમ- સવાર પડે-અજવાળું થાય-એટલે આપણી સામે અસંખ્ય માર્ગો દેખાય છે.
પણ બધા માર્ગો પર એક સાથે જવાતું નથી.
જેમ-આખી પૃથ્વી પર પુષ્કળ પાણી છે,
પણ આપણે તો આપણા જોઈતા મુજબના પાણીનો ઉપયોગ જ કરી શકીએ છીએ.
તેમ,વેદમાં અસંખ્ય વાતો નું  જુદી જુદી રીતે વર્ણન કરેલું છે. તેમાંથી આપણને અનુકૂળ જે માર્ગ હોય
તેનો જ સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાની મનુષ્યો-વેદોના અર્થનો વિચાર કરી-છેવટે તો-
નિરાકાર -નિર્ગુણ-સાશ્વત –બ્રહ્મનો જ સ્વીકાર કરે છે.(૪૯)

કૃષ્ણ કહે છે- હે અર્જુન,મેં અનેક દૃષ્ટિથી બધી વાતનો વિચાર કરી જોયો અને મને લાગ્યું છે-કે-
તારે માટે સ્વ-કર્મ (પોતાનું કર્મ) જ યોગ્ય છે.તારું જે કર્તવ્ય –કર્મ છે-તે તારે છોડવું જોઈએ નહિ.
તારો માત્ર કર્મ કરવા ઉપર જ અધિકાર છે-કર્મ ના જે ફળો મળે તેના ઉપર તારો અધિકાર નથી.
તેથી,કર્તવ્ય કર્મ કરે જવાનાં-પણ ફળની ઈચ્છા રાખીશ નહિ. (૪૭)

ફળની ઈચ્છાનો ત્યાગ કરી ને –મન પૂર્વક કર્મ કર (યુદ્ધ કર –જે તારું કર્મ છે)
આરંભેલું કાર્ય –જો પ્રભુની ઈચ્છાથી પાર પડે (યુદ્ધમાં જીત થાય) તો તેનાથી ફુલાઈ જવું નહિ-
અને જો કોઈ કારણસર કાર્ય પૂરું ન થાય તો તેને માટે શોક કરવો નહિ.

કાર્ય પૂર્ણ થાય કે અપૂર્ણ રહે –બંનેમાં –ઈશ્વરની એવી ઈચ્છા હશે-એમ માની બંનેને સારું (રૂડું) જ માનવું.
કારણ કે- જેટલાં કર્મો  થાય અને તે કર્મોનાં જે ફળ મળે-તે બધાં પર ઈશ્વરનો જ અધિકાર છે.
અને તે બધાં ફળો ઈશ્વરને જ અર્પણ કરવાનાં હોય છે-
તો પછી –તે પૂર્ણ રહે કે અપૂર્ણ રહે-તેનું કોઈ મહત્વ રહેતું નથી.

એટલે કે કર્તવ્ય-કર્મ કરતાં-સારું (સિદ્ધિ) કે ખરાબ (અસિદ્ધી) –જે કાંઇ પરિણામ પ્રાપ્ત થાય –
તેમાં “સમાન” મનોધર્મ (સમતા) રાખવો-એનું નામ જ “યોગ”.  (૪૮)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE