Feb 8, 2020

ભાગવત રહસ્ય-૧૮૩

ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે.
(ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” 
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ 
તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ? 

એવા દુર્ગમ ચરિત્ર વાળા પ્રભુ મારી રક્ષા કરો.” “હું પશુ છું,કાળના પાશમાં ફસાયો છું.મારા જેવા શરણાગત,પશુ-તુલ્ય,અવિદ્યાગ્રસ્ત-જીવની.અવિદ્યારૂપ ફાંસીને –સદાને માટે કાપી નાખવાવાળા,
અત્યંત દયાળુ તેમજ દયામાં કોઈ પણ દિવસ આળસ નહિ કરવાવાળા –નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું.
તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામીરૂપથી પ્રગટ રહો છો.
સર્વ ના નિયંતા અને અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું.”

“જેઓ શરીર,પુત્ર,મિત્ર,ઘર સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે-તેઓને તમારી પ્રાપ્તિ થવી અતિ કઠિન છે.
કારણકે તમે સ્વયં –ગુણોની આસક્તિ રહિત છો. જીવનમુક્ત પુરુષ પોતાના હૃદયમાં તમારું નિરંતર ચિંતનકરતો રહે છે.એવા જ્ઞાન સ્વરૂપ –સર્વ સમર્થ ભગવાનને હું વંદન કરું છે.”
“હે નાથ,મારા પર કૃપા કરો,મારી રક્ષા કરો, હું તમારે શરણે આવ્યો છું.”

ગજેન્દ્ર આ પ્રમાણે આર્દ્ર બનીને શ્રી હરિની સ્તુતિ કરે છે.
કાળ પકડે ત્યારે ત્યારે જીવ કેવો ગભરાય છે? તે આ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરી –ગજેન્દ્ર થઇ અને 
ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો.તો અંતકાળ સુધરશે અને પરમાત્મા લેવા આવશે.
મહાભારતનો ગજેન્દ્ર મોક્ષ ૧૪૦ શ્લોકનો લાંબો છે.ભાગવતનો બહુ લાંબો નથી. 
મહત્વના ૩૫ શ્લોક જ છે.રોજ પાઠ થઇ શકે છે.

ગજેન્દ્રની અરજ સુણી નિરાધારના આધાર –દ્વારકાનાથ દોડતા આવ્યા છે.
ગજેન્દ્રે જોયું કે પરમાત્મા આવ્યા છે-તેણે સરોવરમાંથી એક કમળ ઊંચકી પ્રભુને અર્પણ કર્યું.
તુલસી અને કમળ પરમાત્માને અતિ પ્રિય છે. કમળ પરમાત્માની ડુંટી માંથી નીકળ્યું છે-તેમની પોતાની
સૃષ્ટિનું છે. બ્રહ્માજીની સૃષ્ટિ નું નથી.સુદર્શનચક્રથી ભગવાને મગરને માર્યો છે.

કાળનો નાશ જ્ઞાનચક્રથી થાય છે.એવું જ્ઞાન થાય કે-સર્વમાં ભગવાન દેખાય.બ્રહ્મદૃષ્ટિ થાય.
અજ્ઞાનીને સંસાર બાધક છે-જ્ઞાનીને માટે જગત રહેતું નથી.અજ્ઞાનની પકડ માંથી છૂટવાનું છે.
પૂર્વજન્મમાં આ ગજેન્દ્ર ઈન્દ્રધુમ્ન નામનો રાજા હતો. તે ધ્યાનમાં બેઠો હતો તે વખતે અગસ્ત્ય મુનિ 
આવ્યા.રાજા ઉઠીને ઉભા થયા નહિ.એટલે મુનિને લાગ્યું-રાજા મારું અપમાન કરે છે.
તેમણે રાજાને શાપ આપ્યો-તું જડ-પશુની જેમ બેસી રહ્યો-તેથી તને પશુનો અવતાર મળો.

પૂર્વજન્મમાં ગજેન્દ્રે ખુબ ભજન કરેલું એટલે-ગજેન્દ્ર યોનિમાં તેને પ્રભુ યાદ આવ્યા છે.
અતિશય સુખમાં અને અતિશય દુઃખમાં –ભગવાન ન ભુલાય-તેવી ટેવ પડજો.જે જે સંસ્કાર મનમાં દૃઢ 
થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ લાગશે.

છઠ્ઠા મન્વંતર –તે ચાક્ષુસ મન્વંતરમાં સમુદ્રમાંથી અમૃત નીકળ્યું તે ભગવાને દેવોને પીવડાવ્યું.
છઠ્ઠા મન્વંતરમાં ભગવાન –અજીત- નામે અવતર્યા.સમુદ્રનું મંથન કરી અમૃત કાઢી આપ્યું અને પોતે જ
કચ્છરૂપ ધારણ કરી મંદરાચળ પર્વતને પીઠ પર ધારણ કર્યો હતો.

પરીક્ષિત રાજા પૂછે છે-ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું ?મંદરાચળને પોતાની પીઠ પર કેવી રીતે 
ધારણ કર્યો ? દેવતાઓને અમૃત કેવી રીતે પીવડાવ્યું ? આ કથા મને સંભળાવો.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE