Feb 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૯

સાંખ્યયોગ (જ્ઞાનયોગ)માં-કર્મનો સવિવેક(વિવેકથી) સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે-અને 
કર્મયોગમાં –કર્મનું વિધિપૂર્વક આચરણ કરી (અનાસક્તિથી)–કર્મનો સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે.
જેમ સૂર્ય પ્રકાશ –ભિન્ન ભિન્ન હોઈ શકતો નથી, તે જ રીતે,
જે મનુષ્યે,આત્મ-જ્ઞાનથી –--આત્મ-સ્વ-રૂપને જાણ્યું છે.
તેને જ સાચી રીતે સમજાય છે-કે- આ બંને યોગ –જ્ઞાનયોગ અને કર્મયોગ-એક જ છે (૪)

જ્ઞાનયોગ દ્વારા જે વસ્તુ (આત્મ-તત્વ) ની પ્રાપ્તિ થાય છે, તે જ વસ્તુ કર્મયોગ દ્વારા પણ મળે છે.
જેમ આકાશ અને પોલાણમાં કોઈ ભેદ નથી-તેવી રીતે આ બંનેમાં પણ કોઈ ભેદ નથી.
આમ- જે -જ્ઞાનયોગ અને કર્મયોગમાં ભેદ (ભિન્નતા) જોતો નથી,
તેને જ આત્મ-જ્ઞાન પ્રાપ્તિ થયેલી છે,તેણે જ આત્મ-સ્વરૂપને જાણ્યું છે-એમ કહી શકાય  (૫)

કર્મયોગના માર્ગના આચરણથી-સત્ય (બ્રહ્મ)ની પ્રાપ્તિ થાય છે,
અને આનાથી વિરુદ્ધ –કર્મયોગનો માર્ગ નહિ આચરનાર-સત્ય-પ્રાપ્તિ માટે ફાંફાં જ મારે છે-
તેને-સાચો (કર્મ) સંન્યાસ પ્રાપ્ત થતો નથી.(૬)

જેવી રીતે મીઠું  (મીઠાના ગાંગડા) જ્યાં સુધી સમુદ્રમાં પડ્યા નથી ત્યાં સુધી જોઈ શકાય છે,
પણ જેવા તે સમુદ્રમાં પડ્યા –કે તરત જ તે સમસ્ત સમુદ્રમાં ઓગળીને પ્રસરી જાય છે,
તે જ પ્રમાણે,જેણે પોતાનું મન ભ્રાંતિ (ભ્રમણા-સંશય)માંથી છોડાવી, આત્મ-સ્વ-રૂપમાં સ્થિર કર્યું છે,
તેના મનના સંકલ્પ-વિકલ્પો દૂર થઇ અને તે બ્રહ્મ-સ્વ-રૂપમાં મળી જાય છે.

પછી તેવા મનુષ્યમાં –‘હું કર્તા છું’ ‘આ મારું કર્મ છે’ ‘મારે અમુક કાર્ય કરવાનું છે’
આવું કશું જ રહેતું નથી. ત્યાર બાદ તે મનુષ્ય જો સર્વ કર્મો (કર્તવ્ય કર્મો-વગેરે) કરે તો  પણ તે –
તે કર્મ નો અકર્તા થઇ ને રહે છે (કર્મ કરતો નથી).(૭)

આવો મનુષ્ય હોય છે –તો-બીજા મનુષ્યો ના જેવો –જ –શરીરધારી મનુષ્ય.
તે બધી જાતનો વ્યવહાર કરતો નજરે જોવા મળે છે.
આંખથી જુએ છે,કાનથી સાંભળે છે,નાકથી ગંધ લે છે-શ્વાસોશ્વાસ કરે છે, મુખથી ખાય છે-બોલે છે,
ચામડીથી સ્પર્શ કરે છે,(જ્ઞાનેન્દ્રિયોની ક્રિયાઓ કરે છે)-વળી-
પગથી ચાલે છે,હાથથી કામ કરે છે,મળમૂત્રની ક્રિયાઓ કરે છે,(કર્મેન્દ્રિયોની ક્રિયાઓ).

પણ આ બધી ઇન્દ્રિયોની (જ્ઞાનેન્દ્રિયો-કર્મેન્દ્રિયો) ની ક્રિયાઓ કરતાં કરતાં-પણ તે મનુષ્ય-
એમ જ સમજે છે- કે-“આ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે-હું કંઈ કરતો નથી” (૮-૯)

સમજવામાં થોડી અઘરી લાગતી આ વાત-સમજવાનો થોડો પ્રયત્ન ઉદાહરણથી કરીએ-
જયારે સાઈકલ ચલાવતાં શીખીએ છીએ –ત્યારે
--બેલેન્સ રાખવામાં-આપણે, આપણી બુદ્ધિને સતત જોડી રાખવી પડે છે. એટલે એમ કહી શકાય કે-
  આપણે સતત “બેલેન્સ રાખવાની “ કર્મ-ક્રિયા કરીએ છીએ.
--પણ અમુક સમય પછી જયારે આપણે સાઈકલ ચલાવતા શીખી જઈએ –ત્યારે “બેલેન્સ રાખવાની”
   ક્રિયા આપોઆપ થાય છે-

અહીં “બેલેન્સ રાખવાની” ક્રિયા-કર્મ –આપણે ઓટોમેટિક કરીએ તો છીએ જ -પણ કરતા નથી.
(કારણ કે-“મન” “બુદ્ધિ” અને “હું” (અહમ)–આ બેલેન્સ રાખવાની ક્રિયામાં જોડાયેલા હોતા નથી)
(માત્ર થોડું સમજવા માટે જ આ ઉદાહરણ છે.એને બહુ લંબાવવું નહિ)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE