Dec 1, 2012

રામાયણ-૪૧

      PREVIOUS PAGE
     NEXT PAGE

શબરી પૂર્વજન્મ માં રાજા ની રાણી હતી, અને રાણી હોવાને નાતે તે –સંતો ની ધનથી સેવા કરી શકતી,
પણ તનથી સેવા કરી શકતી નહોતી.
સંસારમાં રાણી નું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરી ને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ સંત ની તન થી સેવા કરી શકતી નથી “
મહારાણી એક વખત પ્રયાગરાજ  ગયાં,ત્યાં અનેક મહાત્મા ઓ નાં દર્શન કર્યાં,અને ત્રિવેણી માં આત્મહત્યા એવી ઈચ્છા થી કરી કે –બીજા જન્મ માં મને સાચા સંતો નો સત્સંગ થાય-સેવા થાય.
બીજા જન્મ માં એક ભીલ ને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો.

શબરી એ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે. નાનાં હતાં ત્યારથી પ્રભુ માં પ્રેમ છે.
શબરી ના લગ્ન નું નક્કી થયું,પિતા મિજબાની માટે ત્રણસો બોકડા લાવ્યા છે,શબરી એ વિચાર્યું-કે-
“મારા લગ્ન માં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી”
મધ્યરાત્રિ એ શબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતંગઋષિના આશ્રમ પાસે આવ્યાં.

“હું ભીલ-કન્યા છું,એટલે કદાચ ઋષિઓ મારી સેવા નો સ્વીકાર,કરે કે ના કરે, તેથી મારે ગુપ્ત રહી ને
સેવા કરવી છે” એમ વિચારી ને શબરી ,દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સુઈ જાય એટલે,
છુપી રીતે મહાત્માઓની સેવા કરે.
આશ્રમ ની બુહારી (સાફસુફી) કરે અને તાજાં ફળફૂલ –સેવાપૂજા માટે મૂકી આવે, ઋષિઓ જે રસ્તે
સ્નાન કરવા જતા તે રસ્તાની બુહારી ની સેવા અંધારા માં ઉઠી ને કરતાં.
કોઈ ને ખબર પડતી નથી,પરંતુ એક દિવસે તે પકડાઈ ગઈ.

માતંગ ઋષિએ પૂછ્યું કે-તુ કઈ જાત ની છે ? શબરીએ કહ્યું-કે-હું કિરાત ની કન્યા છું,ભીલડી છું.
વારંવાર વંદન કરે છે-કહે છે- કે- “હું અપરાધી છું.મને માફ કરો”

માતંગ ઋષિએ વિચાર્યું-કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી.આ કોઈ મહાન જીવ હીનયોનિ માં આવ્યો છે.
માતંગ ઋષિએ પૂછ્યું-કે બેટા તુ ક્યાં રહે છે ? શબરી એ કહ્યું કે -હું ઝાડ ઉપર રહું છે.
માતંગ ઋષિ એ કહ્યું-કે-હવે થી તુ મારા આશ્રમમાં રહેજે.
માતંગ ઋષિએ તેને આશ્રમ માં રહેવા ઝૂંપડી આપી છે. શબરી શુદ્ધ હતી,છતાં બીજા ઋષિઓ માતંગ ઋષિ ની નિંદા કરે છે-કે “ભીલ કન્યા આશ્રમમાં રાખી છે”

માતંગ ઋષિએ વિચાર્યું કે –આ ભીલડી બધી મર્યાદા પાળે છે,તેનો તિરસ્કાર યોગ્ય નથી.
તેમણે શબરી ને રામ મંત્ર ની દીક્ષા આપી છે. કાર નો ભાવાર્થ રામનામ માં ભર્યો છે.
કાર ના જેવી જ મંત્ર શક્તિ રામ નામ માં રહેલી છે. રામ શબ્દમાં ર,આ અને મ એમ ત્રણ અક્ષરો છે,
ર- થી પાપ નો નાશ થાય છે,-આ -થી બુદ્ધિ શુદ્ધ થાય છે,અને -મ -ચંદ્ર જેવી શીતળતા આપે છે.

સમય જતાં માતંગ ઋષિ બ્રહ્મલોક માં જવા તૈયાર થયા,તે વખતે શબરી રડી પડી છે.કહે છે-કે-
“પિતાજી તમે ના જાવ,તમે જશો તો મારું શું થશે ?”
માતંગ ઋષિએ આશ્વાસન આપ્યું છે-કે- મેં તને રામ-મંત્ર ની દીક્ષા આપી છે,બેટા તુ ભાગ્યશાળી છે,
કે શ્રી રામ તને એક દિવસ મળવા આવશે,મારા તને હૃદય થી આશીર્વાદ છે.
તારા ઘરે રામચંદ્રજી  જરૂર આવશે,ક્યારે આવશે તે મને ખબર નથી,પણ આવશે જરૂર.
હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યા માં થયું છે.

શબરી, રામ ની આશા માં જીવે છે,”એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે.”

કોઈ મનુષ્ય ની આશા રાખવી તે મહાદુઃખ છે, ભગવાન ની આશા રાખવી તે મહા સુખ છે.

મીરાંબાઈ ના મહેલ માંથી રોજ વાતચીત નો અવાજ આવે.એક દિવસ દાસી વીણાએ મીરાબાઈ ને પૂછ્યું-કે
આપ રોજ કોની સાથે વાતચીત કરો છો? ત્યારે મીરાંબાઈ એ કહ્યું કે –હું મારા ગોપાલ જોડે વાત કરું છું.
દાસી કહે કે -ગોપાલ તમારી સાથે બોલે છે ? મીરાબાઈ કહે છે-કે-એતો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે.

કોઈ મનુષ્ય ની આશા રાખવી નહિ અને પરમાત્માની આશા છોડવી નહિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE