Jul 7, 2016

રામાયણ-૫


નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુ ના દોષ નું શિષ્યે અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલ નું નહિ.
વડીલો ના દોષ નું અનુકરણ કરવું નહિ.

એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્ર નું અધ્યયન પૂરું કરી ને શિષ્ય ગુરુ પાસે, ઘેર જવાની રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-તારાં માત-પિતાને પ્રભુ માનજે,તારે આંગણે કોઈ ભિખારી આવે તો –તેને પ્રભુ સમાન માનજે.મારી અનેક ભૂલો તને દેખાણી હશે-પણ મારો ભૂલોનું,મારા દોષનું કે મારા પાપ નું તારે અનુકરણ કરવાનું નથી.મારા જે સદગુણો હોય તેનું જ અનુકરણ –તારે કરવું, બીજા નું નહિ.ગુરુ જે કરે તે કરવાનું નથી,ગુરુ જે આજ્ઞા કરે તે કરવાનું છે.

રામજી આંખ ઉંચી કરી ને કોઈ સ્ત્રી ને જોતાં નથી,રામજી નો સંયમ અલૌકિક છે,
જગતના સ્ત્રી-પુરુષો ને કામભાવથી જુએ તે જ રાવણ છે. જે જગતને ભગવદ ભાવ થી જુએ તે રામજી ને વહાલો લાગે છે. સીતાજી પણ આંખ ઉંચી કરી ને પર-પુરુષ ને જોતાં નહોતાં.શાસ્ત્ર ની આ મર્યાદા છે.
આવી મર્યાદા પળાય- તો જીવન સુધરે. રામજી અને સીતાજી –આ મર્યાદાનું પાલન કરે છે.

વાલ્મીકિ રામાયણ ના સુંદરકાંડ માં કથા છે-કે-
હનુમાનજી સીતાજી ને મળવા અશોકવન માં આવ્યા છે-કહે છે-કે –મા હું જાઉં છું.
સીતાજી કહે છે કે- તું આવ્યો તે સારું થયું,પણ તારા ગયા પછી આ રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.
મા ની આંખમાં આંસુ આવ્યા છે. હનુમાનજી નું હૃદય ભરાણું છે.
હનુમાન જી કહે છે-કે-તમે આજ્ઞા આપો તો આજે હું તમને રામજી પાસે લઇ જાઉં,તમે મારા ખભે બિરાજો,
હું રામદૂત છું,મને કોઈ મારી નહિ શકે. તમારો સેવક તમને રામદર્શન કરાવશે.
સીતાજી એ ત્યારે ના પાડી છે,કહે છે-કે- તું મારો દીકરો છે,બાલબ્રહ્મચારી છે, પવિત્ર છે.
પણ તું પુરુષ છે-અને હું સ્ત્રી છું.મારા માટે પરપુરુષ નો સ્પર્શ વર્જ્ય છે.પરપુરુષ નો સ્પર્શ કરવાથી સ્ત્રીના
પાતિવ્રત્ય નો ભંગ થાય છે, જગતને સ્ત્રી-ધર્મ નો આદર્શ બતાવવા મારો જન્મ છે.
રઘુનાથજી મારા સિવાય બીજી કોઈ સ્ત્રીને અડકતા નથી, ને મેં રામજી સિવાય બીજા કોઈ નો ચરણ સ્પર્શ કર્યો નથી. માટે જો હું તને સ્પર્શ કરું તો ધર્મ ની મર્યાદા તૂટે.

સ્ત્રી પતિ સિવાય કોઈ સાધુ-સંત નો પણ ચરણ સ્પર્શ ના કરે,સાધુ-સંત ને દુરથી વંદન કરે –
આ શાસ્ત્ર ની મર્યાદા છે.

રામ સરળ છે-પણ સીતાજી ની સરળતા પણ અલૌકિક છે.
રામજી જેવી સરળતા જગતના કોઈ ઇતિહાસ માં જોવા નહિ મળે. રામજી ને કપટ કરતાં આવડતું જ નથી.
તેમને કોઈ નો દોષ દેખાતો જ નથી.
જયારે લાલો તો ઉભો-તો પણ વાંકો. તેથી તેને બાંકેબિહારી કહે છે.
શ્રીકૃષ્ણ સરળ સાથે સરળ અને વાંકા સાથે વાંકા છે.
સુદામા ને પોતાના સિંહાસન પર બેસાડ્યા છે,પોતે તેમના ચરણ પાસે બેઠા છે, અને એ જ શ્રીકૃષ્ણ –
મહાભારત ના યુદ્ધ વખતે વાંકા પણ થયા છે.દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે,છતાં તેને મારવાનું કહ્યું છે.
દ્રોણાચાર્ય સાધારણ નથી,ચાર વેદ અને છ શાસ્ત્રો ભણેલા છે, પણ બહુ ભણેલા તેથી શું થયું ?
તેઓ ભાન ભૂલેલા છે,તેઓ ધર્મ પાળતા નથી, અધર્મી દુર્યોધન ને મદદ કરે છે.
શ્રીકૃષ્ણ દ્રોણાચાર્ય જોડે સરળ નથી.

ત્યારે રામજી “સરળ સ્વભાવ સાહેબ રઘુરાય”-કોઈએ થોડી સેવા કરી હોય તો તે બહુ યાદ રાખે છે.
જીવ નો અપરાધ તે જોતા નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE