Jul 8, 2016

રામાયણ-૬


રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.
યુદ્ધ વખતે રાવણ નું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.રામજી ની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મન ની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણરામજી એ રાવણ ને કહ્યું-કે-
અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુ ને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.

એક ધોબી ને રાજી કરવા સીતાજી નો ત્યાગ કર્યો.
જે સરળ છે તેમને બહુ સહન કરવું પડે છે.રામજી એ ખુબ સહન કર્યું છે.

રઘુનાથજી ની સરળતાનો,દીનવત્સલતા નો જગત માં જોટો  નથી.
કાયદો એવો છે કે-માલિક ઉપર બેસે અને નોકર નીચે બેસે. ત્યારે રામજી ઝાડ નીચે બેસે છે અને
વાનરો ઝાડ પર બેસે છે.છતાં રામજી ને એવું લાગતું નથી કે –વાનરો મારું અપમાન કરે છે.
વાનર ની જાત ચંચળ,કોઈ કોઈ વાર પાંદડાં-ડાળખાં રામજી પર પડે છે-પણ રામજી ગુસ્સે થતા નથી.
રામજી સહન કરે છે.
તે તો ઠીક પણ વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે –રામજીએ વશિષ્ઠ ને કહ્યું-કે-
આ વાનરો એ મદદ કરી તેથી હું જીત્યો છું.

શ્રીરામ તો કાળ ના પણ કાળ છે,વાનર તેમને શું મદદ કરી શકે? તેમ છતાં રામજી વાનરો ના વખાણ કરે છે.તેમને મોટાઈ આપે છે.
રામજી જેવો કોઈ ઉદાર થયો નથી.તેમની ઉદારતા નું વર્ણન અનેક વાર આવ્યું છે.
વાલી ને માર્યા પછી-કિષ્કિંધાનું રાજ્ય મલ્યું છે- પણ તે સુગ્રીવ ને આપ્યું છે.
રાવણ ને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું છે-પણ તે વિભીષણ ને આપ્યું છે.

રામ જેવા રાજા થયા નથી અને થવાના નથી. રામચરિત્ર દિવ્ય છે,રામચરિત્ર સહુને ડોલાવે છે.

રામજી નો બંધુ-પ્રેમ પણ દિવ્ય છે.બંધુ-પ્રેમ નો આદર્શ તેમણે જગતને બતાવ્યો છે.
કૈકેયી એ વનવાસ આપ્યો,ત્યારે કૈકેયી ને પગે લાગી ને કહે છે-કે-
મા મારો ભરતરાજા થતો હોય તો ચૌદ વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું.
મા મને રાજા થવાની જરાય ઈચ્છા નથી,મારો ભરત રાજા થાય તે જોવાની મારી ઈચ્છા છે.

યુદ્ધ કાંડ માં કથા આવે છે-કે-લક્ષ્મણજી ને મૂર્છા આવે છે-ત્યારે શ્રીરામ લક્ષ્મણજી નું મસ્તક ગોદ માં લઇ વિલાપ કરે છે, ”ભાઈ તું આજે બોલતો કેમ નથી? મારો ભાઈ જ્યાં જશે તેની પાછળ હું જઈશ.
મારા માટે તેને ઘરનો,પત્ની નો ત્યાગ કર્યો.અમે બે ભાઈઓ સાથે જઈશું. લક્ષ્મણ વગર હું જીવી શકું તેમ નથી.” રામજી ખુબ વ્યાકુળ થયા છે.

રામકથા સાગર જેવી છે. રામકથા એક કરોડ શ્લોક માં શિવજી એ વર્ણવી –તેમ છતાં –
શિવજી ,પાર્વતી ને કહે છે,કે-હું રામ કથા વર્ણવું છું પણ રામ કેવા છે-તે હજી હું જાણતો નથી.
શિવજી રોજ રામકથા પાર્વતી ને સંભળાવે છે. ને હનુમાનજી રોજ રામકથા સાંભળે છે.
રામજી સ્વ-ધામ પધાર્યા પરંતુ,હનુમાનજી મહારાજ આજ પણ હયાત છે.
શ્રી હનુમાનજી મહારાજ નો સંકલ્પ છે કે-જગતમાં જ્યાં સુધી રામ-નામ-છે-ત્યાં સુધી હું જીવતો રહીશ.

દક્ષિણ ભારતમાં તો રામાયણ કથામાં –
શ્રોતાઓની આગળ હનુમાનજી માટે આજ પણ એક આસન ખાલી રાખવામાં આવે છે.
હનુમાનજી ને જે રામાયણ સંભળાવે –તેને માત્ર શનિ જ નહિ-બધા ગ્રહો અનુકૂળ થઇ જાય છે.

પ્રાચીન કાળ માં રાક્ષસો પણ રામાયણ નો પાઠ કરતા.
આજે ફુરસદ મળે ત્યારે લોકો શૃંગાર ની નવલકથાઓ વાંચે છે. જે મન ને બગાડે છે.
એક વાર મન બગડ્યું પછી તેને સુધારવું અતિ કઠણ છે.
રામાયણ,ભાગવત,ગીતા –જેવા પવિત્ર ગ્રંથો નું વાંચન કરવાથી મન –સારું રહે છે.સુધરે છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE