Dec 1, 2012

રામાયણ-૧૩

      PREVIOUS PAGE
     NEXT PAGE

અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિ માં આહુતિ આપે છે,પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.
બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્મા ના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખ થી પરમાત્મા આરોગે છે.
અગ્નિ ની જ્વાળા એ પરમાત્મા ની જીભ છે.

પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડ માં અગ્નિ ને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.
આ આપણને બોધ આપે છે-કે-કોઈ પણ સત્કર્મ કરો-ત્યારે પરમાત્મા નાં દર્શન કરતાં કરતાં કરો.
નહિ તો સત્કર્મ માં ભગવાન ભુલાય છે-અને સત્કર્મ સફળ થતું નથી.

ઘણા ભિખારી ને ખવડાવે-છે ત્યારે વિચારે છે-કે “આને બિચારાને કોણ ખવડાવે ?એને ”હું” ખવડાવું છું”
સત્કર્મ માં “હું” આવે તો તે સત્કર્મ નથી.આપણે શું ખવડાવી શકવાના હતા ?
આપણને અને તેને તથા સર્વ ને ખવડાવનાર કોઈ જુદો જ છે...........
મન નો મેલ દૂર કરવા –મન ને શુદ્ધ કરવા -માટે સત્કર્મ  (યજ્ઞ-સ્વાધ્યાય-તપ-ધ્યાન વગેરે) છે.
સર્વ સત્કર્મ નુ ફળ છે-પરમાત્મા નાં દર્શન.

વિશ્વામિત્ર વિચારે છે-કે-યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે,પરમાત્મા દ્વારે ઉભા છે,અને હું અહીં ધુમાડો ખાઉં છું.

વિશ્વામિત્રે યજ્ઞ ન પ્રારંભ કર્યો છે.મારીચ,સુબાહુ –વગેરે રાક્ષસો ને ખબર પડી,એટલે તે વિઘ્ન કરવા
આવ્યા છે. રામજી ના દર્શન માત્ર થી તે મારીચનો સ્વભાવ બદલાય છે-મારીચ વિચારે છે-કે-
સમાજ સુખી થાય તે માટે ઋષિઓ યજ્ઞ કરે છે- હું અહીં વિઘ્ન કરું તે યોગ્ય નથી.
મારીચ ને આશ્ચર્ય થાય છે-કે આજે મારા મનમાં દયા કેમ આવે છે ?આ બાળકો ને જોઈ ને મારી બુદ્ધિ બદલાય છે.આજે મારું મન હાથ માં રહેતું નથી,બાળકો ને મારવાની નહિ પણ મળવાની ઈચ્છા થાય છે.

મારીચ રાક્ષસ હતો પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરે છે,પણ આજકાલ લોકો રામના દર્શન કરે છે-પણ તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામનાં દર્શન કર્યા પછી –જો બુદ્ધિ ન સુધરે,સ્વભાવ ન સુધરે તો –
માનવું કે તે રાક્ષસ કરતાં પણ અધમ છે.
લોકો રામાયણ વાંચે,રોજ મંદિરમાં દેવ-દર્શને જાય તેમ છતાં જો –જીવન માં સદાચાર,સંયમ,સરળતા ન
આવે તો-તે રાક્ષસ કરતાં પણ અધમ છે.
રામજી ને જોવાથી તો શું,રામજી નુ ચિંતન કરવાથી પણ બુદ્ધિ સુધરે છે.

એકનાથ મહારાજે ભાવ-રામાયણ માં લખ્યું છે-કે-
રામ-રાવણ નુ યુદ્ધ થતું હતું-ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો.મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો,
ત્યારે તેણે પૂછ્યું કે-મને કેમ જગાડ્યો ?
રાવણ : સીતા માટે યુદ્ધ થાય છે-એટલે તરી મદદ માટે તને જગાડ્યો છે.
કુંભકર્ણ : તું સીતાજી ને કેમ લઇ આવ્યો?....રાવણ : તે બહુ સુંદર છે-તેથી લઇ આવ્યો છું.
કુંભકર્ણ : તારી ઈચ્છા પૂરી થઇ ? રાવણ : તે પતિવ્રતા છે,મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.
કુંભકર્ણ : તું માયાવી રામનું રૂપ-ધરી તેમની પાસે જા,તે છેતરાઈ જશે,અને તને વશ થશે.
રાવણ : મેં તે પ્રયત્ન કર્યો હતો,પણ રામ માં કાંઇ જાદુ હોય તેમ લાગે છે,હું રામનું સ્વ-રૂપ ધરવા –જ્યાં તેમના સ્વરૂપ નુ ચિંતન કરું છું-ત્યારે મારું મન બદલાઈ જાય છે.મારાં મન બુદ્ધિ શુદ્ધ થાય છે.
સીતા મને માતા રૂપે દેખાય છે.
(રાક્ષસો એ જે માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય-તે સ્વરૂપ નુ ચિંતન સહુ પ્રથમ કરવું પડે છે.
અને ત્યારે જ તે – જે-તે સ્વરૂપ ધારણ કરી શકે છે.)

રામજી નુ સ્મરણ-ચિંતન માત્ર થી રાવણ નિષ્કામ થતો હતો –
તો પછી અહીં મારીચ ને તો રામજી નાં પ્રત્યક્ષ દર્શન થયા હતાં.તેથી તેનો સ્વભાવ સુધરે તેમાં શું આશ્ચર્ય ?

કુંભકર્ણ કહે છે-જેનું માત્ર ચિંતન કરવાથી કામ નો નાશ થાય તે ઈશ્વર. રામ રાજા નથી પણ ઈશ્વર છે.
ઈશ્વર સાથે વેર કરનાર તું મૂર્ખ છે-હું તને મદદ નહિ કરું,વિભીષણ ની જેમ હું પણ રામ નો આશ્રય લઈશ.
ત્યારે રાવણે કહ્યું-કે-રામ સાથે મારી “વિરોધ-ભક્તિ”  છે.મેં વિચાર કર્યો કે-એકલો હું રામની ભક્તિ કરું તો મારા એકલાનું જ કલ્યાણ થશે,આ રાક્ષસો તામસી છે,તે કોઈ દિવસ રામજી નુ નામ લેવાના નથી,
રામજી સાથે યુદ્ધ થશે –તો તેઓને પણ રામજી ના દર્શન થશે-અને સર્વ નો ઉદ્ધાર થશે, તેમને સદગતિ મળશે. આપણા વંશ નુ કલ્યાણ કરવા-મેં રામ સાથે વેર કર્યું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE