Dec 1, 2012

રામાયણ-૧૪

      PREVIOUS PAGE
     NEXT PAGE

મારીચ આવ્યો હતો યજ્ઞ માં વિઘ્ન કરવા પણ રામજી ના દર્શન માત્ર થી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-
તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી. તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે રામ-લક્ષ્મણ ને
પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથા ના એ સર્વ દ્વાર પર રામજી  જ દેખાય છે.મારીચ ને આશ્ચર્ય થાય છે.

યજ્ઞ કે કોઈ પણ સત્કર્મ માં –ઇન્દ્રિયો ના પ્રત્યેક દ્વાર ઉપર રામ ને પધરાવવાથી તે સત્કર્મ  પૂર્ણ બને છે.
નામ-જપ કરવો,કથા સાંભળવી,મન થી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.
ગરીબ માં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.
બીજા બધા યજ્ઞો માં ખુબ ધન જોઈએ,અધિકાર જોઈએ,પ્રાયશ્ચિત કરવું પડે,અમુક યજ્ઞ માત્ર
અગ્નિહોત્રી જ કરી શકે,અમુક યજ્ઞ માં દેશ-કાળ ની મર્યાદાઓ છે...વગેરે...વગેરે..
પરંતુ ઉપનિષદ માં એક એવો યજ્ઞ બતાવ્યો છે-કે-જે કોઈ પણ કરી શકે છે,કોઈ પણ સમયે,કોઈ પણ સ્થળે,
કોઈ પણ જાતિ નો મનુષ્ય આ યજ્ઞ કરી શકે છે- અને તે યજ્ઞ છે-જપ-યજ્ઞ.

સર્વ યજ્ઞો માં જપ-યજ્ઞ શ્રેષ્ઠ છે.આંખ થી દર્શન કરતાં,કાનથી સાંભળતા,મન થી સ્મરણ કરતાં-
જપ કરવામાં આવે તો –આપોઆપ સમાધિ લાગી જાય છે.

આ યજ્ઞ માં -”આત્મા” એ યજમાન (યજ્ઞ કરનાર) છે. “શ્રદ્ધા” એ યજમાન ની પત્ની છે. અને
“શરીર” એ યજ્ઞ ભૂમિ છે. અને આ જપ-યજ્ઞ થી ચિત્ત-શુદ્ધિ કરી-પરમાત્માનો મન માં લય કરી ને-
તેમને પ્રાપ્ત કરવાના છે.

પ્રત્યેક ઇન્દ્રિય (આંખ,મુખ,કાન વગેરે) ના દ્વાર ઉપર રામ (પરબ્રહ્મ) અને લક્ષ્મણ (શબ્દબ્રહ્મ) ને
પધરાવવામાં આવે તો તે યજ્ઞ માં મારીચ (વિષયો) વિઘ્ન કરી શકતો નથી.

રામ-લક્ષ્મણ ની સહાયતા થી વિશ્વામિત્ર નો યજ્ઞ પુરો થયો છે.તે વખતે જનક્પુરીથી કુમ-કુમ પત્રિકા
આવી છે કે સીતાજી નો સ્વયંવર છે. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણ ને લઇ ને જનકપુરી તરફ જવા નીકળ્યા છે.
ગૌતમઋષિનો આશ્રમ વચ્ચે આવ્યો, ત્યાં શિલા જોઈ,વિશ્વામિત્રે રઘુનાથજી ને આજ્ઞા કરી કે-
આ શિલા ને તમારા ચરણથી  સ્પર્શ કરો, અને શિલા રૂપ બનેલી અહલ્યાનો ઉદ્ધાર કરો.

રામજી વિચારમાં પડ્યા છે
રામજી કહે છે-કે-પરસ્ત્રી ને હું સ્પર્શ કરતો નથી,હું ચરણ થી સ્પર્શ કરું તો તેને સદગતિ મળશે પણ પરસ્ત્રી ને અડકવાથી, મને પાપ લાગશે તેનું શું ? પરસ્ત્રી ને હું વંદન કરું છું.

રામજી કોઈ પરસ્ત્રી ને સ્પર્શ કરતાં નથી,લખ્યું છે-કે- વિના કારણ સગા ભાઈ ને પણ સ્પર્શ ન કરવો.
સ્પર્શ કરવાથી સ્પર્શ કરનારનાં પરમાણુઓ આપણા માં આવે છે.

મહાપુરુષોએ –કવિઓએ કલ્પના કરી છે- રામજી એ અહલ્યાનો ચરણ થી સ્પર્શ કર્યો નથી પણ –
તે વખતે પવન ને કારણે,રામજી ના ચરણ ની રજ (ધૂળ) ઉડીને શિલા પર જઈ ને પડી અને
ચરણ રજ નો સ્પર્શ થતાં શિલા માંથી અહલ્યા બેઠી થઇ છે.અહલ્યા નો ઉદ્ધાર થયો છે.

અહલ્યા ચરિત્ર નુ રહસ્ય એ છે-કે-
અહલ્યા એ “બુદ્ધિ” છે. જે બુદ્ધિ કામસુખ નો વિચાર કરે તે –પથ્થર જેવી જડ બને છે. જડ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકતી નથી. આવી જડ બુદ્ધિ જયારે સત્સંગ-સંતસમાગમ  થી પવિત્ર બને ત્યારે જ તે ઈશ્વર પાસે
જઈ શકે છે-ભગવાન ના ચરણ ની રજ જયારે મળે ત્યારે તે –બુદ્ધિ પવિત્ર બની જાય છે.

શિલા  પણ રામ ચરણ રજ થી અહલ્યા બની તેમ રામ-નામ ના સ્પર્શથી,માનવીનું મેલું મન પવિત્ર બને છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE