Dec 1, 2012

રામાયણ-૨૫

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજી ને સામે કિનારે જવાનું હતું.

ગંગાજી માં હોડી માં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?”
કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું”
લક્ષ્મણ કહે છે- ભાઈ તું શું મર્મ જાણે છે ?

કેવટ કહે છે-રામજી ના ચરણરજ માં એવી શક્તિ છે-કે-“પથ્થર”- ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય છે-
ત્યારે મારી નાવ તો “લાકડાની”  છે. રામજી ની ચરણરજ થી મારી નાવ જો ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય-
તો પછી મારી રોજી-રોટી નું શું થાય ? પછી મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરી શકું ?
તમને નાવડી માં બેસવાની જરૂર હોય તો –(નાવડીમાં બેસવું હોય તો) –
રામચંદ્રજી પોતે મને –ચરણ પખાળવાની- આજ્ઞા કરે કે -હું પોતે તેમનાં બંને ચરણ ધોઈ –તેમના પગ ની બધી ચરણરજ  જતી રહી છે-એ નક્કી કરી અને તમને નાવ માં બેસવા દઈશ.

કેવટ ના પ્રેમભર્યા વચનો સાંભળી –રઘુનાથજી પ્રસન્ન થયા છે. કેવટ ને બોલાવ્યો છે.
રામજી મનોમન વિચારે છે-બે ચરણો ના માલિક (સીતા અને લક્ષ્મણ)-બે ચરણો ની સેવા કરનાર અહીં ઉભા છે-પણ આ તો ત્રીજો જાગ્યો-અને વળી પાછો વધુમાં તો-તે  બંને ચરણ ની સેવા કરવા માગે છે.
કેવટ નો ભાવ જોઈ સીતાજી એ કહ્યું-કે-એની ઈચ્છા છે-એનો પ્રેમ છે-એને શંકા છે- તો સેવા કરવા દો.

માલિક ની ચરણ સેવા -માલિક જેના પર કૃપા કરે તેને જ કરવા દે છે. રામજી એ મંજૂરી આપી છે.

કેવટ લાકડાની કથરોટ લઇ આવ્યો છે. ચૌદ વર્ષ માં રામજી એ ધાતુ ના પાત્ર ને સ્પર્શ કર્યો નથી-કે-
ચૌદ વર્ષ અનાજ ખાધું નથી. પૂરે પુરો તપસ્વી-સાધુ નો ધર્મ –સન્યાસી નો ધર્મ પાળ્યો છે.
કેવટ માલિકના પગ લાકડાની કથરોટ માં મૂકી -ગંગાજળ થી ધીરે ધીરે ચરણ પખાળે છે.
કેવટ આજે મહા ભાગ્યશાળી છે-કે-તેને આજે પરમાત્મા ના ચરણો ની સેવા કરવાનો મોકો મળ્યો છે.
કેવટ તન્મય થયો છે-“આજે મારી જન્મો જન્મ ની ઈચ્છા પુરી થઇ.”

આ કેવટ પૂર્વ જન્મ માં ક્ષીર-સમુદ્ર માં કાચબો હતો.તેને નારાયણ ની ચરણ સેવા કરવી હતી,પણ
લક્ષ્મી જી અને શેષજી ના પાડે છે.પોતાની ઈચ્છા પોતાના મન માં જ રહી ગયેલી.
આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ. આજે પણ બંને પગની સેવા તેમને માથે જ છે.
સામાન્ય સંજોગો માં તો કેવટ ને ચરણસેવા કોઈ પણ સંજોગો માં મળી શકે તેમ નહોતી.
પણ આજે એવા સંજોગ ઉભા થયા છે-એવો ઘાટ થયો છે-કે-કેવટ ને માલિક સામે ચડીને ચરણ સેવા
કરવા દે છે. કેવટ મનમાં મલકાય છે-તે વખતે તમે બંને મને ચરણ સેવા કરવા દેતા નહોતા-
આજે તમે બંને ઉભાં છો અને હું ચરણ સેવા કરું છું. કેવટ નું હૃદય ભરાણું છે.આંખ માં અશ્રુ આવ્યા છે.

ગંગાજી ને સામે-કિનારે રામજી ને ઉતારી –કેવટે રામજી ને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.
સામાન્ય રીતે હોડી ના નાવિક ને ઉતરાઈ (ભાડું) આપવી પડે છે. રામજી જોડે આજે કશું નથી કે –જે-
કેવટ ને ઉતરાઈ તરીકે આપી શકે.કેવટ ને ખાલી હાથે વિદાય કરતાં રામજી ને ખુબ સંકોચ થયો છે.
આખી દુનિયા ના માલિક પાસે –આજે હાથમાં કશું ય નથી કે જે કેવટ ને આપી શકે.
કેવટની સામે તે જોઈ શક્યા નથી, માલિક ની નજર આજે ધરતી ઉપર છે !!!!!!

“મારી બહુ સેવા કરી-મારી બહુ ઈચ્છા છે-કે કેવટ ને કંઈક આપું,પણ પાસે કંઈ નથી”
માલિક ને સંકોચ થયો છે. કેવટની સામે નજર મિલાવી શકતા નથી.!!!!

સીતાજી સમજી ગયાં,માતાજીએ હાથમાંથી અંગુઠી ઉતારી રામજી ને આપી છે. રામજી કેવટ ને અંગુઠી
આપવા જાય છે-“કેવટ,આ અંગુઠી તું લે”
કેવટે અંગુઠી લેવા નો ઇનકાર કરતાં જવાબ આપ્યો છે-કે-
મારા પિતાજી એ મને કહ્યું છે-કે-કોઈ ગરીબ,બ્રાહ્મણ,સાધુ તપસ્વી આવે તો તેની ઉતરાઈ લેવી નહિ.
આજે આપ રાજાધિરાજ થઈને આવ્યા નથી,પણ તપસ્વી થઈને આવ્યા છો,તમારી ઉતરાઈ લેવાય નહિ.

પ્રભુ કહે છે-કે-હું તને આ મજુરી આપતો નથી,પણ પ્રસાદ આપું છું,પ્રસાદ તરીકે લે.
કેવટ હાથ જોડી ને કહે છે-કે-પ્રસાદ લેવાનો આજે દિવસ નથી,મારા માલિક આજે વનમાં જાય છે,કંદમૂળ
ખાય છે,ઉઘાડા પગે ફરે છે. ચૌદ વર્ષનો વનવાસ પુરો થાય અને આપ સિંહાસન પર વિરાજો ત્યારે આ સેવકને જે પ્રસાદી આપવી હોય તે આપજો.

વળી આમ જોવા જાઓ તો જાત-ભાઈ ની(એક જાતિનાની ) ઉતરાઈ ન લેવાય.ભલે તમે ક્ષત્રિય અને હું ભીલ –પણ આપણા બંને નું કામ એક જ છે-ગંગાજી નો કેવટ હું અને સંસાર સાગર ના કેવટ આપ!!!
આપ કૃપા કરો તો જીવ સંસારસાગર ની પાર ઉતરે છે, નાથ સમય આવે આ જીવ ને સંસાર સાગરની પાર ઉતારજો.

      PREVIOUS PAGE
     NEXT PAGE