Feb 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૧

આગળ આપણે જોઈ ગયા છીએ તે ઉદાહરણ અહીં રીપીટ (ફરીથી) કરીએ.
માટીના ઘડાની અંદર જે આકાશ છે,તેને ઘડાકાશ (ઘડાની અંદર રહેલું આકાશ છે-તે)
અને ઘડાની બહાર જે આકાશ છે-તે મહાકાશ.(ઘડાની બહાર જે અનંત આકાશ છે-તે) બહારના આકાશ અને ઘડાની અંદર જે આકાશ છે તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે જુદું  છે. પણ ઘડો ફૂટી જાય એટલે અંદરનું આકાશ બહારના આકાશમાં મળી જાય.

બસ આ ઉદાહરણ પ્રમાણે-
પરમાત્મા એ મહાકાશ છે-અનંત આકાશ છે. અને આકાશનો કોઈ આકાર હોઈ શકે નહિ.
એટલે આ રીતે .
(૧) -પરમાત્માનો બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય) તરીકે કોઈ આકાર નથી. (પરમાત્મા નિરાકાર છે)
(૨)- આ આકાશ જેવા –નિરાકાર પરમાત્માનો આકારરૂપે જન્મ કેવી રીતે થઇ શકે ?
     એટલે પરમાત્માનો બ્રહ્મ તરીકે કોઈ જન્મ નથી. (પરમાત્મા અજન્મા છે)
(૩)-અનંત  આકાશ સર્વ જગ્યાએ છે. તેમ પરમાત્મા સર્વ જગ્યાએ છે (પરમાત્મા સર્વત્ર છે)

માટીમાંથી જયારે ઘડો બનાવવામાં આવે છે ત્યારે જ –ઘડો- ઘડા તરીકે આંખ આગળ નજરે પડે છે.
આ જ રીતે પરમાત્મા  (બ્રહ્મ) પણ,માયા (પ્રકૃતિ)નો સ્વીકાર કરી ને,
જન્મ (શરીર-અવતાર) ધારણ કરે છે. (સર્ગ-સિદ્ધાંત)

આમ માયાના સંસર્ગ (યોગ) થી, શરીર ધારણ કરીને –“એક” પરમાત્મા  (બ્રહ્મ)-
“દેવ”  (રામ-કૃષ્ણ-વગેરે)  બને છે. એટલે કે એમ પણ કહી શકાય કે-
પરમાત્મા (બ્રહ્મ) અને શ્રીકૃષ્ણ એમ બે જણા –(બે પરમાત્મા) હાજર છે,એવું દેખાય છે.પણ-
જેમ,દર્પણની અંદર પ્રતિબિંબ પડે –ત્યારે એક વસ્તુ –એ- બે વસ્તુ જેવી દેખાય છે,
પણ તેમ છતાં –વસ્તુ તો એકની એક જ રહે છે.માત્ર બે વસ્તુ થયાનો ભાસ (ભ્રમ) થાય છે.તેમ.

દર્પણ એ માયા છે-જેમાં પરમાત્માનું –શ્રીકૃષ્ણ રૂપી પ્રતિબિંબ પડે છે.
આ  પ્રતિબિંબ ને (શ્રીકૃષ્ણને) આપણે જોઈ શકીએ છીએ,પણ જેનું (પરમાત્માનું) પ્રતિબિંબ પડે છે-
તે પરમાત્મા ને જોઈ શકાતા નથી.
(સહેજ સહેલાઈ થી  સમજવા માટે જ  દર્પણનું ઉદાહરણ છે- તેને વધુ આગળ ખેંચીશું નહિ.)

શ્રીકૃષ્ણ-શરીરથી  (દેવ-રૂપી અવતારથી)  જગતના જે જે કર્તવ્ય કર્મો કરે છે-ત્યારે તે –
એક સામાન્ય માનવીની જેમ વર્તે છે-(વર્તતા દેખાય છે)-
તે જોઈને લોકો ને –શ્રીકૃષ્ણ  (પરમાત્મા) પણ કર્મોને આધીન છે,તેવું લાગે છે, પણ તે માત્ર ભ્રમ છે.

નાટકનો કોઈ કલાકાર જેમ જુદાં જુદાં પાત્રો ધારણ કરે છે,પણ તેનાથી, તે પોતે બદલાઈ જતો નથી,
તેવી જ રીતે પરમાત્મા (બ્રહ્મ), શ્રીકૃષ્ણનો અવતાર લઇ (સાકાર બની) ને નાટકના કલાકારની જેમ,
નાટકમાં જે પાત્ર ભજવવાનું હોય ,તેવો માત્ર બહારનો આકાર જ  
(જગતને દેખાતો આકાર-શરીર-સાકાર સ્વ-રૂપ-દેવ-રૂપ-શ્રીકૃષ્ણ) ધારણ કરે છે. (૬)

અહીં અર્જુન –જો શ્રીકૃષ્ણ ને પરમાત્મા (બ્રહ્મ) તરીકે જ ઓળખાતો હોય –તેને
એવો પ્રશ્ન કદી  ન થાય કે-
“આપ તો વર્તમાન જગતમાં જન્મ્યા છો-તો પછી,સૂર્યને આપે યોગ કેવી રીતે કહ્યો ?”

પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણ ને એક મિત્ર તરીકે માને છે.
તર્કથી જોઈએ તો પણ –જો અર્જુન ને –શ્રીકૃષ્ણ એ પરમાત્મા જ (બ્રહ્મ) છે--
એવી જો ખરેખર ખબર હોય તો- તે- તેમની પાસે પોતાના સારથી બનાવવાનું એક નાનું કામ તેમને
બતાવી ન શકે.અરે! પરમાત્મા પાસે આવું નાનું-નીચું  કામ કરાવડાવાની  હિંમત પણ ન કરી શકે!!

અને હજુ આગળ આવશે –કે જયારે શ્રીકૃષ્ણ તેમનું પરમાત્માનું  વિરાટ સ્વરૂપ બતાવે છે-
ત્યારે જ અર્જુનને –શ્રીકૃષ્ણ એ પરમાત્મા છે-તેનું ભાન (જ્ઞાન) થાય છે.

આમ પરમાત્માએજ  (બ્રહ્મે) જગતનું (સૃષ્ટિનું) નિર્માણ કર્યું છે-
ને તેમના સૃષ્ટિ નિર્માણમાં –સૂર્ય પણ તે સૃષ્ટિમાંનું એક-એવું-પરમાત્માનું જ નિર્માણ છે-
તેમ કહી શકાય. અને સૃષ્ટિના પાલન (નિયમન) માટે ઈશ્વરે જુદા જુદા સર્વ ને માટે-
જે નિયમો-ધર્મો  (કાયદાઓ) બનાવ્યા – તે સુર્યને પણ કહ્યો હોય તેમાં કોઈ શંકા થઇ શકે નહિ.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE