Mar 15, 2020

ભાગવત રહસ્ય -૨૧૫

કામ જયારે મનમાં પ્રવેશ કરે છે-ત્યારે-વિવેકને તે ધક્કો મારે છે.
નારદજી મનમાં વિચારે છે-કે- આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને વિશ્વમોહિની મળે.ચાલ ભગવાન પાસે જઈ તેમની સુંદરતા માગી લાવું.
નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું-કેમ નારદજી જલ્દી પાછા આવ્યા ?નારદજી એ વાત કહેવા માંડી, કહે-કે- મહારાજ આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવાં છે. 

પ્રભુ કહે-છે-કે- એ વાત રહેવા દે,નારદ,તું બહુ દુઃખી થઈશ.
પણ નારદજી માને શાના? તેમનું મન હતું વિશ્વમોહિની માં.
એટલે પ્રભુ એ કહ્યું-કે-તારું હિત થાય એવું હું કરીશ. ભગવાનની મર્મવાણી નારદ સમજી શક્યા નહિ.
અને હરખાતા હરખાતા આવ્યા સ્વયંવરમાં.

વિશ્વમોહિની વરમાળા લઈને નીકળી,નારદજીને જોઈ હસવા લાગી,”આ બંદર ક્યાંથી આવ્યો?”
તે આગળ ચાલી,મંડપમાં નારાયણ પણ પધારેલા.વિશ્વમોહિનીએ તેમના ગળામાં વરમાળા પહેરાવી.
વિશ્વમોહિની સાથે નારાયણ ત્યાંથી નીકળ્યા.
નારદજી પણ ત્યાંથી ચાલ્યા.રસ્તામાં રુદ્રગણોએ નારદજી ની મશ્કરી કરી.

નારદજી પૂછે છે-તમે કેમ હસો છો ? રુદ્રગણો કહે-કે- તળાવમાં જઈ તમારું મોઢું જુઓ.
નારદજીએ તળાવ માં જઈ મોઢું જોયું, અને ઉશ્કેરાઈ ગયા.
“મારી આવી મશ્કરી?એક તો મને જે મળવાની હતી તેને ઉઠાવી ગયા,અને મારી આ દશા કરી.
હું આજે ભગવાનની ખબર લઈશ! તેઓ તેમના મનમાં શું સમજે છે?”


રસ્તામાં જ નારાયણ મળી ગયા. નારદજી એ પ્રભુ ને કહ્યું-કે-તમારાં ધંધા જ આવા છે,તમે કપટ કરો છો. સમુદ્રમંથન કરતી વખતે દૈત્યોએ મહેનત કરવામાં શું બાકી રાખેલું ?તેમને અમૃતને બદલે મદિરા પીવડાવી. શંકરને વિના વાંકે ઝેર પીવડાવ્યું, અને લક્ષ્મીજી ને તમે લઇ ગયા.આજે પણ તમે મને પરણવા ન દીધો,અને વિશ્વમોહિનીને લઇ ગયા.હું તમને શાપ આપું છું-કે-તમે પણ નારી વિરહમાં દુઃખી થશો.”

નારદજીએ ત્રણ શાપ આપ્યા છે-તમારે મનુષ્ય થવું પડશે,પત્ની વિયોગમાં તમે દુઃખી થશો,અને 
મને વાનર બનવ્યો-તો તેવા જ વાનરોની તમારે મદદ લેવી પડશે.
પ્રભુએ હસતાં હસતાં શાપનો સ્વીકાર કર્યો છે.
પછી નારદજીનો મોહ ઉતર્યો,ત્યારે ખુબ પસ્તાયા. કહે છે-કે-પ્રભુ મારો શાપ સત્ય ન થાય તેવું કરો.
પ્રભુએ કહ્યું –કે-નારદ,તમે ચિંતા ના કરો.આદર્શ મનુષ્ય ધર્મ બતાવવા મારે મનુષ્ય અવતાર લેવો જ હતો,
અને આમ –નારાયણ જ રામજી તરીકે પ્રગટ થયા. દેવ મનુષ્ય બને છે,કારણ કે મનુષ્ય દેવ બની શકે.

આ કથામાં બીજું પણ રહસ્ય છે-કામી મનુષ્ય વાનર જેવો-પશુ જેવો બને છે.કામ ભાન ભુલાવે છે-
એટલેજ નારદજીનું મોઢું-પ્રભુએ વાનર જેવું બનાવ્યું હતું.

દશરથરાજાને ત્રણ રાણીઓ હતી-કૌશલ્યા,સુમિત્રા અને કૈકેયી.છતાં કોઈ સંતતિ નહોતી.
દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું-તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો.તમારે ત્યાં ચાર પુત્રો થશે.
રાજાએ યજ્ઞ કર્યો,અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા છે,અને કહ્યું-
આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો,આપને ત્યાં દિવ્ય બાળકો થશે.

વસિષ્ઠે આજ્ઞા કરી-કે-કૌશલ્યાને અડધો ભાગ આપજો અને બાકી વધે તેના બે ભાગ કરી કૈકેયી-સુમિત્રાનેઆપજો. મહારાજ કૈકેયીને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા-એટલે કૈકેયીએ દશરથનું અપમાન કર્યું-
અને કહે છે-કે મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા ?
ત્યાં -આકાશમાંથી ફરતી સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી ગઈ અને અંજનીદેવી તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં આવી છે અને પ્રસાદ અંજનીદેવીને આપ્યો-જે તે આરોગી ગયા.આથી તેમને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે.હનુમાનજી પહેલાં આવે છે.

આ બાજુ કૈકેયી દુઃખી થઇ ગઈ-એટલે કૌશલ્યા અને સુમિત્રાએ તેમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો.
ત્રણે રાણી ઓ પ્રસાદ ગ્રહણ કરે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE