Mar 20, 2020

ભાગવત રહસ્ય -૨૨૦

રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.યુદ્ધ વખતે રાવણનું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.
રામજીની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મનની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણ રામજીએ રાવણને કહ્યું-કે-અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.

એક ધોબીને રાજી કરવા સીતાજીનો ત્યાગ કર્યો.
જે સરળ છે તેમને બહુ સહન કરવું પડે છે.રામજીએ ખુબ સહન કર્યું છે.
રઘુનાથજીની સરળતાનો,દીનવત્સલતાનો જગતમાં જોટો નથી.
કાયદો એવો છે કે-માલિક ઉપર બેસે અને નોકર નીચે બેસે. ત્યારે રામજી ઝાડ નીચે બેસે છે અને 
વાનરો ઝાડ પર બેસે છે.છતાં રામજીને એવું લાગતું નથી કે –વાનરો મારું અપમાન કરે છે.

વાનરની જાત ચંચળ,કોઈ કોઈ વાર પાંદડાં-ડાળખાં રામજી પર પડે છે-પણ રામજી ગુસ્સે થતા નથી.
રામજી સહન કરે છે.તે તો ઠીક પણ વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે –રામજીએ વશિષ્ઠને કહ્યું-કે-
આ વાનરો એ મદદ કરી તેથી હું જીત્યો છું.
શ્રીરામ તો કાળના પણ કાળ છે,વાનર તેમને શું મદદ કરી શકે? 
તેમ છતાં રામજી વાનરોના વખાણ કરે છે.તેમને મોટાઈ આપે છે.

રામજી જેવો કોઈ ઉદાર થયો નથી.તેમની ઉદારતાનું વર્ણન અનેક વાર આવ્યું છે.
વાલીને માર્યા પછી-કિષ્કિંધાનું રાજ્ય મલ્યું છે- પણ તે સુગ્રીવને આપ્યું છે.
રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું છે-પણ તે વિભીષણને આપ્યું છે.
રામ જેવા રાજા થયા નથી અને થવાના નથી. રામચરિત્ર દિવ્ય છે,રામચરિત્ર સહુને ડોલાવે છે.

રામજીનો બંધુ-પ્રેમ પણ દિવ્ય છે.બંધુ-પ્રેમનો આદર્શ તેમણે જગતને બતાવ્યો છે.
કૈકેયીએ વનવાસ આપ્યો,ત્યારે કૈકેયીને પગે લાગી ને કહે છે-કે-
મા મારો ભરતરાજા થતો હોય તો ચૌદ વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું.
મા મને રાજા થવાની જરાય ઈચ્છા નથી,મારો ભરત રાજા થાય તે જોવાની મારી ઈચ્છા છે.

યુદ્ધ કાંડમાં કથા આવે છે-કે-લક્ષ્મણજીને મૂર્છા આવે છે-ત્યારે શ્રીરામ લક્ષ્મણજીનું મસ્તક ગોદમાં લઇ વિલાપ કરે છે, ”ભાઈ તું આજે બોલતો કેમ નથી? મારો ભાઈ જ્યાં જશે તેની પાછળ હું જઈશ.
મારા માટે તેને ઘરનો,પત્નીનો ત્યાગ કર્યો.અમે બે ભાઈઓ સાથે જઈશું. લક્ષ્મણ વગર હું જીવી શકું તેમ નથી.” રામજી ખુબ વ્યાકુળ થયા છે.

રામકથા સાગર જેવી છે. રામકથા એક કરોડ શ્લોકમાં શિવજીએ વર્ણવી –તેમ છતાં –
શિવજી ,પાર્વતીને કહે છે,કે-હું રામ કથા વર્ણવું છું પણ રામ કેવા છે-તે હજી હું જાણતો નથી.
શિવજી રોજ રામકથા પાર્વતીને સંભળાવે છે. ને હનુમાનજી રોજ રામકથા સાંભળે છે.
રામજી સ્વ-ધામ પધાર્યા પરંતુ,હનુમાનજી મહારાજ આજ પણ હયાત છે.
શ્રી હનુમાનજી મહારાજનો સંકલ્પ છે કે-જગતમાં જ્યાં સુધી રામ-નામ-છે-ત્યાં સુધી હું જીવતો રહીશ.

દક્ષિણ ભારતમાં તો રામાયણ કથામાં –
શ્રોતાઓની આગળ હનુમાનજી માટે આજ પણ એક આસન ખાલી રાખવામાં આવે છે.
હનુમાનજીને જે રામાયણ સંભળાવે –તેને માત્ર શનિ જ નહિ-બધા ગ્રહો અનુકૂળ થઇ જાય છે.
પ્રાચીન કાળમાં રાક્ષસો પણ રામાયણનો પાઠ કરતા.

આજે ફુરસદ મળે ત્યારે લોકો શૃંગારની નવલકથાઓ વાંચે છે. જે મનને બગાડે છે.
એક વાર મન બગડ્યું પછી તેને સુધારવું અતિ કઠણ છે.
રામાયણ,ભાગવત,ગીતા –જેવા પવિત્ર ગ્રંથોનું વાંચન કરવાથી મન –સારું રહે છે.સુધરે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE