Mar 3, 2020

ભાગવત રહસ્ય-૨૦૭

નૃસિંહ અવતારની કથાએ –ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું,
વામન અવતારની કથાએ –લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. 
હવે રામચંદ્રજીની કથા –કામનો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે.
ભાગવતનું ધ્યેય –કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે,પણ પહેલા સ્કંધથી કૃષ્ણલીલાનું વર્ણન કર્યું નથી,તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામનો નાશ થાય પછી જ –પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.

આઠમા સ્કંધ ની સમાપ્તિમાં સત્યવ્રત મનુ અને મત્સ્યાવતાર ની કથા કહી હતી.
આ અધ્યાયમાં વૈવસ્વત મનુની કથા છે,વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે.
વિવસ્વાનને ઘેર વૈવસ્વત મનુ થયેલાં.તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી જોડે થયેલું.
તેમને ઘેર દશ બાળકો થયાં.ઇક્ષ્વાકુ,નૃગ,શર્યાતી,દિષ્ટિ,કરૂપ,નરીશ્યંત,પૃશગ્ન,નભગ અને કવિ.

દિષ્ટિના વંશમાં મરુત્ત નામનો ચક્રવર્તી રાજા થયેલો.તેના ગુરુ હતા બૃહસ્પતિ.જે ઇન્દ્ર (દેવો)ના પણ ગુરુ હતા.
મરુત્ત રાજાને યજ્ઞ કરવાનો હતો,પણ બૃહસ્પતિએ આવવા ના પાડેલી.
એકવાર મરુત્તને નારદજી મળ્યા. મરુત્ત તેમને કહે મારે યજ્ઞ કરવો છે-પણ કરી શકાતો નથી.
નારદજીએ કહ્યું-કે બૃહસ્પતિના નાના ભાઈ સંવર્તને બોલાવો.તે પણ ગુરુ સરખા જ ગણાય.
રાજા કહે છે-કે- સંવર્ત તો યોગી છે અને તેનો પત્તો પણ નથી.નારદજી કહે- તેનો પત્તો હું આપીશ.

સંવર્ત મહા યોગી છે,તેમનો નિયમ છે-કે ચોવીસ કલાકમાં રોજ રાતે એક વાર કાશી વિશ્વનાથનાં દર્શન કરવા આવે. પણ રસ્તા માં કોઈ શબના દર્શન થાય તો તેને શિવરૂપ માની તેને વંદન કરી પાછા વળે.
(મહાભારતના અનુશાસન પર્વમાં આ કથા વિસ્તારથી આપેલી છે,અહીં સંક્ષિપ્ત કર્યો છે)
મરુત્ત રાજા રાત્રે શબ લઇ બેઠા છે,ત્યારે એક પાગલ જેવો માણસ આવ્યો.શબને વંદન કર્યું.
મરુત્ત રાજાને ખાતરી થઇ કે આ જ સંવર્ત યોગી છે. મરુત્તે ચરણ પકડી લીધા.

સંવર્ત કહે છે-હું અજ્ઞાની છું, મને છોડ.
મરુત્ત કહે છે-કે-તમે સંવર્ત છો,મારા ગુરુ છો,બૃહસ્પતિના નાના ભાઈ છો, બૃહસ્પતિ- જ્યારથી દેવોના ગુરુ થયા છે, એટલે પછી,મારા ઘેર આવતા નથી,મારે યજ્ઞ કરવો છે.કોઈ યજ્ઞ કરાવતું નથી.
સંવર્ત કહે-હું યજ્ઞ કરાવીશ.પણ તારું ઐશ્વર્ય જોઈને પાછળથી જો બૃહસ્પતિ કહેશે કે તે તારો ગુરુ થવા તૈયાર છે, ને તેવા સમયે-જો તું મારો ત્યાગ કરીશ,તો તે સમયે હું તને બાળીને ખાક કરીશ.

રાજા કબૂલ થયા.સંવર્તે મરુત્ત રાજાને મંત્રદીક્ષા આપી છે.અને યજ્ઞ શરુ થયો.
મરુત્તના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં પણ છે.મરુત્ત રાજાના યજ્ઞના સર્વ પાત્રો સોનાના છે. 
બૃહસ્પતિ લલચાયો.તેણે મરુત્તને કહેવડાવ્યું કે-હવે હું તારો યજ્ઞ કરવા તૈયાર છું.
બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી,ઇન્દ્રે અગ્નિ મારફતે કહેવડાવ્યું કે-બૃહસ્પતિને ગુરુ બનાવો.
નહિતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે.ત્યારે સંવર્તે અગ્નિને જવાબ આપ્યો –કે- તું મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ 
તો તને બાળી મુકીશ.સંવર્ત આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે,પ્રત્યક્ષ હાજર થઇ હવિર્ભાગ ગ્રહણ કરે છે.
મરુત્તનો યજ્ઞ જેવો થયો –તેવો બીજો કોઈનો થયો નથી.

વૈવસ્વત મનુના પુત્ર-નભગને ત્યાં નાભાગ થયા છે.
શંકરની કૃપાથી નાભાગ ને ત્યાં મહાન ભક્ત અંબરીશનો જન્મ થયો છે.
અંબરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે.
કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે,તે અંબરીશ રાજાના –સેવ્ય-ઠાકોરજી છે.
અંબરીશ રાજાની સંપત્તિ ભોગ માટે નહિ પણ ભક્તિ માટે હતી.
અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે કે-સ્ત્રી અને સંપત્તિ ભોગ માટે નથી પણ ભક્તિ માટે છે.
સંપત્તિ હોય તો પરોપકારમાં વાપરજો,ઠાકોરજી ગરીબના મુખથી આરોગે છે.
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE