Mar 5, 2020

ભાગવત રહસ્ય-૨૦૯

એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે.ભગવાનની આરાધના માટે – મનુષ્ય ભાગવત વ્રત કરે –તો-તે સુખી થાય છે.આમે ય વૈજ્ઞાનિક કારણોસર પણ -પેટને (જઠરને)-મહિનામાં એક-બે દિવસ –રજા આપવાથી.શરીર નું સ્વાસ્થ્ય સારું રહે છે.(અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા હશે!!)
એકાદશીનું વ્રત ત્રણ દિવસનું બતાવ્યું છે,

દશમીના દિવસે અજીર્ણ થાય તેવું ખાવું નહિ, માત્ર એકવાર દૂધ-ભાત જેવો સાત્વિક આહાર લેવો.
એકાદશી (અગિયારસ) –બને તો નિર્જળા કરવી જોઈએ.
પણ તેમ ના બને તો માત્ર દૂધ પર રહેવું, છેવટે ઋતુના ફળ પર રહેવું.
અહીં સુધી બરોબર છે-પણ ત્યાંથી આગળ જાઓ-તો એકાદશીનું ફળ મળતું નથી.
મોરૈયો, સાબુદાણા,રાજગરાનો શીરો ખાય તેને એકાદશીનું ફળ મળતું નથી.
દાળ,ભાત કે અન્ન ખાનારને પાપ લાગે છે,જયારે મોરૈયો ખાનારને પાપ લાગતું નથી –
તેટલો જ તફાવત છે. બાકી મોરૈયો ખાનારની અગિયારસ ફળતી નથી.

વ્રત કરવાનો મક્કમ નિર્ણય હશે,તો ભગવાન શક્તિ આપશે.
અગિયારસ કરવાનો –સંકલ્પ કરશો-તો ભગવાન મદદ કરશે.
સત્યનારાયણની કથામાં કઠિયારાની વાત આવે છે-કે-કઠિયારાએ સંકલ્પ કર્યો-કે-
“મને આજે પુરતા પૈસા મળશે તો હું સત્યનારાયણની કથા કરીશ.”
અને પરમાત્માએ તેના સંકલ્પને પરિપૂર્ણ કર્યો. સત્કર્મમાં પરમાત્મા સહાય કરે છે.

એકાદશીના દિવસે,ઘરમાં અન્ન રંધાય નહિ,અન્નના દર્શન પણ ના થાય.
એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવી વસે છે, અને અન્ન ખાનારને માથે તે જાય છે.
દિવસે સુવાય નહિ અને રાત્રે એક-બે કલાક કિર્તન કરવાનું.
અગિયારસે પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી આખી રાત જાગે છે, ”શયન” થતું નથી.
આખી રાત કથા કિર્તન થાય છે. પંઢરપુર કીર્તનભક્તિનું “આદિ”પિયર છે.

પાંચ કર્મેન્દ્રિય,પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન-આ અગિયાર ઈન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી –
એ એકાદશી.આખો દિવસ સતત ભક્તિ કરવાનો દિવસ તે એકાદશી.
બાકી આજકાલ તો લોકો અગિયારસ ના દિવસે –અગિયાર-“વિષય”રસો ને સ્થાન આપે છે.
અને નાનકડી દિવાળી આવી હોય,એવું સમજે છે.
આવું ના કરો.આવી એકાદશીનું કોઈ ફળ મળતું નથી.

ઉપ=નજીક અને વાસ=રહેવું.
પ્રભુની સમીપ રહેવું તેનું નામ ઉપવાસ. ઈશ્વરના ચરણમાં વાસ તેનું નામ ઉપવાસ.
બારસના દિવસે એક વાર આહાર કરવો. બ્રાહ્મણનું સન્માન કરી –પછી પ્રસાદ ગ્રહણ કરો.
બારસના દિવસે બે વખત ભોજન કરો તો એકાદશીનો ભંગ થાય છે.
સમજીને બુધ્ધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે.તન અને મન શુદ્ધ થાય છે.

વિધિપૂર્વક એકાદશી કરો. જો વિધિપૂર્વક એકાદશી ના થાય તો –મર્યાદા અનુસાર અન્નનો ત્યાગ –
મહિનામાં એક બે દિવસે કરવાથી શરીર સારું રહે છે.આરોગ્ય માટે પણ આ વ્રત આવશ્યક છે.
આજકાલ લોકો ડોક્ટરો ઉપર વિશ્વાસ કરે છે-પણ વ્યાસજી જેવા ઋષિમુનિના બોલ પર વિશ્વાસ કરતા નથી.
ડોક્ટર કહે –કે ટાઈફોઈડ થયો છે,એકવીસ દિવસ અનાજ લેવાનું નથી.-તો લોકો માનશે.
(એકાદશી ના કરનારને આવી સામટી એકાદશીઓ કરવી પડતી હશે!!)

અંબરીશ રાજા વિધિપૂર્વક એકાદશી કરે છે.
વ્રતના સમાપ્તિના દિવસે યમુનાના કિનારે આવ્યા છે. યમુનામાં સ્નાન કર્યું,
ઠાકોરજીને ભોગ ધર્યો,બ્રાહ્મણોની પૂજા કરી જ્યાં વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં,દુર્વાસા મુનિ ત્યાં અતિથી રૂપે આવ્યા.અંબરીશ રાજાએ પ્રાર્થના કરી કે-પધારો મહારાજ,મારાં અહોભાગ્ય,આજે આપ મારે ત્યાં આવ્યા.આપ મારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરો.
દુર્વાસા એ કહ્યું-કે પ્રસાદ લેવાની મારી ઈચ્છા છે,પણ હજી મારું મધ્યાહ્ન કર્મ બાકી છે,
આવશ્યક કર્મોથી નિવૃત્ત થઇ હું આવું છું.

      PREVIOUS PAGE        
       NEXT PAGE               
    INDEX PAGE