Mar 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૦-અધ્યાય-૯

અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-કે-
જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાંથી મુક્ત થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન –વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાનો રાજા (રાજ-વિદ્યા) સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મને અનુસરનારુ છે,
-સહેલાઈથી પ્રાપ્ત થનારું છે,અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ((૧-૨) 

જે પ્રમાણે-કોઈ દુર્ભાગી મનુષ્યના ઘરમાં પુષ્કળ ધન દટાયેલું પડ્યું હોય,પણ પોતાને તે વાતની 
ખબર ન હોવાથી,અન્નના સાંસા હોય તેવી હાલતમાં જીવતો હોય,તે પ્રમાણે-
પ્રાણીમાત્રના સુખ અને શાંતિ નું સ્થાન –તે પ્રાણીઓના હૃદય માં (આત્મારૂપે) હોવાં છતાં-તે-
અજ્ઞાની જીવો ને વિષયો (સ્વાદ-વગેરે) પર જ માયા લાગેલી હોય છે,અને શાંતિને બહાર ખોળે છે.
મનમાં અહંતા-મમતા (હું અને મારું) –સંપૂર્ણ પણે અધિકાર લઇ બેસી જાય છે,
અને તે જન્મ-મરણના બે કાંઠા વચ્ચે ડચકાં ખાતા પડી રહે છે.(૩)

જેમ દૂધમાંથી દહી થાય છે,બીજમાંથી વૃક્ષ થાય છે,સોનાની લગડીમાંથી અલંકારો થાય છે-
તેમ- આ સર્વ જગત એ પરમાત્માના નિર્ગુણ સ્વ-રૂપનો જ વિસ્તાર છે.
પરમાત્માનું આ નિર્ગુણ સ્વરૂપ –જયારે અવ્યક્ત હોય છે-ત્યારે નિરાકાર (આકાર વગરનું) હોય છે.
પણ પછી તે માયાને આધારે સૃષ્ટિ=રૂપે વિસ્તાર પામીને આકાર ધારણ કરે છે.

જે પ્રમાણે-પાણીમાં પાણીથી જ ફીણ થાય છે- પણ તે ફીણમાં પાણી દેખી શકતું નથી.-તે પ્રમાણે-
સર્વ જીવો પરમાત્મામાં દેખાય છે- પણ પરમાત્મા તેમનામાં નથી.(૪)
(આ જ વાત અગાઉ અધ્યાય-૭-શ્લોક-૧૨-માં આવી ગયેલી છે-એટલે તેની વધુ ચર્ચા અહીં કરતા નથી)

સાકાર ને નિરાકાર સાથે સંબંધ હોઈ શકે નહિ .એ કેવી રીતે બની શકે ?
આ એક ઈશ્વરની અદભૂત ઘટના છે-
પરમાત્મા સર્વ પ્રાણીઓને ધારણ કરે છે.(પ્રાણીઓમાં આત્મા રૂપે રહીને શરીર ધારણ કરે છે)
પરંતુ-તે અસંગ (અનાશક્ત) હોવાથી, સાચી રીતે (સત્યમાં) તે –
પ્રાણીઓ સાથે કોઈ સંબંધ વાળો થઈને રહેતો નથી.

આ રહસ્યમય જેવી લાગતી વાત ને સમજવા-સ્વપ્નનું ઉદાહરણ લઈએ.
જેવી રીતે સ્વપ્ન જોનાર ને સ્વપ્ન સાથે સંબંધ નથી. તેમ પરમાત્મા સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને
સંરક્ષણ કરનારો હોવાં છતાં –તેમના માં વસતો નથી..(૫)

આકાશનો જેટલો વિસ્તાર છે,તેટલાજ પ્રમાણમાં તેમાં વાયુ ભરાઈને રહેલો છે,બંને જુદાજુદા જોઈ શકાતા નથી,પણ જો વાયુને હલાવવામાં આવે તો તે આકાશથી જુદો ભાસે છે (પવન તરીકે અનુભવાય છે).
આમ,જે રીતે દરેક જગ્યાએ અનુભવાતો વાયુ –સદા-આકાશમાં જ હોય છે-તે જ રીતે –
સર્વ જીવો પરમાત્મામાં છે.એમ સમજવાનું છે..(૬)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત