Apr 15, 2020

ભાગવત રહસ્ય -૨૪૬

અનેક નાવડીઓ મંગાવી બધાને ગંગા પાર લઇ ગયા છે.ગંગાપાર થયા પછી ભરતજીએ કહ્યું –કે-અહીંથી રામજી ચાલતા ગયા છે-એટલે હું હવે રથમાં નહિ બેસું,હું ચાલતો આવીશ,અહીંથી મારા માલિક ચાલતા ગયા હોય અને હું રથમાં બેસું તો મને પાપ લાગશે.વશિષ્ઠજી સમજી ગયા છે,ભરતને રથમાં બેસવાનો આગ્રહ કરવામાં આવશે તો તેને દુઃખ થશે.સર્વના રથ આગળ કર્યા છે,
પાછળ,ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે. 

ભરતની દશા દયાજનક છે.શત્રુઘ્નના ખભા પર હાથ મૂકી-હે રામ-હે રામ-કરતાં ચાલે છે,આંખમાંથી આંસુ નીકળે છે.ભરતજી સીતારામ સીતારામ બોલે છે ત્યારે માર્ગના પથ્થર પણ પીગળ્યા છે. ધન્ય છે ભરતને...
પિતાએ રાજ્ય આપ્યું છે પણ લીધું નથી અને રામજી ને મનાવવા જાય છે.
પગમાં જોડા નહિ,માથે છત્રી નહિ.તડકો પુષ્કળ પડ્યો છે,ભરતજીના કોમળ પગમાં મોટા મોટા ફોલ્લા 
પડ્યા છે,છતાં ભરતજીને તેનું ભાન નથી.ભરતજીને દેહભાન રહ્યું નથી.રામમાં તન્મય થયા છે.

ત્યાંથી ભરતજી પ્રયાગ આવ્યા છે,ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે.
ત્રિવેણી સંગમમાં ગંગા-જમુનાનો સંગમ થાય છે.જ્ઞાન અને ભક્તિનું મધુર મિલન થાય છે.
યમુનાજી શ્યામ અને ગંગાજી ગૌર છે,સરસ્વતી ગુપ્ત છે. પ્રયાગ-એ- તીર્થોનો રાજા છે.
ત્યાંના મુખ્ય માલિક –અધિષ્ઠાતા દેવ માધવરાય છે,ભરદ્વાજ મુનિનો ત્યાં આશ્રમ છે.

લોકોએ કહ્યું-કે ભરદ્વાજ મુનિના આશ્રમમાં જવું પડશે.
ભરત કહે છે-કે-કૈકેયી,તેં મારું મુખ કાળું કર્યું,સંતોની પાસે હું કેવી રીતે જાઉં ?
ભરદ્વાજ મુનિ પાસે જવાની ભરતજી ની હિંમત થતી નથી,સંકોચ થાય છે.
વિચારે છે-કે-ઋષિ પૂછશે તો શું જવાબ આપીશ ?

વશિષ્ઠજીએ સમજાવ્યું કે તીર્થોનો નિયમ છે કે-તીર્થમાં જ્યાં સુધી સંતોનો સત્સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફળતી નથી,એટલે ભરતજી ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. દુરથી વંદન કરી ખૂણામાં બેઠા છે.
ભરદ્વાજ મુનિ ભરતજીને સમજાવે છે-કે-ભરતજી શોક ના કરો,આ તો ઈશ્વરની લીલા છે. આજે ભ્રાતૃપ્રેમનોઆદર્શ બતાવવા રામજીને મનાવવા જાઓ તે ઉત્તમ છે,તમે આવ્યા ન હોત અને ગાદી પર બેસી રાજ્ય કર્યું હોત તો પણ ખોટું નહોતું. મને લાગે છે કે રામપ્રેમનો આદર્શ બતાવવા તમારો જન્મ છે.

ઘણા વર્ષો સુધી અમે તપશ્ચર્યા કરી તેના ફળરૂપે અમને રામજીના દર્શન થયા.સર્વ સાધનનું ફળ 
રામજીના દર્શન છે, પણ રામજીના દર્શનનું ફળ –જો કોઈ હોય તો તે ભરતજીના દર્શન છે.
રામજીના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામ દર્શનનું ફળ શું મળશે ? હવે મને સમજાયું કે –
રામના દર્શન નુ ફળ છે –ભરત-દર્શન.તમારાં દર્શન કરી અમે કૃતાર્થ થયા છીએ.

ભરતજી તમે તો ભાગ્યશાળી છો, રામજીનો તમારાં પર કેવો પ્રેમ છે તે હું જાણું છું.
રામજી અહીં પધારેલા-ત્યારે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું હતું,ત્યારે સંકલ્પ કરાવવા હું ગયો હતો.
સંકલ્પ માં આવે છે-કે-ભરત ખંડે—અને જેવો હું ભરતખંડે –એમ બોલ્યો ત્યારે રામજીની આંખ ભીની થઇ હતી. મેં તેઓને પૂછ્યું –આપને શું થાય છે? ત્યારે રામજી એ જવાબ આપેલો કે-
“મારો ભરત મને યાદ આવે છે,બધા મળ્યા પણ મારો ભરત મને મળ્યો નહિ.”

ભરતજીની દાસ્ય-ભક્તિ છે.ભરતજી બડભાગી છે,કે તેમને રામજી હંમેશાં યાદ કરે છે.
જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સ્વાભાવિક છે-પણ જયારે ઈશ્વર જીવનું સ્મરણ કરે તે જીવનું જીવન ધન્ય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE