Apr 19, 2020

ભાગવત રહસ્ય -૨૫૦

રામજીએ પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળી –પછી પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે.
રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળનું પિંડદાન કર્યું છે.શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખીને જીવ,શરીર છોડે છે.જે વિકાર-વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા હતા.પણ જગતને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.

રામજીની સેવામાં ચિત્રકૂટનાં જેટલાં વૃક્ષો છે તે ફળવાળાં થયાં છે.ભીલ લોકો ફળ લઇ આવી અયોધ્યાનીપ્રજાનું સ્વાગત કરે છે. અયોધ્યાના લોકોને આશ્ચર્ય થાય છે-કેવાં સારા લોકો ! કેવો પ્રેમ! કેવી સરસ સેવા કરે છે ! તેઓ ને કંઈક આપવું છે.કોઈ સોનાની વીંટી આપવા જાય તો ભીલ લોકો તે લેવાની ના પડે છે.
ભીલ લોકો કહે છે-કે રામજીએ અમને અપનાવ્યા પછી અમે સનાથ થયા છીએ.પંદર દિવસ પહેલાં તમે આવ્યા હોત તો –તમારું સ્વાગત કરવાને બદલે અમે તમને લુંટી લીધા હોત.પણ રામજીના દર્શન કર્યા પછી.અમારી વૃત્તિ બદલાઈ ગઈ છે,”રઘુનાથજીકી નજરિયા જાદુભરી હૈ”

રઘુનાથજીની નજરથી ભીલ લોકો નું પાપ છૂટી ગયું છે,ચોરી-હિંસાની આદત છૂટી ગઈ છે.
રામજીના દર્શન કરતા ચિત્રકૂટના ભીલો નું જીવન સુધરે છે-
અને જો આપણું જીવન ના સુધરે તો તેના જેવું બીજું પાપ કયું ?
રામજીનાં દર્શન કરતાં તો સ્વભાવ સુધરે જ છે પણ –રામજીનું નામ લેતાં પણ સ્વભાવ સુધરે છે.

ભરતને એક જ ચિંતા છે-કે- મારાં રામ-સીતા ઘેર કેમ કરી ને આવે?હું મારા મુખથી કેવી રીતે કહું ?
વશિષ્ઠજી ભરતની પરીક્ષા કરે છે-અને કહે છે-કે-
ભરત-શત્રુઘ્ન તમે બંને વનમાં રહો અને રામ-સીતાને અમે અયોધ્યા લઇ જઈશું.
ભરત બોલ્યા છે-કે- ગુરુજી તમે મારા મનની વાત કહી,રામજી અયોધ્યા પધારે તો ચૌદ વર્ષ તો શું અમે આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છીએ.

છેવટે વશિષ્ઠજી બોલ્યા છે-કે- લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે-પણ આ ભરતને જોયાં પછી મને થાય છે-કે-
ભરતની ભક્તિ મારા કરતા પણ ચઢી જાય તેવી છે.માટે હે-રામ તે સુખી થાય તેવો ઉપાય કરો.
રામજી કહે છે-કે- ભરત તું કોઈ સંકોચ ના રાખ,તું કહે તેમ કરવા હું તૈયાર છું, હું તને નારાજ નહિ કરું.
ભરતજીને થયું કે-મોટાભાઈએ કોઈ દિવસ મારું દિલ દુભવ્યું નથી,મારાં પાપ તેમણે માફ કર્યા છે.

ભરત કહે છે-કે-હું તો આપણો સેવક છું,આપ આજ્ઞા કરો તે પ્રમાણે હું કરવા તૈયાર છું,રાજ્યાભિષેકનીતૈયારી કરીને અમે આવ્યા છીએ,આપને રાજ્યતિલક કરવામાં આવે,અયોધ્યા જઈ આપ સર્વેને સનાથ કરો,
રામ અને લક્ષ્મણ અયોધ્યા જાય, અને હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવાશું. અથવા,
લક્ષ્મણ-શત્રુઘ્નને અયોધ્યા મોકલો અને મને સેવા કરવાનો લાભ આપો. અથવા-
અમે ત્રણે ભાઈઓ વનમાં રહીએ અને તમે સીતાજી સાથે અયોધ્યા જાઓ.

તે જ વખતે-જનક રાજા ત્યાં આવ્યા છે-પુષ્કળ વાતો થઇ છે-
સીતાનો તપસ્વી વેશ જોતાં જનકરાજાનું હૃદય ભરાયું છે.
કૌશલ્યા કહે છે-કે –આ ભરતને સમજાવો,તે ચૌદ વર્ષ કેવી રીતે જીવી શકશે ?રામ વિરહ તે સહન કરી શકશે નહિ. જનકરાજા કહે છે-કે-હું બ્રહ્મજ્ઞાની છું પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી.
પછી સીતાજી ને કહે છે-કે-બેટા હું તને મારી સાથે લઇ જઈશ,તે તો બંને કુળ નો ઉદ્ધાર કર્યો.
સીતાજી કહે છે-કે-મારા પતિનો વનવાસ એ મારો વનવાસ છે,પિતાજી મને વધારે આગ્રહ ના કરો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE