Apr 20, 2020

ભાગવત રહસ્ય -૨૫૧

રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, ભરત આજ્ઞા માગે છે.રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-ભરત આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજીની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે.પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.

ભરતજીએ કહ્યું-ચૌદ વર્ષ સુધી હું તમારી પ્રતીક્ષા કરીશ.ચૌદ વર્ષની અવધિ પુરી થયા પછી એક દિવસ પણ વિલંબ કરશો તો હું અગ્નિમાં પ્રવેશ કરી ને પ્રાણ ત્યાગ કરીશ. પણ નાથ,હું એકલો કેમ જઈશ ?
મને કોઈ અવલંબન આપો,મારા પ્રાણને ટકાવવા ,મને કોઈ આધાર આપો.
રામજીએ ભરતને પાદુકા આપી છે. ભરતને આનંદ થયો,ચરણપાદુકાને તેમણે મસ્તક પર મૂકી.
ભરતજીને એમ લાગ્યું કે –“મને મારાં રામ-સીતા મળ્યાં છે.હું હવે એકલો નથી.”

બંધુપ્રેમનો આદર્શ બતાવતાં ભરતજી સીતારામ સીતારામ બોલતા જાય છે.અયોધ્યા આવી અને 
સિંહાસન પર ચરણ પાદુકાની સ્થાપના કરી છે,રાજ્ય મારું નથી,રામજીનું છે,હું તો સેવક છું.
પાદુકાને પૂછી ને આજ્ઞા મેળવીને ભરતજી બધું કામ કરે છે. પાદુકાની નિત્ય સેવા કરે છે.
ભરતજી ગોમુખયાવક વ્રત કરે છે.(ગાયને જવ ખવડાવે,તે તેના છાણમાંથી બહાર નીકળે તે વીણીને,
તેને ગૌમુત્રમાં ઉકાળી રાબ બનાવે.આવા ઉકાળેલા જવ ચોવીસ કલાકમાં એક વખત ખાવા તે-વ્રત)

રામજી દર્ભની પથારી પર સૂવે તો ભરત જમીન પર સૂવે છે.રામજીની તપશ્ચર્યા કરતા પણ ભરતની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.તેવું મહાત્માઓ કહે છે.રામજી તો વનમાં રહી તપશ્ચર્યા કરે છે,જયારે ભરત મહેલમાં રહીને તપશ્ચર્યા કરે છે.વનમાં રહી તપ કરવું કઠણ નથી પણ રાજમહેલમાં રહી તપ કરવું કઠણ છે.

ભરતજીનો પ્રેમ એવો કે જડ પાદુકા ચેતન બની જાય છે.સાયંકાળે,શૃંગાર કરી સીતારામજીમાં આંખ સ્થિર કરી ભરતજી સીતારામનો જાપ કરે છે.ભરતજી પાદુકામાં નજર સ્થિર કરે છે,ઘણીવાર રામજીનો વિયોગ સહન થતો નથી, રામજીના દર્શન માટે પ્રાણ તલસે છે.રામનામનો જપ કરે ત્યારે સંયોગનો અનુભવ થાય છે.ભરતજી રામ-સીતા વનમાં ગયા છે-તે ભુલી જાય છે,રામ-સીતાને પ્રત્યક્ષ અનુભવે છે.

રામ-સીતાનું એક સ્વરૂપ વનમાં છે અને એક સ્વરૂપ ઘરમાં છે.શ્રીરામ તો સર્વવ્યાપક છે.
જેટલા ભક્તો તેટલા રામ છે.રામજીનું સ્મરણ કરતાં જ રામ પ્રગટ થાય છે.
સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણમાં છુપાયેલા હોય છે,ભક્તો પ્રેમથી ભક્તિ કરી તેમને પ્રગટ કરે છે.
પ્રેમથી જ્યાં પરમાત્માનો જપ થાય ત્યાં પ્રભુને પ્રગટ થવું પડે છે.

પાણી-પાણી- એવો જપ કરવાથી પાણી પાસે આવતું નથી,પાણી જોઈતું હોય તો પાણી પાસે જવું પડે છે,
પાણી જડ છે.પરંતુ પ્રભુ તો ભક્ત પાસે આવે છે.મનુષ્યો પૈસા માટે પ્રવૃત્તિ કરે છે,પણ પરમાત્મા માટે પ્રવૃત્તિ કરતા નથી,પૈસા માટે પ્રવૃત્તિ કરનાર ઉપર પ્રભુને દયા આવતી નથી.
જીવનમાં પૈસા કરતાં પ્રભુની વધારે જરૂર છે.પણ કોણ જાણે માનવીને પૈસા જેટલી પ્રભુની જરૂર લગતી નથી.એટલે મનુષ્યને પ્રભુ દૂર દૂર લાગે છે,પરંતુ પ્રભુ તો પાસે જ છે.

ભરતજી જેવું પવિત્ર અને તેમના જેવો પ્રભુનો વિરહ જાગે તો-પ્રભુ પ્રગટ થાય જ છે.
ભરતજી જયારે રામ-વિરહમાં એકદમ વ્યાકુળ થાય છે-ત્યારે પાદુકામાંથી શ્રીરામ પ્રગટ થાય છે.
વિયોગનો આદર્શ ભરત છે-અને સંયોગમાં સેવા કેવી રીતે કરવી તેનો આદર્શ લક્ષ્મણ છે.
ભરતજીના પ્રેમનું વર્ણન કોણ કરી શકે ?
જગત- જે રામનું સ્મરણ કરે છે-તે-જ-રામ..... ભરતજી નું સ્મરણ કરે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE