Apr 21, 2020

ભાગવત રહસ્ય -૨૫૨

આ બાજુ ચિત્રકૂટમાં રામજીએ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યાથી ઘણા લોકો મને મળવા આવશે.એટલે રામજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિના આશ્રમમાં રામજી પધાર્યા છે.
અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણમાં ફસાય નહિ તે અત્રિ.મનુષ્ય ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે.દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં,અને ભગવદ ભજનમાં હૃદય આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.

આ સમજાવવા રામાયણમાં ત્રણ ઉદાહરણ બતાવ્યાં છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ તમોગુણનું સ્વરૂપ છે.
રઘુનાથજી અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા છે.એવું લખ્યું નથી કે અત્રિ ઋષિ રામજીને મળવા ગયા છે.
જીવ લાયક થાય ત્યારે રામ (પરમાત્મા) તેને મળવા આવે છે.
જે ત્રણ ગુણને ઓળંગી ને નિર્ગુણ પરમાત્મા સાથે મનથી સંબંધ જોડી રાખે છે-તેને અત્રિ કહે છે.

અત્રિ ઋષિના પત્ની અનસૂયા મહાન પતિવ્રતા છે.અત્રિઋષિ વૃદ્ધ થયા છે,ગંગાસ્નાન કરવા જઈ શકતા નથી,અનસૂયાની પ્રાર્થનાથી મંદાકિની ગંગા અત્રિઋષિના આશ્રમમાંથી નીકળ્યાં છે.
અનસુયાએ સીતાજીના ખૂબ વખાણ કર્યા છે અને સીતાજીને દિવ્ય વસ્ત્રો આપ્યા છે-જે કદી પણ મેલા થાય નહિ.ભવિષ્યની જાણે તૈયારી કરી આપી !!!

અત્રિ ઋષિને ત્યાંથી રામજી સુતીક્ષ્ણના આશ્રમમાં આવ્યા છે.આ પ્રસંગ અતિ દિવ્ય છે.
સુતીક્ષ્ણ એ અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા.અભ્યાસ પુરો થયા પછી,સુતીક્ષ્ણ ગુરુજીને ગુરુદક્ષિણા માંગવાની ‘કહે છે-તે વખતે અગસ્ત્ય ઋષિ એ કહ્યું કે-“તારી જોડેથી કશી આશાથી મેં વિદ્યાદાન કર્યું નથી”
પરમાત્માનો જેને અનુભવ થયો છે-તેના જીવનમાં સુખ અને શાંતિ હોય છે.સુતીક્ષ્ણ જયારે બહુ આગ્રહ કરે છે-ત્યારે અગસ્ત્ય કહે છે-કે-તારામાં શક્તિ હોય તો રામજી ના દર્શન મને કરાવજે.

સુતીક્ષ્ણને આજે રામના દર્શન થયા પછી રામજીને કહે છે કે આગળનો રસ્તો હું તમને બતાવીશ.
રામજીએ લક્ષ્મણને કહ્યું-કે આ રસ્તો બતાવવા નહિ પણ પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે આવે છે.
સુતીક્ષ્ણ રામજીને અગસ્ત્યના આશ્રમમાં લઇ જાય છે,અગસ્ત્ય ઋષિ દોડતા આવ્યા છે,રામજીના દર્શન કરી કૃતાર્થ થયા છે. રામજી ને કહે છે-કે-તમારી કૃપા જે જીવ ઉપર હોય તે જ તમને ઓળખી શકે છે.
જે તમને બરોબર જાણે છે-તે પછી તમારાથી અલગ રહી શકતો નથી.

રામજીએ આશ્રમમાં અસ્થિઓનો ઢગલો જોયો,ત્યારે અગસ્ત્ય ઋષિએ કહ્યું-કે રાક્ષસો ઋષિઓને 
ત્રાસ આપે છે.મારે છે.અસ્થિઓ નો ઢગલો જોતાં માલિકનું હૃદય ભરાયું છે.
અને હાથ ઉંચો કરી ને પ્રતિજ્ઞા કરે છે-કે-હું બધા રાક્ષસોનો વિનાશ કરીશ.

તે પછી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યો છે.
પંચવટી એટલે પંચ પ્રાણ. પંચ પ્રાણમાં પરમાત્મા વિરાજે છે.
સંસાર અરણ્યમાં ભટકે તેને શૂર્પણખા (વાસના) મળે છે.રામજી શૂર્પણખાને આંખ આપતા નથી.
શૂર્પણખા એ મોહનું સ્વરૂપ છે,રાવણની એ બહેન છે.બનીઠનીને રામજી પાસે આવી છે.
તે હતી તો વિધવા પણ જુઠ્ઠું બોલે છે અને કહે છે-કે-હું કુંવારી છું,આજ સુધી મને પરણવા લાયક મુરતિયો મળ્યો નથી, તમને જોતાં મારું મન માને છે,તેથી તમારી સાથે લગ્ન કરવા આવી છું.

રામજી કહે છે-કે-“તું જેવી રીતે કુંવારી છે-(વિધવા હોવાં છતાં) તેવો મારો ભાઈ પણ કુંવારો છે,
(એકલો છે) તું તેની પાસે જા.હું તો એક પત્નીવ્રત પાળું છું.
શૂર્પણખા ગુસ્સે થઇ અને કહે છે-કે- આ સીતાજીને લીધે તું ના પાડે છે,હું તને ખાઈ જઈશ,
આમ કહી તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE